અમદાવાદના જૂના મોટેરા સ્ટેડિયમના સ્વપ્નદ્રષ્ટા મૃગેશભાઈ જયકૃષ્ણ સાથે VTVએ ખાસ વાતચીત કરી હતી.
અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટુ સ્ટેડિયમ બનતા તેઓ ખુશ
જૂનુ સ્ટેડિયમ 8 માસ 13 દિવસમાં થયુ હતું પૂર્ણ
જૂનુ સ્ટેડિયમ બનાવતા પડેલ તકલીફો વર્ણવી
અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બન્યું છે અને તેનું નવું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રખાતાં ચર્ચાઓનો દૌર ચાલ્યો છે ત્યારે અમદાવાદના મોટેરા સ્ટેડિયમનું સ્વપ્ન જેમણે જોયું હતું અને 1983માં માત્ર આઠ માસના સમયમાં અનેક પડકારો ઝિલીને સ્ટેડિયમ ઊભું કર્યું હતું તે મૃગેશભાઇ જયકૃષ્ણ માને છે કે નવા મોટેરા સ્ટેડિયમના આઇડિયાથી લઇને તેના નિર્માણ સુધી નરેન્દ્ર મોદીની મુખ્ય ભૂમિકા રહી છે તેથી આ સ્ટેડિયમને તેમનું નામ આપવામાં આવ્યું તેમાં કંઇ જ અનુચિત નથી.
અમદાવાદને સ્ટેડિયમ આપવાનું પોતાનું સ્વપ્ન પૂર્ણ કર્યું
1983માં મૃગેશભાઇ BCCIના વાઇસ પ્રેસિડેન્ટ હતા અને અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમ માટે તત્કાલિન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ જમીન ફાળવી હતી. વાનખેડે સ્ટેડિયમ બનાવનારા કોન્ટ્રાક્ટરને જ મૃગેશભાઇએ અમદાવાદ ખાતે સ્ટેડિયમ બનાવવાનું કામ સોપ્યું હતું. વેસ્ટઇન્ડિઝ સામે ભારતની ટેસ્ટ યોજવા આડે માત્ર આઠ માસ અને 13 દિવસનો સમય બાકી હતો ત્યારે કેટલાય વિરોધ અને કોર્ટ કેસ ઉપરાંત નાણાં ઊભાં કરવાની ચેલેન્જ સામે મૃગેશભાઇ અડીખમ રહ્યા અને અમદાવાદને સ્ટેડિયમ આપવાનું પોતાનું સ્વપ્ન પૂર્ણ કર્યું હતું.
પર્સનલ ગેરન્ટી પર સ્ટેડિયમ માટે લોન મેળવી
ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (GCA) પાસે એ સમયે પોતાની ઓફિસ પણ નહોતી અને એક રૂમની ભાડાંની ઓફિસથી જીસીએનું સંચાલન થતું હતું ત્યારે મૃગેશભાઇએ પોતાની પર્સનલ ગેરન્ટી પર સ્ટેડિયમ માટે લોન મેળવી હતી.
શું કહે છે મૃગેશભાઈ
અમદાવાદના શ્રેષ્ઠી ગણાતા જયકૃષ્ણ હરિવલ્લભદાસના પુત્ર મૃગેશભાઇએ વીટીવી સમક્ષ એ બાબતનો સંતોષ વ્યક્ત કર્યો હતો કે એક સમયે શહેરથી ઘણે દૂર ગણાતું મોટેરા સ્ટેડિયમ આજે અમદાવાદની ઓળખ બન્યું છે. મૃગેશભાઇએ કિશોરાવસ્થા અને યુવાનીમાં ટેબલ ટેનિસ અને બેડમિન્ટનમાં આગવી નામના મેળવી હતી અને ક્રિકેટના એડમિનિસ્ટ્રેશનમાં અનેક વર્ષો સુધી કામ કર્યું હતું. આજે 77 વર્ષની ઉંમરે પહોંચેલા મૃગેશભાઇ પાસે અનેક ક્રિકેટરો અને ટીમની સિગ્નેચર ધરાવતાં બેટનો સંગ્રહ છે.