ગણેશચતુર્થી આવી ગઇ છે. આ તહેવારની ઉજવણી ભારતના લગભગ દરેક ખુણામાં ધુમધામ પુર્વક થતી હોય છે. કેટલાક ભક્તો મનની શાંતિ અને પોતાની મનોકામના પુર્ણ કરવા માટે ગણેશજીના મંદિરમા માથુ ટેકવા જાય છે. ભારતના પ્રસિધ્ધ અને પ્રાચીન ગણેશ મંદિર કયા છે તે પણ જાણવા જેવું છે.
સિધ્ધિવિનાયક મંદિર, મુંબઇ
જ્યારે ભારતના પ્રસિધ્ધ ગણપતિ મંદિરનુ નામ આવે ત્યારે મુંબઇનુ સિધ્ધિવિનાયક મંદિર પહેલા સ્થાને આવે છે. આ મંદિર માત્ર ભારતમાં નહીં, પરંતુ વિદેશમાં પણ ફેમસ છે. મોટી મોટી સેલિબ્રિટીઝ અને બોલિવુડ સ્ટાર અહીં રોજ જોવા મળી જાય છે. ફિલ્મોની સફળતાની પ્રાર્થના માટે એક્ટર્સ, ડિરેક્ટર્સ અને પ્રોડ્યુસર્સની અહીં લાઇનો લાગે છે. આ મંદિરનો મહિમા અપરંપાર છે. તે ભક્તોની મનોકામના પુર્ણ કરે છે. અહીં દર વર્ષે કરોડોનું દાન ચડે છે. મુંબઇના આરાધ્ય દેવતા પણ ગણેશજીને જ માનવામાં આવે છે. આ કારણે પણ આ મંદિર બહુ પ્રસિધ્ધ છે.
કનિપકમ વિનાયક મંદિર, ચિત્તૂર
આ મંદિર આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લામાં તિરુપતિ મંદિરથી 75 કિમી દુર સ્થિત છે. આ મંદિર પોતાની પ્રાચીન ઐતિહાસિક શિલ્પકળા અને સુંદર ડિઝાઇન માટે વિખ્યાત છે. અહીં દર્શન માટે આવનાર ભક્તો પોતાના પાપ ધોવા માટે મંદિરના પવિત્ર જળમા ડુબકી લગાવે છે. એવી પણ માન્યતા છે કે અહીં ગણેશજીની ચમત્કારિક મુર્તિનો આકાર રોજ બરોજ વધતો જાય છે.
રણથંભોર ગણેશજી, રાજસ્થાન
રાજસ્થાનના સવાઇ માધોપુરથી લગભગ 10 કિમી દુર આવેલુ રણથંભોર ગણેશજીનું મંદિર કિલ્લાના મહેલ પર બહુ જુનુ મંદિર છે. આ મંદિર લગભગ 1000 વર્ષ જુનુ છે. અહીં તમને ત્રિનેત્રવાળા ગણેશજી જોવા મળશે. આ ગણેશજી નારંગી રંગના છે અને વિદેશીઓની વચ્ચે ખુબ પ્રચલિત છે. રિધ્ધિ સિધ્ધિને તેમની ડાબી જમણી બાજુ પણ રખાઇ છે. દુર દુરથી અહીં લોકો બાપાના આ અદભુત રુપના દર્શન કરવા આવે છે.
મનકુલા વિનાયક મંદિર, પોંડિચેરી
ભારતના સૌથી પ્રાચીન મંદિરોમાનુ એક એવું આ મંદિર 1666 વર્ષ પહેલા બનાવાયુ હતું. ત્યારે પોંડિચેરી ફ્રાંસને હસ્તક હતું. આ મંદિર અંગે એવી માન્યતા છે કે અહીં ભગવાન ગણેશની પ્રતિમાને ઘણીવાર સમુદ્રમાં ફેંકવામાં આવી હતી, પરંતુ તેજ સ્થાન પર આ મુર્તિ રોજ ફરીવાર પ્રગટ થતી હતી. અહીં દર વર્ષે બ્રહ્મોત્સવ અને ગણેશ ચતુર્થી ધુમધામથી મનાવાય છે.
શ્રીમંત દગડૂશેઠ હલવાઇ મંદિર, પુણે
ગણપતિબાપાનું આ મંદિર પુણેમાં બનેલુ છે. આ મંદિર ઘણા વર્ષ પહેલા શ્રીમંત દગડૂશેઠ અને તેમની પત્ની લક્ષ્મીબાઇએ પોતાના એકના એક પુત્રની યાદમાં બનાવ્યુ હતુ, જેને તેમણે પ્લેગની બિમારીમા ગુમાવી દીધો હતો. બંનેએ ગણેસચતુર્થીના દિવસે ગણેશજીની મુર્તિની સ્થાપના કરી હતી. ત્યારબાદથી દર વર્ષે દગડૂશેઠનો પરિવાર જ નહીં, પરંતુ આસપાસના તમામ લોકો ખુબ જ જોશ સાથે અહીં ગણેશ ઉત્સવ ઉજવે છે. મહારાષ્ટ્રમાં સિધ્ધિવિનાયક બાદ બીજુ આ સૌથી પ્રસિધ્ધ મંદિર છે, અહીં દેશભરમાથી લોકો દર્શન કરવા આવે છે.
મધુર મહાગણપતિ મંદિર, કેરળ
દસમી શતાબ્દીમાં બનેલું અતિ પ્રાચીન મંદિર મધુવાહિની નદીના કિનારે આવેલુ છે. એવું માનવામાં આવે છે કે અહીં સ્થપાયેલી ભગવાન ગણેશની મુર્તિ ના તો માટીની બનેલી છે ના તો કોઇ પત્થરની. આ કોઇ અલગ પ્રકારના તત્વમાંથી બની છે. અહીં ગણેશજી ઉપરાંત ભગવાન શિવની મુર્તિ પણ સ્થાપિત છે. મંદિર અંગે એવું કહેવાય છે કે એક વખત મુગલ શાસક ટીપુ સુલતાન અહીં મુર્તિને નષ્ટ કરવાના ઉદ્દેશથી આવ્યો હતો, પરંતુ અહીંની કોઇ વસ્તુએ તેમનો નિર્ણય બદલી નાખ્યો હતો.
મોતી ડુંગરી ગણેશ મંદિર, જયપુર
મોતી ડુંગરી મંદિર રાજસ્થાનમાં જયપુરના પ્રસિધ્ધ મંદિરોમાનું એક છે. જયપુરમાં સેઠ જય રામ પાલીવાલે 18મી શતાબ્દીમાં આ મંદિર બનાવ્યુ હતુ. નાનકડા પહાડ પર આવેલુ આ મંદિર જયપુરના મુખ્ય ટુરિસ્ટ સ્પોટમાંથી એક છે. અહીં જયપુરની મહારાણીગાયત્રી દેવીનો મહેલ મોતી ડુંગરી પેલેસ પણ આવેલો છે.
ગણેશટોક મંદિર, ગંગટોક
ગણેશ ટોક મંદિર ગંગટોક- નાથુલા રોડથી લગભગ 6 કિલોમીટના અંતરે આવેલુ છે. તે લગભગ 6500 ફુટની ઉંચી પહાડી પર આવેલુ છે. આ મંદિરની બહાર ઉભા રહીને તમે આખા શહેરનો નજારો જોઇ શકો છો. આ એટલુ મોટુ મંદિર નથી, પરંતુ ખુબ જ પ્રસિધ્ધ છે. તેની સુંદરતા અને અદભુત લોકેશનના કારણે તે ટુરિસ્ટ સ્પોટ બની ચુક્યુ છે.