નોટબંધી કાળુધન દૂર કરવા માટે થઈ છે એવી વાત મોદી સરકારે 8 નવેમ્બર 2016માં કહી હતી. પરંતુ આજે જ્યારે નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો(NCRB)નો નોટબંધી બાદ 2000ની મળેલી નકલી નોટોની વાત કરીએ તો એ વાત સદંતર ખોટી સાબિત થાય તેમ છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોએ દેશમાં 2000ની નકલી નોટોનાં કારોબારને લઈને અતિ ગંભીર રિપોર્ટ બહાર પાડ્યો છે. આ રિપોર્ટમાં 2016માં થયેલી નોટબંધી બાદથી ડિસેમ્બર 2018 સુધી કેટલી નકલી નોટો પકડવામાં આવી તે વિશે જાણકારી આપવામાં આવી છે.
ભ્રષ્ટાચાર અને કાળુંધન પર રોક લગાવવા થઇ હતી નોટબંધી
2000ની નકલી ચલણી નોટ સૌથી વધારે ગુજરાતમાં પકડાઈ
નોટબંધી બાદનાં 53 દિવસમાં પણ સૌથી વધારે નકલી નોટ ગુજરાતમાં પકડાઈ
આ રીપોર્ટમાં ગંભીર વાત એ છે કે આ રીપોર્ટમાં ગુજરાત ટોપ પર છે. ટોપ 10 રાજ્યોમાં 4 ભાજપશાસિત રાજ્યો છે. ઝારખંડ, મેઘાલય અને સિક્કીમ જેવાં એવા રાજ્ય છે જ્યાં આ દરમિયાન એક પણ નકલી નોટ પકડવામાં આવી નથી.
રીપોર્ટ અનુસાર ગુજરાતમાં 69,360,000 રૂપિયાની નકલી નોટ પકડવામાં આવી. નોંધનીય છે કે નોટબંધી કરવાનો મુખ્ય ઉદ્દેશ ભ્રષ્ટાચાર અને કાળા નાણા પર લગામ લગાવવાનો હતો. જોકે તે બાદ પણ નકલી નોટ પકડાઈ હતી. માર્કેટમાં 2000 અને 500ની નકલી નોટો ફરતી થઇ ગઈ હતી. પોલીસે આ મુદ્દે ઘણા લોકોની ધરપકડ પણ કરી છે.
નોંધનીય છે કે નોટબંધીની ઘોષણા કર્યા બાદ 53 દિવસ બાદ જ બે હજારની 2272 નકલી નોટ પકડવામાં આવી હતી. જેમાં 1300 ગુજરાતમાં અને 548 નોટ પંજાબમાંથી પકડાઈ હતી. આ સિવાય કર્ણાટક, હૈદરાબાદ, મેરઠ અને રાજકોટમાં પણ નકલી નોટ પકડવામાં આવી હતી.