ચીનથી ફેલાયેલો જીવલેણ કોરોના વાઈરસનો કેર અટકવાનું નામ નથી લેતો. આજે સવારે ચીનની સરકાર તરફથી જારી કરવામાં આવેલી સત્તાવાર જાણકારી અનુસાર અત્યાર સુધીમાં આ ઘાતક વાઈરસના કારણે થયેલાં મૃત્યુની સંખ્યા વધીને 2,000ને પાર થઈ ગઈ છે. આ ઉપરાંત કોરોના વાઈરસથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા પણ સતત વધી રહી છે.
ચીનના હુબેઇ પ્રાંતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના કારણે 136 લોકોનાં મોત નીપજ્યાં છે
ચીનમાં કોરોના વાયરસથી મૃત્યુ પામનારની સંખ્યા વધીને 2,004 થઈ, નવા 1,749 કેસ સામે આવ્યા
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ચીનના હુબેઇ પ્રાંતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના કારણે 136 લોકોનાં મોત નીપજ્યાં છે અને કુલ મૃત્યુઆંક 2,000ને વટાવી ગયો છે. સરકારના આંકડા અનુસાર ચીનમાં આજે સવાર સુધીમાં કોરોના વાઈરસથી થયેલાં મૃત્યુની સંખ્યા વધીને 2,004 થઈ છે.
કોરોના વાઈરસના કુલ 74,185 કેસની પુષ્ટિ થઈ છે. નેશનલ હેલ્થ કમિશન (એનએચસી)એ જણાવ્યું હતું કે આજે સવાર સુધીમાં મૃત્યુઆંક વધીને 2,004 થઈ ગયો છે. બીજી તરફ કોરોનાના ચેપના 1,749 નવા કેસ સામે આવ્યા છે.
કમિશને વધુમાં જણાવ્યું હતું કે મૃત્યુ પામેલા 136 લોકોમાંથી 132 હુબેઇમાં મૃત્યુ પામ્યા હતા, જ્યારે હેઈલોંગજિયાંગ, શાનદોંગ, ગુઆંગદોંગ અને ગુઇઝોઉમાં એક-એક વ્યક્તિનાં મોત થયાં છે. કોરોના વાઈરસના કુલ 1,185 નવા શંકાસ્પદ કેસ નોંધાયા છે. ગઈ કાલે 236 દર્દીઓની હાલત અતિગંભીર હતી, જ્યારે 1,824 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
બીજી તરફ રશિયાએ કોરોના વાઈરસના ચેપને રોકવા માટે આવતી કાલ 20 ફેબ્રુઆરીથી ચીનના તમામ નાગરિકોને પોતાના ક્ષેત્રમાં પ્રવેશતા અટકાવવાનો મોટો નિર્ણય લીધો છે. રશિયાના નાયબ વડા પ્રધાન અને આરોગ્ય બાબતોના પ્રભારી તાતિયાના ગોલિકોવાએ કહ્યું હતું કે, 'રશિયાની સરહદો પર ચીનના નાગરિકોનો પ્રવેશ 20 ફેબ્રુઆરીથી સંપૂર્ણ રીતે સ્થગિત કરવામાં આવશે.'
તેમણે કહ્યું હતું કે આ પ્રતિબંધ કામ માટેની યાત્રા, વ્યક્તિગત પ્રવાસ, અભ્યાસ અને પર્યટન માટે આવનારા મુસાફરોને લાગુ પડશે. દરમિયાન ચીનના કોરોના વાઈરસથી સૌથી વધુ પ્રભાવિત એવા વુહાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે આવતી કાલ 20 ફેબ્રુઆરીએ એરફોર્સનું સ્પેશિયલ સી-17 ગ્લોબમાસ્ટર પ્લેન વુહાન જશે. સેનાનાં સૂત્રોએ જણાવ્યું હતું કે આ વિશેષ વિમાનમાં કોરોના વાઈરસથી પ્રભાવિત નાગરિકો માટે દવાઓ અને મેડિકલ ઉપકરણો હશે.
બીજી તરફ જાપાનના યોકોહામા પોર્ટ પર અટકાવવામાં આવેલા ડાયમંડ પ્રિન્સેસ ક્રૂઝ શિપ પર વધુ બે ભારતીયમાં કોરોના વાઈરસનો ચેપ જોવા મળ્યો છે. જાપાન સ્થિત ભારતીય દૂતાવાસે કહ્યું હતું કે આ અગાઉ ચાર ભારતીયમાં કોરોના વાઈરસનો ચેપ જોવા મળ્યો હતો. આ લોકોની તબિયતમાં હવે ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે. ક્રૂઝ જહાજ પર કુલ 451 લોકો કોરોનાથી સંક્રમિત છે. ભારતીય ક્રૂ મેમ્બર સહિત તમામને સારવાર માટે ઓબ્ઝર્વેશન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર જાપાનના કિનારે રોકવામાં આવેલી ક્રૂઝ પરના તમામ ભારતીયની સારવાર અને તેમને સારી તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે જાપાન સરકાર સાથે સતત વાતચીત કરવામાં આવી રહી છે. ટોકિયોમાં ભારતીય દૂતાવાસ સતત શિપ પર હાજર ભારતીય નાગરિકોના સંપર્કમાં છે.