અરવલ્લી જીલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પરંપરાગત કાર્તિકી પૂર્ણિમાએ ભરાતો શામળાજીનો મેળો ભરાયો છે. ચૌદશ અને પૂર્ણિમાએ ભરાયેલા મેળામાં બે લાખથી વધુ ભક્તો ઉમટયા છે. હજારો ભક્તોએ નાગધરા કુંડમાં સ્નાન કરી ભગવાન શામળીયાના દર્શન કરી માનતાઓ પૂરી કરી.
રાજ્યમાં ભરાતા વૌઠા તરણેતર કાત્યોક સહીતના ભાતીગળ મેળાઓમાં સ્થાન ધરાવતો એવો શામળાજીના મેળાનો ગુરુવારથી પ્રારંભ થયો છે. વર્ષો પહેલા સળંગ એક માસ ભરાતો આ મેળો વસ્તુ વિનિમયનો કેન્દ્ર હતો. ત્યારે સમય જતા આ મેળો હાલ માત્ર બે દિવસનો થઇ ગયો છે.
દર વર્ષે કારતક સુદ ચૌદશ અને પૂર્ણિમા એમ બે દિવસ ભરાતા આ મેળામાં સમગ્ર રાજ્ય સહીત પાડોશી રાજ્ય રાજસ્થાન અને મહારાષ્ટ્રનાં અંતરિયાળ ગામડાઓ માંથી લાખ્ખોની સંખ્યામાં ભક્તો આવે છે. ત્યારે આજે મેળાના બીજા પૂર્ણિમાના દિવસે યાત્રાધામ ખાતે એક લાખથી વધુ સંખ્યામાં ભક્તો ઉમટયા હતા.
આ મેળામાં આવતા ભક્તો માટે મેશ્વો ડેમની તળેટીમાં આવેલા નાગધરા કુંડમાં સ્નાન કરવાનું અનેરૂ મહત્વ હોવાને કારને હજારો ભક્તોએ વહેલી સવારે નાગધરા કુંડમાં આસ્થાની ડૂબકી લગાવી સ્નાન કર્યું હતું અને ત્યારબાદ ભગવાન શામળીયાના દર્શન કરી પોતાની માનતા પૂરી કરી હતી.
આ લોકોનાં મતે આ નાગધરા કુંડમાં સ્નાન કરવાથી ભૂત પ્રેત વળગાડ જેવી આસુરી શક્તિઓની ચુંગાલ માંથી છુટકારો અને અસાધ્ય રોગ માંથી પણ મુક્તિ મળતી હોવાની માન્યતા છે. ત્યારે ચૌદશ અને પૂર્ણિમા એમ બે દિવસ ભરાયેલા મેળામાં બે લાખ કરતા વધુ ભક્તોએ શામળીયાના ચરણોમાં શીષ નમાવી પોતાની જાતને ધન્ય બનાવી હતી.
શામળાજી મેળામાં બે થી ત્રણ રાજ્યોના લોકો દર્શન માટે આવે છે જેથી પોલીસ ધ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે શામળાજી મંદિરમાં લોકો કરતા વધારે પોલીસ કાફલો રાખવામાં આવ્યો છે.