કોરોના વાયરસે પુરી દુનિયામાં કહેર મચાવ્યો છે. ચીનની આ મહામારીએ દુનિયાને ડરાવી દીધી છે. જોકે, હવે ચીનમાંથી થોડા રાહતના સમાચાર આવી રહ્યા છે. ચીનમાંથી આવી રહેલા આંકડાઓ કોરોનાનો કહેર ઘટ્યો હોવાના સંકેત આપે છે. પરંતુ અન્ય દેશોમાં તો આ વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે.
ચીનમાં કોરોનાનો કહેર
તારાજી વચ્ચે રાહતના સમાચાર
ચીનમાં ઘટી રહ્યા છે કેસ
છેલ્લા 15 દિવસમાં ચીનમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે અને મૃતકોની સંખ્યા પણ સતત ઘટી રહી છે. ચીનમાં કોરોનાના 50 હજારથી વધુ અસરગ્રસ્તો સંપૂર્ણ સ્વસ્થ થઈ ચુક્યા છે. જોકે, ઇરાન, ઇટલી, દક્ષિણ કોરિયા જેવા દેશોમાં છેલ્લા એક અઠવાડિયાથી આ વાયરસના કહેરે ઉદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.
કોરોના વાયરસ પોતાની ચરમ સીમાએ પહોંચ્યો
ચીનમાંથી મળી રહેલા આંકડાઓ પ્રમાણે 12 ફેબ્રુઆરીએ કોરોના વાયરસ પોતાની ચરમ સીમાએ પહોંચ્યો હતો. આ દિવસે ચીનમાં 14153 નવા કેસ નોંધાયા. જોકે ત્યાર બાદ નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 4 માર્ચે આ આંકડો ઘટીને 139 પર પહોંચી ચુકયો છે. જેવી રીતે ચીનની અંદર કોરોના વાયરસનો ફેલાવો ઘટી રહ્યો છે એ જ ઝડપે દુનિયાના અન્ય દેશોમાં આ ફેલાવો વધી રહ્યો છે.
દિવસે-દિવસે વધી રહી છે દર્દીઓની સંખ્યા
16 ફેબ્રુઆરી સુધી અન્ય દેશોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 100ની અંદર હતી. 17 ફેબ્રુઆરીએ દર્દીઓની સંખ્યાએ 100નો આંકડો પાર કર્યો. 22 ફેબ્રુઆરીએ 300 અને 28 ફેબ્રુઆરીએ આંકડો 1000ને વટાવી ગયો. તો 3 માર્ચથી રોજના બેહજારથી વધુ નવા દર્દીઓ નોંધાયા. દુનિયામાં કુલ 94,534 લોકોને કોરોના વાયરસની અસર થઈ ચુકી છે. જેમાંના 53524 લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે.
કોરોનાગ્રસ્ત નાગરિકોમાંથી 75 ટકા દક્ષિણ કોરિયા, ઇરાન અને ઇટલીમાં છે
ચીનની બહાર કોરોનાગ્રસ્ત નાગરિકોમાંથી 75 ટકા દક્ષિણ કોરિયા, ઇરાન અને ઇટલીમાં છે. જ્યારે દુનિયાના અન્ય દેશોમાં અસરગ્રસ્તોની સંખ્યા 1000થી પણ ઓછી છે.. એટલે કે ભારતે હાલ કોરોનાથી એકદમ ડરી જવાની જરૂર નથી. તેમ છતા તકેદારી રાખવી આવશ્યક છે.