ગુજરાતના GAS કેડરના એક ડઝનથી વધારે અધિકારીઓને પ્રમોશન આપીને તેઓ જલ્દી જ IAS અધિકારી બનવા જઈ રહ્યા છે.
રાજ્ય સરકારે એક ડઝનથી વધુ અધિકારીઓના પ્રમોશન માટે તેમના નામોની યાદી બનાવીને તેને UPSCને સોંપી છે. જ્યાં રાજ્ય સરકારના અને કેન્દ્રની મિનિસ્ટ્રી ઓફ પર્સનલ એન્ડ ટ્રેઈનીંગના ટોચના અધિકારીઓ બેઠક યોજીને ગુરુવારે કયા અધિકારીઓની બઢતી થશે તે નક્કી કરશે.
ગુજરાતના ચીફ સેક્રેટરી અનિલ મુકીમ અને અન્ય અધિકારીઓ દિલ્હીમાં યોજાનાર UPSCની આ બેઠકમાં ભાગ લેશે.
રાજ્યના પોલીસ અધિકારીઓને પણ IPS બનાવાય તેવી શક્યતા
IAS અધિકારીઓ સિવાય કેટલાક ગુજરાત પોલીસ સર્વિસ (GPS)ના અધિકારીઓને પણ IPSમાં પ્રમોશન મળશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે GAS કેડરના એક ડઝનથી વધારે અધિકારીઓને પ્રમોશન આપીને તેમને IAS અધિકારી બનાવવાની યોજના છે અને કેટલાક પોલીસ અધિકારીઓના નામો પણ ધ્યાનમાં લેવાયા છે જેમને IPSનું પ્રમોશન મળી શકે છે.
કેવી રીતે અધિકારીની બઢતી નક્કી કરવામાં આવે છે?
મોટા ભાગે સામાન્ય વહીવટ એકમ (GAD) દ્વારા GAS કેડરના અધિકારીઓની આ સુચિ તૈયાર કરવામાં આવે છે જેઓ પ્રમોશન મેળવવાને પાત્ર છે. તેમના નામો રાજ્ય સરકારની ડીપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન કમિટી દ્વારા ચકાસવામાં આવે છે.
આ સાથે UPSC અને કેન્દ્રની મિનિસ્ટ્રી ઓફ પર્સનલ એન્ડ ટ્રેઈનીંગ દ્વારા આ અધિકારીઓ વિષે જાણકારી મેળવવામાં આવે છે અને તેમણે નક્કી કરેલા નામોને UPSCની ફાઈનલ મિટિંગમાં મુકવામાં આવે છે જ્યાં રાજ્ય અને કેન્દ્ર સરકારના અધિકારીઓ સાથે મળીને UPSCના સત્તાધીશો તેમને યોગ્ય નામો નક્કી કરે છે.
જેટલા અધિકારીઓને અપૃવલ મળે છે તેમના નામો UPSC કેન્દ્ર સરકારમાં ડીપાર્ટમેન્ટ ઓફ ટ્રેઈનિંગ એન્ડ પર્સનલને પહોંચાડે છે જેઓ આ અંગે નોટીફીકેશન જાહેર કરે છે.