CMO કાર્યાલયે વોટ્સએપ નંબર જાહેર કર્યાના એક જ દિવસમાં ફરિયાદોના ઢગલા થયા છે. CMOના વોટ્સએપમાં 500થી વધુ ફરિયાદો આવતા સંબંધિત અધિકારીઓને તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે.
CMOએ '70309 30344' વોટ્સએપ નંબર જાહેર કર્યો
નંબર જાહેર કર્યાના એક જ દિવસમાં ફરિયાદોના ઢગલા
સંબંધિત અધિકારીઓને તપાસ કરવાની સૂચના અપાઈ
ગુજરાતના નાગરિકો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સીધો સંપર્ક કરી શકે તે માટે CMO દ્વારા વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. લોકો હવે વોટ્સએપના માધ્યમથી ડાયરેક્ટ CMOને ફરિયાદ કરી શકશે. રાજ્યનો કોઈપણ નાગરિક હવે પોતાની ફરિયાદ, રજૂઆત કે સૂચન ગાંધીનગર જઈને મુખ્યમંત્રીને રૂબરૂમાં કરવાને બદલે વોટ્સએપ પર કરી શકે તે માટેની સુવિધા મુખ્યમંત્રી કાર્યાલયે આપી છે. ત્યારે બુધવારે બપોરે 2 વાગ્યા સુધીની 20 કલાકમાં જ CMOના વોટ્સએપ નંબર પર 500થી વધુ ફરિયાદો આવી છે.
વોટ્સએપ નંબર જાહેર થયાના એક જ દિવસમાં 500થી વધુ ફરિયાદ
મુખ્યમંત્રી કાર્યાલયે જાહેર કરેલા વોટ્સએપ નંબર '703093044' પર બુધવારે બપોરે 2 વાગ્યા સુધીમાં આવેલી 500થી વધુ ફરિયાદોમાંથી મોટાભાગની ફરિયાદો જિલ્લા સ્તરના અધિકાર ક્ષેત્રની હોવાનું CMOના જન સંપર્ક કાર્યાલયે જણાવ્યું છે. વોટ્સએપ મારફતે આવેલી ફરિયાદોમાંથી સૌથી વધુ પોલીસ, પંચાયત અને કલેક્ટર કચેરી તેમજ સસ્તા અનાજના વિતરણ સંબંધિત હોવાનું જાણવા મળ્યું છે.
CMOના જનસંપર્ક કાર્યાલયે સંબંધિત અધિકારીઓને કરી ફોરવર્ડ
કાર્યાલયે આ ફરિયાદો કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારપી, પોલીસ અધિક્ષક, શિક્ષણ અધિકારી અને આરોગ્ય અધિકારી મોકલતા જિલ્લા-તાલુકામાં દોડધામ મચી ગઈ છે. CMOના જનસંપર્ક કાર્યાલયે આ ફરિયાદોને સંબંધિત જિલ્લા, તાલુકા સ્વાગત ઓનલાઈન સિસ્ટમમાં ફોરવર્ડ કરીને સંબંધિત અધિકારીઓ પાસે ફરિયાદની સત્યતા, તપાસ અને ઉકેલનો અહેવાલ માંગ્યો છે.
કેવી રીતે કરી શકાશે ફરિયાદ?
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બીજીવાર સત્તા સંભાળ્યા પછી સતત નવા લોકોપયોગી નિર્ણયો લઈ રહ્યાં છે. ત્યારે તેઓએ ફરી એકવાર નાગરિકોના હિતકારી નિર્ણય લીધો છે અને જેમાં દરેક નાગરિકને મુખ્યમંત્રી કાર્યાલય સાથે સોશિયલ મીડિયા મારફતે જોડી શકાય તેવો પ્રજાપ્રિય નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોને કાર્યલય સાથે જોડવા માટે એક વોટ્સએપ નંબર પણ બહાર પડવામાં આવ્યો છે. આ વોટ્સએપ નંબર '7030930344'ના માધ્યમથી લોકો મુખ્યમંત્રી કાર્યાલયમાં સંપર્ક કરી શકશે. મુખ્યમંત્રી કાર્યાલયમાં સંપર્ક, અરજી, ફરિયાદ સહિતની બાબતો પર વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકાશે. આ વોટ્સએપ નંબર પર નાગરિકો મુખ્યમંત્રીની મુલાકાતનો સમય મેળવી શકશે, મુખ્યમંત્રી રાહતનિધિના લાભની માહિતી મેળવી શકશે, સ્વાગત ઓનલાઈન કાર્યક્રમની માહિતી મેળવી શકશે. વોટ્સએપના માધ્યમથી કેવી રીતે ફરિયાદ કરી શકાશે તેનું VTV ન્યૂઝની ટીમે LIVE ડેમોસ્ટ્રેશન કર્યું છે.