અમેરિકામાં અત્યાર સુધીમાં 500થી વધુ બેન્ક ડૂબી ગઈ છે. વર્ષ 2010માં સૌથી વધુ 157 બેન્ક ડૂબી ગઈ હતી. ભારતમાં બેન્ક ડૂબી જાય તો તે પરિસ્થિતિમાં ડિપોઝીટ ઈન્શ્યોરન્સની સુવિધા આપવામાં આવે છે.
અમેરિકા: 2010માં સૌથી વધુ 157 બેન્ક ડૂબી ગઈ.
બેન્ક ડૂબી જાય તો તમારા પૈસા પરત કેવી રીતે મળશે?
આ પૈસા ગ્રાહકોને પરત ક્યારે આપવામાં આવશે?
અમેરિકામાં બેન્કિંગ સંકટ ઊભું થયું છે, જેના કારણે યૂરોપની બેન્ક પર અસર થઈ છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 500થી વધુ બેન્ક ડૂબી ગઈ છે. વર્ષ 2010માં સૌથી વધુ 157 બેન્ક ડૂબી ગઈ હતી. આ પરિસ્થિતિમાં બેન્કના ગ્રાહકોના મનમાં મોટો સવાલ ઊભો થયો છે કે, બેન્ક ડૂબી જાય તો તેમના પૈસાનું શું થશે? અમેરિકી રેગ્યુલેટર્સ અને સરકાર તરફથી કહેવામાં આવી રહ્યું છે કે, ગ્રાહકોના પૈસા ડૂબશે નહી. તો હવે ગ્રાહકોને ક્યારે પૈસા આપવામાં આવશે? ભારતમાં બેન્ક ડૂબી જાય તો તેને લઈને કાયદામાં શું કહેવામાં આવ્યું છે, તે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
અમેરિકાથી લઈને યૂરોપ પર અસર
અમેરિકામાં સિલિકોન વેલી બેન્ક ડૂબી ગઈ તેના થોડા દિવસ પછી સિગ્નેચર બેન્ક બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત ફર્સ્ટ રિપબ્લિક બેન્ક સહિત 6થી વધુ બેન્ક ડૂબવાનું જોખમ વધી ગયું છે. વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે ફર્સ્ટ રિબ્લિક સહિત 6થી વધુ બેન્કોને અંડર રિવ્યૂમાં નાખી દીધી છે. સ્વિસ નેશનલ બેન્કે ઉધાર આપતા આ બેન્કો ડૂબી જવાનું જોખમ ઓછું થયું છે.
બેન્ક નાદાર જાહેર ક્યારે થાય છે?
બેન્કની સંપત્તિ કરતા દેવામાં વધારો થાય અને આ દેવું ભરી શકાય તેમ ના હોય તો બેન્ક નાદાર જાહેર થાય છે. બેન્કમાં સતત નુકસાન થાય તો બેન્ક ડૂબી ગઈ છે, તેવું માનવામાં આવે છે. આ પરિસ્થિતિમાં રેગ્યુલેટર્સ બેન્ક બંધ કરવાનો નિર્ણય કરે છે. સરકારી અને ખાનગી તમામ બેન્કમાં આ પ્રક્રિયા સમાન જ હોય છે. બેન્ક નાદાર જાહેર થાય તો જે ગ્રાહક બેન્કમાં સૌથી વધુ પૈસા જમા કરે છે, તે ગ્રાહકને સૌથી મોટી ઝાટકો લાગે છે. આ ગ્રાહક પૈસા ઉપાડવા લાગે છે, જેના કારણે બેન્ક જલ્દી ડૂબી જાય છે.
અમેરિકામાં બેન્ક નાદાર જાહેર થાય તો…
અમેરિકામાં બેન્ક બંધ થતા રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ફેડરલ ડિપોઝીટ ઈન્શ્યોરન્સ કોર્પોરેશને ગ્રાહકોને પૈસા પરત આપવાનું વચન આપ્યું છે. FDICના આ નિયમો પર ધ્યાન આપવામાં આવે તો બેન્ક ડૂબી જાય તો ડિપોઝિટર્સને 2.5 લાખ ડોલર સુધીનું ડિપોઝીટ ઈન્શ્યોરન્સ આપવામાં આવે છે. ગ્રાહક કુલ જમા રકમમાંથી 2.5 લાખ ડોલર સુધીની નિશ્ચિત રકમ મેળવી શકે છે. બેન્કમાં જે પૈસા જમા કરવામાં આવે છે, તે માટે ડિપોઝીટ ઈન્શ્યોરન્સ હોય છે. આ ઈન્શ્યોરન્સ બેન્ક ડૂબી જવાની પરિસ્થિતિમાં નિશ્ચિત રકમ રિકવર કરવાની સુવિધા આપે છે.
ભારતમાં ગ્રાહકોને આટલી રકમ આપવામાં આવે છે
ભારતમાં બેન્ક ડૂબી જાય તો તે પરિસ્થિતિમાં ડિપોઝીટ ઈન્શ્યોરન્સની સુવિધા આપવામાં આવે છે. 60ના દાયકાથી આ સુવિધા શરૂ થયેલ છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાને આધિન નિયમ હેઠળ ડિપોઝીટ ઈન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન ગ્રાહકોને જમા થયેલ રાશિ પર ઈન્શ્યોરન્સ કવર આપે છે. 4 ફેબ્રુઆરી 2020થી બેન્કમાં જમા થયેલ ડિપોઝીટ ઈન્શ્યોરન્સ પર એક લાખ રૂપિયાની રકમ આપવામાં આવી હતી. જેનો અર્થ એ છે કે, બેન્કમાં ભલે 10 લાખ રૂપિયાની રકમ જમા થઈ હોય, પરંતુ બેન્ક નાદાર જાહેર થાય તો માત્ર 1 લાખ રૂપિયા જ પરત મળશે.
આ નિયમમાં ફેરફાર કરીને ડિપોઝીટ ઈન્શ્યોરન્સ કવરની રકમ એક લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. બેન્કમાં માત્ર 5 લાખ રૂપિયા સુધીની રકમ ઈન્શ્યોર્ડ હોય છે. બેન્ક લાયસન્સ રદ્દ કરવામાં આવે ત્યારથી બેન્ક બંધ કરવાનું એલાન કરવામાં આવે છે. તે તારીખે ગ્રાહકના એકાઉન્ટમાં જેટલી પણ રકમ હોય, તેમાંથી વધુમાં વધુ પાંચ લાખ રૂપિયા મળી શકે છે.
90 દિવસમાં ઈન્શ્યોર્ડ રકમ મળે છે
ડિપોઝીટ ઈન્શ્યોરન્સ સિસ્ટમમાં સેવિંગ એકાઉન્ટ, રિકરિંગ એકાઉન્ટ સહિત તમામ પ્રકારની ડિપોઝીટ શામેલ હોય છે. એકાઉન્ટમાં જે પણ રકમ હોય છે, તે રકમ પર ઈન્શ્યોરન્સ કવર કરવામાં આવે છે. બેન્ક ડૂબી જાય તો તેના 90 દિવસમાં જ એકાઉન્ટ હોલ્ડર્સને પૈસા પરત મળી જાય છે. આ પ્રક્રિયા પર ધ્યાન આપવામાં આવે તો જે બેન્કો પર વધુ જોખમ હોય તે બેન્કને 45 દિવસમાં ઈન્શ્યોરન્સ કોર્પોરેશન આપવામાં આવે છે. રિઝોલ્યુશનની રાહ જોયા વગર 90 દિવસમાં પ્રોસેસ પૂર્ણ કરવામાં આવે છે. બેન્ક નાદાર જાહેર થવાના કેસમાં યસ બેન્ક, લક્ષ્મી નિવાસ બેન્ક અને પીમસી એક ઉદાહરણ છે. આ બેન્ક ડૂબી નથી.