ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે તેવી, વધુ 51 કાર્યકરો ટેકેદારો સાથે જોડાશે ભાજપમાં
સાબરકાંઠા જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો
સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાશે
51 જેટલા આગેવાનો પોતાના ટેકેદારો સાથે કેસરીયો ધારણ કરશે
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય ધમધમાટ શરૂ થઈ ગયો છે. ગુજરાતમાં હવે જે રીતે માહોલ પૈદા થઈ રહ્યો છે. જે રીતે દરેક રાજકીય પાર્ટીઓ સક્રિય બની છે. તેને જોતા એવા સંકેત મળી રહ્યા છે કે, ગુજરાતમાં ખુબ વહેલા ચૂંટણી આવી રહી છે. ડિસેમ્બરમાં જ ચૂંટણી આવશે તેવા સંકેત છે. આ વચ્ચે વિધાનસભાની ચૂંટણી પહેલા સાબરકાંઠા જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે.
સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ભૂકંપ જોવા મળી રહ્યો છું. સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના વધુ કેટલાક આગેવાનો ભાજપમાં જોડાશે. 51 જેટલા આગેવાનો પોતાના ટેકેદારો સાથે કેસરીયો ધારણ કરશે. જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો એકસાથે ભાજપમાં જોડાશે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ મંત્રી પણ ભાજપમાં જોડાશે આ ઉપરાંત જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ગોપાલસિંહ રાઠોડ ભાજપમાં જોડાશે, ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં કોંગ્રેસના આગેવાનો કેસરિયો ધારણ કરશે.
4 એપ્રિલે પણ જોડાયા હતા ભાજપમાં
મહત્વનું છે કે 4 એપ્રિલના રોજ કમલમ ખાતે ગુજરાત પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાની આગેવાની AAP અને કોંગ્રેસના વધુ કેટલાક નેતાઓ ભાજપમાં જોડાયા હતા. ભાર્ગવ ભટ્ટ અને પ્રદીપસિંહ વાઘેલાએ આશરે 250 જેટલા AAP અને કોંગ્રેસના કાર્યકરોને ખેસ પહેરાવી ભાજપની વિચારધારા સાથે જોડ્યા હતા.
કોંગ્રેસના બે દિગ્ગજો પણ જોડાશે ભાજપમાં
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર નથી થઈ પરંતુ ચૂંટણીની તૈયારી તો જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ આ વખતે કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠકો પર જીત નોંધાવા માટે કમર કસી છે. ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર વડગામમાં ગાબડું પાડવા ભાજપનો પ્લાન સફળ રહેવા પામી છે. અગામી 24મી એપ્રિલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલા ભાજપમાં જોડાશે. તેમજ વડગામ ખાતે શક્તિ પ્રદર્શન યોજી ભાજપમાં જોડાવાની શક્યતા વર્તાઈ રહી છે. તો બીજી તરફ સૂત્રોના જણાવ્યા અનુસાર ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ પણ ભાજપમાં જોડાઈ શકે છે. મહત્વનું છે કે, પ્રદેશ ભાજપની તારીખ મળતાની સાથે અશ્વિન કોટવાલ ખેડબ્રહ્મા ખાતે શક્તિ પ્રદર્શન યોજી ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરશે. ઉલ્લેખનીય છે કે, કોટવાલના સોગઠા ગોઠવાયા છે પરંતુ વિધિવત જાહેરાતની રાહ જોવાઈ રહી છે. પ્રદેશ ભાજપના ઇન્ડિકેશન પર કોટવાલના ભાજપ પ્રવેશ અંગે રણનીતિ ઘડાશે કોટવાલની સાથે સ્થાનિક ટેકેદારો અને અગ્રણીઓ પણ ભાજપમાં જોડાશે.