સૌરાષ્ટ્ર યુનિ.માં એક સાથે 400થી વધુ કર્મીઓને કરાયા છુટા
ભરતી કૌભાંડ ખુલ્યા બાદ સૌરાષ્ટ્ર યુનિ.માં સૌથી મોટો નિર્ણય
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ ખુલ્યા બાદ મોટા નિર્ણય લેવામાં આવ્યો છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એકસાથે 400થી વધારે કર્મીઓને છૂટા કરી દેવામાં આવતા હડકંપ મચી ગયો છે. કરાર આધારિત ભરતી કરાયેલા 400થી વધુ કર્મીઓને કરાર પૂર્ણ થતા છૂટા કરવામાં આવ્યા છે અગાઉ કર્મચારીઓને કરાર પર રિન્યુ કરી પાછા રાખવામાં આવ્યા હતા. જો કે સમગ્ર કૌભાંડ સામે આવ્યા બાદ સરકારે છૂટા કરવા યુનિવર્સિટીને આદેશ કર્યો હતો.
કરાર આધારિત ભરતી કરાયેલ 400થી વધુ કર્મી છુટા કરાયા
સરકારના આદેશ બાદ યુનિવર્સિટીએ કરાર આધારિત કર્મીઓને છૂટા કરતા હવે કર્મચારીઓની આજીવિકાને લઈને સવાલ ઉઠી રહ્યા છે. 400થી વધુ કર્મચારીઓ ઉપર નોકરીનું જોખમ ઊભું થયું છે. યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ સહિતના જુદા જુદા વિભાગમાં વહીવટી કામગીરી જેમના શિરે છે તેવા કરારી કર્મચારીઓને એકાએક છૂટા કરી દેવાતા યુનિવર્સિટીની વહીવટી કામગીરી ખોરંભાશે તેવી ભીતિ સેવાઈ રહી છે.
અગાઉ ભરતી યુની.માં કરાર રિન્યુ કરી રખાયા હતા કર્મચારી
મહત્વનું છે કે રાજ્ય સરકારના 30થી વધુ કર્મીઓ, 15થી વધુ એપ્રેન્ટિસ, સેલ્ફ ફાઇનાન્સના 40 અને પરીક્ષા વિભાગના 250થી વધુ કર્મચારીઓના કરાર પૂર્ણ થતા મૌખિક રજા આપી દેવામાં આવી છે અને હવે સરકારમાંથી મંજૂરી મળશે તો જ આ કર્મીઓના કરાર આધારિત રિન્યૂ કરવામાં આવશે. આમ એકસાથે 400થી વધુ કરાર આધારિત કર્મચારીઓ છુટા કરી દેવામાં આવતા કર્મચારીઓ નોકરી વિહોણા થઇ ગયા છે 400 પરિવાર ઉપર આર્થિક સંકટની સ્થિતિ સર્જાઈ છે.
યુનિ.માં ભરતી અંગે આગામી દિવસોમાં રાજ્ય સરકાર લેશે નિર્ણય
ઉલ્લેખનિય છે કે તાજેતરમાં સરકારે પરિપત્ર કરી જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં તમામ ભરતી હવે સરકારની પૂર્વ મંજૂરી બાદ જ કરવાની રહેશે. તેથી 400થી વધુ કર્મીઓને કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવા કે કેમ તે માટે સરકારનું માર્ગદર્શન મગાયું છે. યુનિવર્સિટીમાં ભરતી અંગે આગામી દિવસોમાં રાજ્ય સરકાર નિર્ણય લેશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નવી જાહેરાતની રાહ જોઇ રહી છે. 17 ડિસેમ્બરે રાજ્ય સરકારના નિર્ણય બાદ ભરતી કરાશે જો કે હાલ છુટા કરાયેલા તમામ કર્મચારીઓ ફરી ફોન આવે તેની રાહ જોઈ રહ્યા છે.