હૈદરાબાદમાં દિશા ઉપર થયેલા સામૂહિક બળાત્કારના નરાધમોને જે અંજામ આપવામાં આવ્યો તેનાથી દેશ બે વિચારધારાઓમાં વહેંચાઈ ગયો છે. કેટલાક લોકો આ એન્કાઉન્ટરને સાચો ન્યાય ગણાવે છે જયારે કેટલાક લોકો આ ઘટનાને ન્યાયપ્રણાલી સાથે ચેડાં થયા હોવાનું ગણાવે છે.
અંગ્રેજીમાં એક કહેવત છે કે જે ન્યાય સમયસર નથી મળતો તેનો અર્થ ન્યાય નથી મળ્યો એમ જ ગણી શકાય. દેશમાં ચાલી રહેલા ચુકાદો બાકી હોય તેવા કેસીસની સંખ્યા જોતા આ કહેવત ચરિતાર્થ થઇ હોય તેવું લાગે છે.
દેશની જિલ્લા અને તાલુકા અદાલતમાં કુલ અધધ 3 કરોડ 17 લાખ 35 હજાર 214 કેસીસ ચાલી રહ્યા છે. આમાંથી 2 કરોડ 27 લાખ 95 હજાર 420 કેસીસ ક્રિમિનલ કેસીસ છે. આ પૈકી 41682 કેસીસ 30 વર્ષથી કોર્ટમાં ચાલે છે.
દુષ્કર્મ અને અને બાળકો સાથે કરેલા દુષ્કર્મ સામે કેસીસ ચલાવવા માટે દેશમાં 1023 ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાનો પ્રસ્તાવ છે. આ પૈકી 400 અદાલતો માટે સહમતિ મળી ચુકી છે અને 160 તો બની પણ ચુકી છે. આ ઉપરાંત દેશમાં 704 ફાસ્ટ ટ્રેક કોર્ટ પહેલેથી કાર્યરત છે.
UPમાં સૌથી વધુ 36008 દુષ્કર્મ અને પૉસ્કોના કેસીસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલી રહ્યા છે. UPમાં 218 ટ્રેક કોર્ટ કાર્યરત છે. બીજા ક્રમે મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22775 કેસીસ પેન્ડિંગ ચાલી રહયા છે.
કરોડો લોકો વર્ષોથી કોર્ટ કચેરીના ચક્કર કાપે છે અને તેમનો સમય અને પૈસા વેડફે છે જયારે બદલામાં તેમને તારીખો જ તારીખો મળી રહી છે. તેલંગણા પોલીસે જે એન્કાઉન્ટર કર્યું અને ત્યાર બાદ લોકો એ જે રીતે તેમની ઉપર ફૂલો વરસાવ્યા તે આ લાંબી રાહને કારણે જન્મેલી નિરાશાની અકળામણ છે. કદાચ આ કારણે જ લોકો આ ગોળી ધરબી દેવાની ઘટનાના સમર્થનમાં છે.
66 વર્ષથી મહારાષ્ટ્રમાં છે સૌથી જૂનો પેન્ડિંગ કેસ
સતારાની નીચલી અદાલતમાં સૌથી જૂનો કેસ 66 વર્ષથી ચાલી રહ્યો છે. 31 માર્ચ 1953માં IPC કલમ 406 વિશ્વાસઘાત હેઠળ આ મામલો નોંધાયો હતો. આ કેસની આવતી સુનાવણી 19 ડિસેમ્બર 2019માં થશે.