કોરોના કાળ બાદ શક્તિપીઠ પાવાગઢ ખાતે માં મહાકાળીના ભક્તો માટે આ પ્રથમ એવી નવરાત્રી છે, જ્યારે ભક્તો તમામ સુવિધાઓ અને છૂટછાટ સાથે માતાજીના દર્શન કરી રહ્યા છે. આજે અત્યાર સુધીમાં 2 લાખથી વધુ લોકોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી છે.
પાવગઢ ખાતે પહેલા નોરતે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
2 લાખથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી
દિવસ-રાત મશીનરી ચાલુ રાખીને બનાવાઈ રહી છે સુખડી
માં શક્તિની ઉપાસના અને ભક્તિના મહાપર્વ નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર પંચમહાલ જિલ્લામાં આવેલા યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે આજે મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સદીઓ બાદ નિજ મંદિર શિખર પર ધ્વજારોહણ અને મંદિરના નવીનીકરણ કરાયા બાદની પ્રથમ નવરાત્રી ઉજવાઈ રહી છે.
પહેલા નોરતે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
પહેલા નોરતે જ પાવગઢમાં માતાજીના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. આજે નવરાત્રીના પ્રથમ દિવસે 2 લાખથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી છે. કોરોના કાળ બાદ શક્તિપીઠ પાવાગઢ ખાતે માં મહાકાળીના ભક્તો માટે આ પ્રથમ એવી નવરાત્રી છે, જ્યારે તેઓ તમામ સુવિધાઓ અને છૂટછાટ સાથે માતાજીના દર્શન કરી રહ્યા છે.
વહીવટી તંત્ર દ્વારા ખાસ સુચારુ આયોજન કરાયું
એમાંય પાવાગઢના નવીનીકરણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધ્વજારોહણ કરી પાવાગઢની તમામ સુવિધાઓનું લોકાર્પણ કર્યું ત્યારથી અહીં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવી રહ્યા છે. જે જોતાં મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા ખાસ સુચારુ આયોજન કરાયું છે. મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓ માટે પીવાનું પાણી, સ્લોટ મુજબ દર્શન વ્યવસ્થા, નવરાત્રી દરમિયાન નિજ મંદિરને વહેલું ખુલ્લું મુકવું, સફાઈ કામગીરી સહિતનું આયોજન કરાયું છે. તંત્ર અને પાવાગઢ ટ્રસ્ટ દ્વારા મંદિરના કપાટ 8 વાગ્યે બંધ થયા બાદ પણ રોપવે 10 વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નવરાત્રીમાં માતાજીના દર્શનનો સમય
નવરાત્રી દરમિયાન એકમથી છઠ સુધી અને નોમથી તેર સુધી ભક્તો સવારના 5 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી માતાજીના દર્શન કરી શકશે. જ્યારે સાતમ અને આઠમના દિવસે એક કલાક વહેલું મંદિર ખુલી જશે, એટલે કે ભક્તો સવારના 4 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી માતાજીના દર્શન કરી શકશે.
નવરાત્રી દરમિયાન 60 ટન સુખડીના પ્રસાદનું થાય છે વિતરણ
પંચમહાલના પાવાગઢમાં પ્રસાદનો અનેરો મહિમા છે. નવરાત્રીમાં મંદિર ખાતે આવતા ભક્તોને સુખડીના પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. પાવાગઢની સુખડીના પ્રસાદનો નવરાત્રીમાં લાખો ભક્તો લાભ લે છે. નવરાત્રીના નવ દિવસ, પૂનમ દરમિયાન પાવાગઢમાં સુખડી બનાવવામાં આવે છે. પ્રસાદી બનાવવાની પ્રક્રિયા સતત નવ દિવસ સુધી ચાલતી રહે છે. આ વર્ષે પણ દિવસ-રાત મશીનરી ચાલુ રાખીને સુખડી બનાવવામાં આવી રહી છે. કાલિકા ટ્રસ્ટ દ્વારા નવરાત્રી દરમિયાન 60 ટન સુખડીના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તોને પૂરતો પ્રસાદ મળી રહે છે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે.