કોરોનાએ સમગ્ર વિશ્વને સમય દર્શવાતા મોરબીના વિશ્વ વિખ્યાત ઘડિયાળ ઉદ્યોગના કાંટા ધીમા પાડી દીધા છે. લૉકડાઉન ખુલ્યા બાદ શરૂ થયેલા મોરબીના ઘડિયાળ ઉધોગ સામે અનેક પડકારો આવ્યા છે. અત્યાર સુધીમાં ઘડિયાળ ઉધોગનો સૌથી વધુ ખરાબ સમય આવ્યો છે.
મોરબીના ઘડિયાળ ઉદ્યોગને કોરોનાનો કાટ લાગ્યો
મહામારીમાં ખાડે ગયો ઘડિયાળ ઉદ્યોગ
70-80 ટકા ઉત્પાદનમાં ઘટાડો
ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને સમયનું મહત્વ સમજાવતા મોરબીના ઘડિયાળ ઉદ્યોગને કોરોનાનો કાટ લાગ્યો છે. કોરોનાએ તેને સમયથી પાછળ છોડી દીધું છે. કારણ કે, મોરબીની ઘડિયાળો વિશ્વના અનેક દેશોમાં નિકાસ થાય છે. કોરોના પહેલા ઘડિયાળ ઉધોગની સ્થિતિ મહદઅંશે સારી હતી. કોરોનાકાળ પહેલા 175 વધુ ઘડિયાળના નાના મોટા એકમોમાં દરરોજની દોઢ લાખથી વધુ ઘડિયાળનું ઉત્પાદન થતું હતું.
પરંતુ જેવું જ લૉકડાઉન લાગ્યું કે, આ ઉત્પાદન પર પણ લોક લાગી ગયો. લૉકડાઉન ખુલ્યું પણ ખરું, ઉદ્યોગો શરૂ પણ થયા, પરંતુ દોઢ લાખ ઘડિયાળનું ઉત્પાદન 25થી 30 હજારે આવીને ઊભી રહી ગયું. 70-80 ટકા ઉત્પાદનમાં ઘટાડો થયો છે.
મોરબીમાં 80થી 90 ટકા જેવા ઘડિયાળના નાના મોટા એકમો આવેલા છે. પરંતુ હાલની સ્થિતિમાં તમામ એકમો માત્ર ચાલવા ખાતર ચાલી રહ્યા છે. કોરોનાના કારણે કેટલાક ઉદ્યોગો ચાલે છે પરંતુ ખોટમાં ચાલે છે. કારણ કે, વિદેશમાં માલ-સામાન જતો નથી. ઉત્સવો અને સામાજીક પ્રસંગો પર પ્રતિબંધના કારણે લોકો ખરીદી કરતા નથી. તેવામાં ઉદ્યોગ ચલાવવા તે પણ ખોટના ધંધા સમાન છે.
મહત્વનું છે કે, મોરબીમાં સીરામીક ઉદ્યોગમાં તો અત્યારે તેજીના પુર આવ્યા છે. આઝાદીથી શરૂ થયેલા વર્ષો જુના ઘડિયાળ ઉદ્યોગની કોરોનાએ કેડ ભાગી નાખી છે. તેમાંય સરકારની નીતિઓથી ઉદ્યોગકારો વધુ પરેશાન છે. એક સમયે દરરોજ હજારો ઘડિયાળ બનાવતા ઘડિયાળ ઉદ્યોગનું હાલ ઉત્પાદન એટલી હદે ખોરવાયું છે કે સામાન્ય એક ઉદ્યોગકાર માંડ-માંડ 5 હજારથી 7 હજાર ઘડિયાળ બનાવી શકે છે.