દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ મોરબી પૂલ હોનારતમાં માતાપિતા ગુમાવનાર બાળકો માટે 5 કરોડની સહાય જાહેર કરી છે.
મોરબી પૂલ હોનારતમાં પીડિત બાળકોની મદદ માટે આગળ આવ્યાં ગૌતમ અદાણી
બાળકો માટે જાહેર કરી 5 કરોડની સહાય
પૂલ દુર્ઘટનામાં અનાથ બનેલા દરેક બાળકને આપશે 25 લાખ
મોરબી પૂલ દુર્ઘટનામાં માતાપિતા ગુમાવનાર બાળકોની મદદ માટે ગૌતમ અદાણી આગળ આવ્યાં છે. ગૌતમ અદાણીની માલિકીના અદાણી ફાઉન્ડેશને પૂલ દુર્ઘટનામાં માતાપિતા ગુમાવનાર બાળકોની સહાય માટે 5 કરોડનું દાન જાહેર કર્યું છે.
પીડિત દરેક બાળકને મળશે 25 લાખ
પૂલ દુર્ઘટનામાં એક અથવા તો બન્ને માતાપિતા ગુમાવનાર 20 બાળકો માટે 25 લાખનું ફંડ શરુ કરવામાં આવશે એક બાળક તો હજુ જન્મવાનું બાકી છે. ગર્ભવતી મહિલાના પતિનું દુર્ઘટનામાં મોત થયું છે. અદાણી ફાઉન્ડેશને આ ન જન્મેલા બાળક માટે પણ ફંડ જાહેર કર્યું છે. અદાણી ફાઉન્ડેશનના એક્ઝીક્યુટીવ ડિરેક્ટર વસંત ગઢવીએ આ સંદર્ભમાં મોરબીના કલેક્ટરને એક કમિટમેન્ટ લેટર સોંપ્યો હતો. માતાપિતા ગુમાવનાર દરેક બાળક માટે 25 લાખની એફડી કરાવવામાં આવશે અને તેમાંથી આવતા વ્યાજથી બાળકોનો ખર્ચ નીકળશે. અદાણી ફાઉન્ડેશનના ચેરમેન પ્રીતિ અદાણીએ કહ્યું કે મોરબી પૂલ દુર્ઘટનામાં સૌથી વધારે મોટી અસર નાના બાળકો પર પડી છે. આવા બાળકોને હજુ સુધી ખબર નથી કે તેમના માતાપિતા હવે ફરી વાર ક્યારેક તેમને નહીં મળી શકે. પ્રીતિ અદાણીએ કહ્યું કે અમે જે થોડી ઘણી મદદ જાહેર કરી છે તેનાથી પીડિત બાળકોનું જીવન સરળ બની જશે અને તેમને સામાન્ય જિંદગી જીવવામાં મદદ મળશે. આવા બાળકોને યોગ્ય શિક્ષણ મળે અને તેઓ સારુ જીવન જીવી શકે તે માટે અમે તેમને માટે ફંડ ફાળવવાનો નિર્ણય કર્યો છે.