ભારતમાં માત્ર બે ઝૂલતા પુલ છે જેમાંનો એક લક્ષ્મણ ઝુલા અને બીજો મોરબીનો ઝુલતો પુલ. આ પુલ છેલ્લા ઘણા મહિનાથી બંધ હતો જો કે, આજે નવા વર્ષના પહેલા દિવસે જ આ ઝૂલતા પુલને શરૂ કરવામાં આવતાં તેના પર પસાર થવાનો રોમાંચ માણવા મોટી સંખ્યમાં સહેલાણીઓ ઉમટી પડ્યા હતા.
મોરબીમાં વિકસ્યું ઘર આંગણે પ્રવાસન સ્થળ
જૂના વારસાનું નવું નજરાણું
ફરી ખુલ્લો મૂકાયો ઝૂલતો પૂલ
મોરબીમાં ઘર આંગણે વિશ્વકક્ષાનો ઝૂલતો પુલ ખુલો મૂકાયો હોય તો લોકો ક્યાંક રોમાંચ માટે દૂર જાય ખરા? ઝૂલતો પુલ છેલ્લા સાત મહિનાથી રીપેરીંગ માટે બંધ હતો અને અંદાજે બે કરોડના ખર્ચે પુલનું રીનોવેશન કાર્ય પૂર્ણ થઈ ગયું હતું આથી આજે નૂતનવર્ષ એટલે કે બેસતાવર્ષના દિવસથી આ ઝૂલતા પુલને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો તો મોરબી આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો પુલ ઉપર ફરવા માટે ઉમટી પડ્યા હતા.
રાજા સર વાઘજી ઠાકોર દ્વારા ઝૂલતો પુલ બનાવાયો હતો
અત્રે ઉલેખનીય છે કે, મોરબીની મચ્છુ નદી પર રજવાડાના સમયમાં પ્રજાવત્સલ રાજા સર વાઘજી ઠાકોર દ્વારા લાકડા અને વાયરના આધારે ૨૩૩ મીટર લાંબો અને ૪.૬ ફૂટ પહોળો ઝૂલતો પુલ બનાવવામાં આવ્યો હતો જેનો ઉપયોગ પહેલાના સમયમાં રાજા માત્ર રાજ મહેલથી રાજ દરબાર સુધી જવા માટે જ કરતા હતા પરંતુ સમય જતા આ પુલની જવાબદારી મોરબી નગરપાલિકાને સોપવામાં આવી હતી.હાલમાં રજાના દિવસો હોવાથી લોકોને મોરબીમાં ફરવા જેવુ કોઈ સ્થળ ન હોવાથી આ પુલ હરવા ફરવા માટેનું ઉત્તમ સ્થળ બની રહ્યું છે. તેવું કહેવામાં જરાપણ અતિશયોક્તિ નથી
ઓરેવા ટ્રસ્ટને સોંપાઇ પુલની મેન્ટેનન્સ અને રીપેરીંગની જવાબદારી
આ જુલતા પુલનું ઐતિહાસિક મહત્વ જળવાઈ રહે તે માટે ટ્રસ્ટ દ્વારા જિંદાલ કંપનીનેઆ પુલનું રીપેરીંગ કામ કરવામાં આવ્યું હતું અને પાલિકા દ્વારા ઓરેવા ટ્રસ્ટને આગામી ૧૫ વર્ષ સુધી આ પુલની મેન્ટેનન્સ અને રીપેરીંગની સમગ્ર જવાબદારી સોંપમાં આવી છે. જો મોરબીના નગરજનો સહિતના સહેલાણીઓ આ પુલને પોતાની પ્રોપર્ટી સમજીને વાપરશે તો તેનો લાંબા સમય સુધી મોરબીના લોકો તેમજ સહેલાણીઓને લાભ મળશે તે હકીકત છે.