મોરબી બ્રિજ દુર્ઘટનાનાં આરોપી જયસુખ પટેલના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરવામાં આવ્યા છે. ત્યારે જેલમાં તેઓની સાથે ઓરેવાના 2 મેનેજર અને ક્લાર્ક પણ જેલમાં બંધ છે.
મોરબી ઝૂલતા બ્રિજની દુર્ઘટનાનો આરોપી જેલ હવાલે
ઓરેવાના 2 મેનેજર અને ક્લાર્ક સાથે જયસુખ પટેલ જેલમાં બંધ
જેલમાં જયસુખ પટેલ અખબાર અને પુસ્તકોનું કરે છે વાંચન
મોરબી ઝૂલતા બ્રિજની દુર્ઘટનાનો આરોપી જયસુખ પટેલને જેલ હવાલે કરવામાં આવ્યો છે. ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ જેલની કોઠી નંબર-9 માં બંધ છે. જયસુખ પટેલને ઘરના ગાદલા અને ટિફિનની મંજૂરી આપવામાં આવી છે. જેલમાં જયસુખ પટેલ સાથે 2 મેનેજર અને ક્લાર્ક સાથે જયસુખ પટેલ જેલમાં બંધ છે. જયસુખ પટેલ જેલમાં અખબાર અને પુસ્તકોનું વાંચન કરે છે. અગાઉ આ જેલમાં કૌભાંડના આરોપી પરસોત્તમ સાબરિયાને રખાયા હતા. જયસુખ પટેલે 31 ડિસેમ્બરે મોરબી કોર્ટમાં સરેન્ડર કર્યું હતું
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસના આરોપી જયસુખ પટેલના રિમાન્ડ પૂર્ણ થતાં તેને મોરબીની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગ ન કરતા જયસુખ પટેલને જેલ હવાલે કરાયો છે. જયસુખ પટેલના સાત દિવસના રિમાન્ડ દરમિયાન કઈ કઈ માહિતી બહાર આવી તે અંગે હજુ સુધી પોલીસ દ્વારા કંઈ જણાવવામાં આવ્યું ન હતું. મહત્વનું છે કે, પુલ દુર્ઘટના બાદથી ફરાર જયસુખ પટેલે ગત 31મી ડિસેમ્બરે મોરબીની કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. જે બાદ પોલીસે જયસુખ પટેલને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી. પોલીસ દ્વારા જયસુખ પટેલના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. ત્યારે કોર્ટ દ્વારા જયસુખ પટેલના 8 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
જયસુખને આશરો આપનાર સામે પણ થઈ શકે છે કાર્યવાહીઃ સરકારી વકીલ
આ મામલે સરકારી વકીલ એસ.કે વોરાનું મહત્વનું નિવેદન સામે આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, જયસુખ પટેલે કોર્ટમાં સરેન્ડર કર્યું છે. જયસુખ પટેલને કોને કોને આશરો આપ્યો છે તેમની સામે પણ કાર્યવાહી થઈ શકે છે. જયસુખ પટેલની રિમાન્ડમાં અનેક ખુલાસા થઈ શકે છે. હાલ 304 મુજબ ગુનો દાખલ થયો છે, જેમાં આજીવન કેદની પણ જોગવાઈ છે. ચાર્જશીટમાં થયો હતો મોટો ધડાકો
મોરબી પુલ દુર્ઘટના મામલે ગત 27 જાન્યુઆરીએ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઈ હતી. જેમાં ભાગેડું આરોપી તરીકે જયસુખ પટેલનું નામ દર્શાવાયું હતું. કુલ 1262 પાનાની ચાર્જશીટને પોલીસે કોર્ટમાં રજૂ કરી હતી. ચાર્જશીટમાં જયસુખ પટેલે અંગત સ્વાર્થ માટે પુલને અધૂરા સમારકામે ખુલ્લો મુક્યો હોવાનો ધડાકો થયો હતો. પુલ ખુલ્લો મુકવા પાછળ જયસુખ પટેલનો આર્થિક લાભ હોવાનોં પણ દાવો કરવામાં આવ્યો હતો. સમારકામની મુદત એક વર્ષ છતાં છ મહિનામાં કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું હોવાનો ધડાકો થયો હતો. વધુમાં પુલના બે કેબલમાંથી એક કેબલ નબળો હોવા છતા સમારકામ મામલે ઉદાસીનતા દાખવવામાં આવતા મોટી દુર્ઘટના થઈ હતી. તો બીજા કેબલમાં 49માંથી 22 તાર કાટ ખાઘેલા હોવા છતાં રિપેર ન કર્યોનું પણ ભોપાળુ છતું થયું હતું. એટલું જ નહીં ટેકનિકલ મદદ લીધા વગર જ પુલનું કામ સોંપાયું હોવા ઉપરાંત પુલ નદીની ઉપર હોવા છતા લાઇફ સપોર્ટ સિસ્ટમની સુવિધા ન કર્યાનું પણ બહાર આવ્યું હતું.