મોરબી-માળીયા હાઇવે પર સમયાંતરે અકસ્માતની ઘટનાઓ સામે આવે છે. ત્યારે આજે માળીયા હાઇવે પર એક કારનું ટાયર ફાટતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં 5 લોકોના મૃત્યુ થયા છે.
મોરબી-માળિયા હાઇવે પર રોટરી નગર ગામ નજીક કારનું ટાયર ફાટતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા કુલ 5 લોકોના કરૂણ મોત થયા છે. મોરબીના રઘુવંશી લોહાણા સમાજના જાણિતા વકીલ પિયુષ રવેશિયાના પરિવારને અકસ્માત નડ્યો છે. રવેશિયા પરિવારના ચાર સભ્યો સહિત કુલ પાંચ લોકોના મોત થયા છે. પિયુષ રવેશિયાના માતા-પિતા, બહેન અને ભાણેજનું મોત થયું છે. તો અન્ય એક વ્યક્તિનું પણ મોત થયું છે. એક સાથે 5 લોકોના કમકમાટીભર્યા મોત નિપજતા માર્ગ મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો હતો.
કટારિયા ગામેથી પરત ફરી રહ્યો હતો રઘુવંશી પરિવાર
આ અંગે જાણવા મળતી પ્રાથમિક વિગત અનુસાર મોરબીનો રઘુવંશી પરિવાર કટારિયા ગામેથી માતાજીના દર્શન કરીને પરત ફરી રહ્યો હતો. આ વેળાએ તેઓની કારને માળીયા હાઇવે પર અકસ્માત નડ્યો હતો. એક કાર બીજા વાહન સાથે અથડાતા એક સમટા પાંચ જેટલા લોકોના કાળનો કોળિયો બની ગયા હતા.
આ અકસ્માત અંગે બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું કે તેમણે તાકીદે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે વાતચીત કરી હતી. તેઓએ મુખ્યમંત્રીને સહાય અંગે રજુઆત કરતા આ ગમખ્વાર અકસ્માતના મૃતકોના પરિવારજનો પ્રત્યે મુખ્યમંત્રીએ સંવેદના વ્યકત કરી અકસ્માતના મૃતકોને ચાર લાખ અને ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય આપવાની જાહેરાત કરી હતી.
સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી પરત ફરી રહેલા ટેમ્પોમાં સવાર 10થી વધુ લોકોને ઇજા
કારનું ટાયર ફાટ્યા બાદ સામે અન્ય એક કાર સાથે ટક્કર થતા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ કરી પરત ફરી રહેલા કચ્છના પરિવાર સવાર ટેમ્પો પણ અકસ્માતનો ભોગ બન્યો હતો. જેને લઇને ટેમ્પોમાં સવાર 10થી વધુ લોકોને ઇજાઓ પહોંચી હતી.
ઇજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા
બીજી તરફ કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે તેમને મોરબીની સરકારી હોસ્પિટલ સારવાર અર્થે લઇ જવાયા છે, તો મૃતદેહોને મોરબી સિવિલ હોસ્પિટલ લવાયા છે. પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા.
ઇજાગ્રસ્તોની યાદીઃ
ઘનશ્યામભાઈ ભીખાભાઈ રવેશિયા, રહે. મોરબી
વનીતાબેન ભરતભાઇ હીરાણી (ઉ.36), રહે. માધાપર, ભુજ
ભરતભાઇ ધનજીભાઈ હીરાણી (ઉ.36), રહે. માધાપર, ભુજ
દેવેન્દ્ર ભરતભાઇ હીરાણી (ઉ.9), રહે. માધાપર, ભુજ
હેતુલક્ષી ભરતભાઇ હીરાણી (ઉ.10), રહે. માધાપર, ભુજ
ભરતભાઈ વિશ્રામભાઇ ડબાસિયા (ઉ.42) રહે. માધાપર, ભુજ
મંજુલાબેન ભરતભાઈ ડબાસિયા (ઉ.40) રહે. માધાપર, ભુજ
હોસ્પિટલમાં કલ્પાંત દ્રશ્યો સર્જાયા
હોસ્પિટલમાં કલ્પાંત દ્રશ્યો સર્જાયા હતા. આ દરમિયાન હોસ્પિટલ પહોંચેલા બ્રિજેશ મેરજાએ કહ્યું કે, રઘુવંશી પરિવારના સભ્યો કટારિયા ખાતે ધાર્મિક હેતુસર દર્શનાર્થે ગયેલા ત્યાંથી પરત ફરતા સમયે માળીયા પાસે કમનસીબે કરૂણ અકસ્માત સર્જાયો હતો. જેમાં રઘુવંશી સમાજના 3 લોકો ઘટનાસ્થળે અકસ્માતનો ભોગ બન્યા, તો 2 લોકોના હોસ્પિટલમાં મૃત્યુ થયા છે. 5 વ્યક્તિઓના મૃત્યુ પર સંવેદના વ્યક્ત કરીએ છીએ.
આ અકસ્માતમાં મૃત્યુ પામેલા જિજ્ઞાબેન જોબનપુત્રા મોરબીના ભળીયાદ ખાતે તલાટી તરીકે ફરજ બજાવતા હતા. આ ગંભીર અકસ્માતની જાણ થતાં સહકાર અગ્રણી મગન વડાવીયા અને મોરબી લોહાણા સમાજના અગ્રણીઓ મોરબી સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા.