ખાડી દેશોની Gulf Cooperation Council (GCC)એ ભારતથી આયાત થતા સિરામીક ઉત્પાદનો ઉપર 40% થી 106% ડ્યુટી લાદી લીધી છે. આથી મોરબીના પ્રખ્યાત સિરામીક ઉદ્યોગ ઉપર મોટા પાયે પ્રોડક્શન ઘટાડવાની અને ઘણા બધા કામદારોને છુટા કરી દેવાની તલવાર લટકી રહી છે.
મોરબીનો સીરામીક ઉદ્યોગ 12000 કરોડની નિકાસ કરે છે
ગલ્ફ કન્ટ્રીઝ 35-40% નિકાસ ખરીદે છે
850 કુલ એકમોમાંથી 400 એકમો ગલ્ફને સીરામીક વેચે છે.
આ ઉદ્યોગ આશરે 4 લાખ લોકોને રોજગારી પુરી પાડે છે.
મોરબી આશરે 4000 નાના એકમો કાર્યરત છે
75000 જેટલી નોકરીઓ છૂટવાનું જોખમ છે
શું છે GCC?
GCC એ ઇરાક સિવાયના તમામ આરબ દેશો જેવા કે બહેરીન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને યુએઈનું આર્થિક અને રાજકીય સંગઠન છે.
મોરબી દેશમાં સિરામીકનું હબ છે. તે તેના કુલ નિકાસના 35 થી 40% નિકાસ આ દેશોને કરે છે. ઉદ્યોગપતિઓને ડર છે કે આટલી વધારે પ્રમાણમાં ડ્યુટી ઓછામાં ઓછા 400 એકમોને તેમનું પ્રોડક્શન ઘટાડી દેવા મજબુર કરશે જેને લીધે આશરે 75000 લોકોના રોજગાર સામે પ્રશ્નાર્થ ચિન્હ મુકાઈ જશે.
આજથી એક વર્ષ પહેલા GCCમાં સાઉદી અરેબિયાની સ્થાનિક સિરામીક કંપનીએ ભારત, ચીન અને સ્પેન પાસેથી સિરામીક આયાત કરવાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
મોરબી સિરામીક એસોસિએશને આ નિર્ણયનો અભ્યાસ કરીને જાણ્યું કે તેમના મોટાભાગના મોરબીના નિકાસકારો 42.9% ડ્યુટીના ક્રાઈટેરિયામાં આવે છે જયારે ચીન 24%ના ક્રાઈટેરિયામાં આવે છે. આમ મોરબીના ઉત્પાદકોએ ચીન સામે ખુબ નુકશાન વેઠવું પડશે.
850 ઉત્પાદન યુનિટ્સમાંથી 200 યુનિટ્સે તેમના પ્રોડક્ટ સેમ્પલ્સ તપાસ સ્વરૂપે એક વર્ષ પહેલા GCCને મોકલી હતી. આ યુનિટ્સને 42.9% ડ્યુટી લાગશે જયારે જેમણે તેમના પ્રોડક્ટ સેમ્પલ્સ નહોતા મોકલ્યા તેમને 80% થી 100% જેટલી તોતિંગ ડ્યુટી લાગશે.
આશરે 75000 લોકોના રોજગાર સામે ખતરો
સિરામીક યુનિટ્સ આ નિર્ણય સામે 11 નવેમ્બર સુધી પોતાનો વાંધો ઉઠાવી શકે છે. સિરામીક એસોસિએશનના પ્રેસિડેન્ટ નિલેશ જેતપરીયાએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે વોલ ટાઇલ્સના મામલામાં મોરબીની GCCને નિકાસ 4000 કરોડની છે અને આ નિર્ણયથી આશરે 400 યુનિટ્સને મરણતોલ ફટકો પડે તેવી સંભાવના છે.
તેમણે જણાવ્યું હતું કે સિરામિક ઉદ્યોગ કાચા માલના સપ્લાયર્સ, મશીન ઇકવીપમેન્ટ સપ્લાયર્સ, ટ્રાન્સપોર્ટ કંપનીઓ, પાવર સેક્ટર, ગેસ ઇન્ડસ્ટ્રી વગેરે બીજા અનેક ઉદ્યોગો માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જવાબદાર છે. આ તમામને GCCના નિર્ણયથી ખુબ નુકશાન જશે. સરકારે આ માટે તાત્કાલિક રાજનૈતિક પગલા ભરવા પડશે.
મોરબી સીરામીક ઉદ્યોગ માટે પડ્યા ઉપર પાટુ
GCCના આ નિર્ણયથી મોરબી સિરામીક ઉદ્યોગની હાલત વધુ કફોડી બની છે. માર્ચમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે કોલ ગેસીફાયર્સ ધરાવતા ઘણા બધા એકમોને બંધ કરાવી દીધા હતા. આ ઉપરાંત રીયલ એસ્ટેટ માર્કેટ અને રિટેલ સેલ્સની નબળાઈના પગલે આ એકમોએ લગભગ 30% ઉત્પાદન ઘટાડી દીધું છે.
નોંધનીય છે કે મોરબી ઇટાલી, મેક્સિકો, બ્રાઝીલ, તુર્કી જેવા 150 દેશોને વૉલ ટાઇલ્સ, વિટ્રિફાઇડ ટાઇલ્સ, પોલિશ્ડ ટાઇલ્સ, ઈન્ડસ્ટ્રીલ અને ટેક્નિકલ સિરામીક ઉત્પાદનોની નિકાસ કરે છે.