મોરબી ઝુલતા પુલની દુર્ધટનાને પગલે ચાલતું રેસ્કયૂ ઓપરેશન આજે 5માં દિવસે પૂર્ણ થયું છે.
મોરબી ઝુલતા પુલની દુર્ધટનાનો મામલો
રાહત કમિશનરે અંતે રેસ્ક્યુ ઓપરેશન પુર્ણ જાહેર કર્યુ
નદીમાં વિવિધ તપાસ ટીમો દ્વારા હાથ ધરવામાં આવ્યુ હતુ રેસ્ક્યુ
મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનાના 5માં દિવસે મહામહેનતે રેસ્કયૂ ઓપરેશન પૂર્ણ થયું છે. આ અંગે રાહત કમિશનરે રેસ્કયૂ ઓપરેશન પૂર્ણ થયું હોવાનું જાહેર કર્યું છે. મચ્છુ નદીમાં વિવિધ તપાસ ટીમોએ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં NDRF, SDRF, નેવી આર્મી સહિતની ટીમો કામે લાગી હતી. આ દુર્ઘટનામાં 136 લોકોએ ગુમાવ્યા જીવ હોવાનું સામે આવ્યું છે. જેને લઇને રાહત કમિશનરે આજે મોરબીની મુલાકાત લિધી હતી જ્યાં તમામ અધિકારીઓ અને કલેક્ટર સાથે બેઠક યોજી હતી.આ દરમિયાન રેસ્કયૂ ઓપરેશન પૂર્ણ કરવા નિર્ણય લીધો હતો.આ દરમિયાન બચાવ કાર્યમાં સહયોગ આપનારા તમામ તેમજ પત્રકારોનો કલેક્ટરે આભાર માન્યો હતો.
મોરબી દુર્ઘટનામાં અત્યાર સુધી 136 લોકોના મૃતદેહ મળ્યા
આપને જણાવી દઇએ કે, મોરબીમાં ઝુલતો પુલ તુટી પડવાની દુર્ઘટના ઘટી હતી. જેમાં અત્યાર સુધી 136 લોકોના મૃતદેહ મળ્યા છે. ત્યારે રેસ્ક્યુ ઑપરેશનમાં જોડાયેલા NDRFના અધિકારીએ જણાવ્યું કે, આખી રાત રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે. 6 બોટ દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી હતી, જ્યારે 4 બોટને રિઝર્વમાં રખાઇ હતી. ત્યારબાદ આજે 5માં દિવસે મહામહેનતે રેસ્કયૂ ઓપરેશન પૂર્ણ થયું છે.
ઓરેવા કંપનીનો પત્ર વાયરલ થયો
આ સમગ્ર શોકના માહોલ વચ્ચે મોરબી પુલ દુર્ઘટના બાદ ઓરેવા કંપનીનો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઓરેવા કંપનીએ 2020માં પાલિકાને પત્ર લખ્યો હતો, અને પુલને રિપેર કરીને શરૂ કરવા પત્રમાં માગણી કરાઈ હતી. ઓરેવા કંપનીએ જાન્યુઆરી 2020થી ઓગસ્ટ 2020 સુધી પાલિકાને 6 વખત પત્ર લખ્યો હતો. જેમાં પુલ રિપેરના કોન્ટ્રાક્ટ માટે માગણી કરાઈ હતી.
રાજ્યવ્યાપી શોક મનાવવામાં આવ્યો
આ ગોઝારી ઘટનાને લઈને આજે ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક મનાવવામાં આવ્યો હતો. ગત તા.2 ના રોજ સ્વર્ણિમ સંકુલ અને વિધાનસભા સહિત કચેરી પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાયો હતો. તેવી જ રીતે સુરત અને રાજકોટમાં કોર્પોરેશન, કલેક્ટર, જિલ્લા પંચાયત સહિત દરેક સરકારી કચેરીમાં આજે અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો, વધુમાં મોરબી બાદ રાજકોટ બાર એસોસિયેશન દ્વારા પણ એક વિશાળ મૌન રેલીનું આયોજન કરીને મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ આપી હતી. એટલું જ નહીં વકીલ મંડળે આરોપીઓ તરફી કેસ નહીં લડવાનો નિર્ણય કર્યો હતો.