મોરબી પુલ દુર્ઘટના મામલે સ્થાનિક કોર્ટમાં રજૂ કરાયેલા એફએસએલ રિપોર્ટમાં મોટા ધડાકા થયા છે.
મોરબી પુલ દુર્ઘટના મામલો
સ્થાનિક કોર્ટમાં રજૂ કરાયેલા એફએસએલ રિપોર્ટમાં મોટા ધડાકા
પુલના કેબલ-બોલ્ટ કટાઇ ગયા ઉપરાંત અનેક ખામી સામે આવી
મોરબીમાં 135 નિર્દોષ લોકોને મોતના ખપ્પરમાં હોમનાર ઝૂલતા પુલની દુર્ઘટના આખા વિશ્વમાં ગાજી હતી. ત્યારબાદ આ મામલે મોરબીની સ્થાનિક કોર્ટમાં રજૂ કરાયેલા એફએસએલ રિપોર્ટમાં મોટા ધડાકા થયા છે. જેમાં આ બ્રિજનું સંચાલન કરતી કંપની સકંજામાં આવી છે. જેમાં ઝૂલતા પુલના કેબલ અને બોલ્ટ કટાઇ ગયેલા અને બોલ્ટ ઢીલા થઇ ગયા હોવાનું ઉપરાંત સીકયુરીટી ગાર્ડને કોઇ ટ્રેનિંગ આપવમાં આવી ન હોવાનું તેમજ આ દુર્ઘટનાના દિવસે એટલે કે 30 ઓક્ટોબરે 3165 ટિકિટ આપી દેવમાં આવી હોવાના ખુલાશા થયા છે. પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ પી.સી.જોષીની કોર્ટમાં ફરિયાદ પક્ષે આ અંગે પુરાવા રજૂ કર્યા હતા.
દુર્ઘટનાના દિવસે આડેધડ 3165 ટિકિટો આપી દીધી
મોરબી હોનારતમાં પોલીસ દ્વારા 9 આરોપીઑ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે 9 માંથી આઠ આરોપીઓની જામીન અરજી પર સુનાવણી કરવામાં આવી હતી આ વેળાએ FSL નો સ્થાનિક કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન કોર્ટ સમક્ષ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે બ્રિજનું સંચાલન કરતી ઓરેવા કંપનીએ રૂપિયાની લહાઈમાં દુર્ઘટનાના દિવસે આડેધડ 3165 ટિકિટો આપી દીધી હતી.
ટિકિટ કલેક્ટર વચ્ચે પણ કોઇ તાલમેલ ન હોવાનું ખૂલ્યું
રિપોર્ટમાં જણાવ્યા બ્રિજના છેડે રહેલા ટિકિટ કલેક્ટર વચ્ચે પણ કોઇ તાલમેલ ન હોવાનું ખૂલ્યું હતું. પુલ કેટલા લોકોના વજનની ક્ષમતા ધરાવે છે અને કેટલા લોકોને અંદર જવા દેવા જોઈએ. એ બાબતે કોઇ કર્મચારીઑ વચ્ચે સંકલન હતું નહીં. વધુમાં એક સમયે કેલેક્ટ કરેલી ટિકિટનો કોઈ રેકોર્ડ છે.તેવા અદાલતના સવાલના જવાબમાં આરોપીઑ પાસે કોઈ જવાબ ન હોવાનું પણ સામે આવ્યું છે. એટલુ જ નહિ એક સમયે કેટલા લોકો બ્રિજ પર જઇ શકે અંગેનો પણ કોઈ જવાબ ન હતો જેને લઇને આઠ આરોપીઓની જામીન અરજીનો વિરોધ કરાયો હતો જેમાં એ વાત પણ સામે આવી છે કે સિક્યોરિટી ગાર્ડ અલ્પેશ ગોહિલ, દિલીપ ગોહિલ અને મુકેશ ચૌહાણ કોન્ટ્રાક્ટ મજૂર છે, જેને અન્ય કોઈ અનુભવ પણ ન હોવાનું સામે આવ્યું છે.
100 ટિકિટ વેચાયા બાદ એન્ટ્રી રોકી દેવાની મેનેજરની ફરજ
ફરિયાદ પક્ષે ઓરેવાના મેનેજર દીપક પારેખની જામીન અરજીનો વિરોધ કરી જણાવ્યું હતું કે જે કંપની સાથે સમારકામનું કામ પેટા કોન્ટ્રેક્ટ દેવ પ્રકાશ સોલ્યુશન્સ દ્વારા કરવામાં આવ્યું હતું તે આ કામના અનુભવી નથી. વધુમાં કોર્ટમાં વકીલે દલીલ કરતા કહ્યું હતું કે ઓરેવા કંપનીના એક મેનેજર તરીકે 100 ટિકિટ વેચાયા બાદ લોકોની એન્ટ્રી રોકી દેવાની તેમની ફરજ હતી. લોકો બ્રિજની બહાર જાય ત્યારબાદ જ અન્યને પ્રવેશ આપવાની તેમની ફરજ બને છે. તેથી જ આરોપી આઈપીસી કલમ 304 (ગુનેગાર હત્યા)માંથી છટકી શકે નહીં.