મોરબીના હળવદના મોડી રાતે જૂથ અથડામણ થતા સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હતો. હળવદના જંગરીવાસમાં બજંરગદળના હોદ્દેદારો અને સંયોજકો પર તલવારથી હુમલો કરવામાં આવ્યો. તલવારથી હુમલો કરાતા બજરંગદળના બે હોદ્દેદારો પણ ઈજાગ્રસ્ત થયા છે.
ઈજાગ્રસ્તોને હાલ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગત મુજબ જૂની અદાવતમાં આ હુમલો થયાની આશંકા છે. તો હુમલા બાદ હળવદમાં અચોક્કસ મુદ્દતનું બંધનું એલાન પણ જાહેર કરવામાં આવ્યું છે. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
આ ઘટના અંગે પ્રાપ્ત થયેલ જાણકારી મુજબ હળવદ તાલુકાના જંગરીવાસ વિસ્તારમાં ગત મધરાત્રીએ બઘડાટી બોલી જવા પામી હતી. તાજીયા વખતે સમાધાન કરાવવામાં હાજર રહેલા તાલુકા બજરંગ દળ સંયોજક અને અન્ય એક પર તલવાર વડે હુમલો કરવામાં આવતા તેઓ ઘાયલ થયાં હતા.
જો કે આ ઘટના અંગેની જાણકારી નજીકના પોલીસ મથકે થતાં પોલીસ કાફલો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને અન્ય કોઇ અઘટિત બનાવ ના બને તે માટે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.