મોરબીના નવલખી રોડ પર એસિડ ભરેલુ ટેન્કર પલટ્યું હોવની ઘટના બની હતી. ગત શનિવારની મોડી રાતે એસિડ ભરેલું એક ટેન્કર પલટ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ ફાયર વિભાગે ટેન્કર હટાવવાની કામગીરી શરૂ કરી હતી. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જનહાનિ થઈ નથી.
આ ઘટના અંગે મળતી વિગત અનુસાર મોરબી પાસેથી પસાર થતાં હાઇવે પર તાજેતરમાં કંડલાથી જલદ એસિડ ભરીને નીકળેલું એક ટેન્કર નવલખી ફાટક પાસે પલટી ખાતા રસ્તા પર એસિડના ખાબોચીયા છલકાયાં હતા.
એસિડ જલદ હોવાને કારણે હાઇવે પરથી પસાર થતાં ટ્રાફિકને અટકાવી દેવાની ફરજ પડી હતી. આ ઘટના અંગેની જાણ નજીકના પોલીસ મથક અને ફાયર બ્રિગેડને થતાં બંન્નેની ટીમ યુધ્ધના ધોરણે ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મામલાને સંભાળી લીધો હતો.
ઉલ્લેખનીય છે કે કંડલાથી એસિડ ભરેલ ટેન્કરે પલટી ખાતા રસ્તાની આસપાસ રહેલા ખેતરોમાં એસિડ ફેલાઇ ગયું હતું જેના કારણે પાકને નુકસાન પણ પહોંચ્યું હતું. જો કે આ ઘટનામાં કોઇ જાનહાનિ થયા હોવાના સમાચારો હજી પ્રાપ્ત થઇ શક્યા નથી.