કથાકાર મોરારી બાપુ હાલ ખુબ ચર્ચામાં છે. થોડા સમય પહેલા દેવભૂમિ દ્વારકામાં ધર્મ સ્થાપના અને કૃષ્ણ પરિવાર પર નિવેદનને લઇને ભારે વિવાદમાં આવ્યા હતા. જે બાદ યદુવંશીઓ વિરોધ અને આક્રોષ જોતા બાપુએ બે વખત માફી માંગીને સાક્ષાત દ્વારકા ભગવાન કૃષ્ણના દર્શન ગયા હતા. પરંતુ દ્વારકામાં કૃષ્ણ ભક્ત અને ભાજપના નેતા પબુભા માણેના રોષનો સામનો કરવો પડ્યો હતો. પબુભા મારવા દોડ્યા તો સાંસદ પુનમ માડમે બાપુને રોકી લીધા હતા. પરંતુ આ ઘટના બાદ હવે માહોલ ગરમાયો છે. સંતો અને આહીર સમાજ હુમલાની વિરુદ્ધમાં મેદાનમાં આવ્યા છે. મહુવા બંધનું એલાન કરાયું છે. મોટી સંખ્યામાં સાધુ-સંતો મહુવા એકઠા થયા છે. તો બીજી તરફ સૂત્રો દ્વારા એવી માહિતી મળી રહી છે કે, પબુભા માણેકને મોરારિ બાપુની માફી માંગે તેવા ભાજપ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પરંતુ પબુભા માફી નહીં માંગે તેવા સમાચાર સામે આવી રહ્યા છે.
દ્વારકામાં મોરારિ બાપુ પર થયેલા હુમલા બાદ રાજ્યભરના લોકોમાં રોષ
મોરારિ બાપુ પર થયેલા હુમલા મામલે રાજ્યભરના સાધુ સંતો, સમર્થકો અને આહિર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં અનેક જગ્યાએ પબુભા માણેકનો વિરોધ થઇ રહ્યો છે. રાજ્યભરના સાધુ-સંતો, નેતાઓ અને સમર્થકો ભાવનગરના મહુવાના તલગાજરડામાં મોરારિ બાપુને મળવા માટે પહોંચ્યા હતા. દ્વારકામાં મોરારિ બાપુ પર થયેલા હુમલા બાદ રાજ્યભરના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સાધુ સંતો સહિતના લોકો મોરારિબાપુના સમર્થનમાં આવ્યા છે. ત્યારે હવે પબુભા માણેક મોરારિબાપુની તલગાજરડા જઇ બાપુની માફી માગે તેની ઉગ્ર માગ થઇ રહી છે. બાપુના તરફેણમાં સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ આવેદન અપાયા છે. આગેવાનોની સમજાવટ છતા પબુભા માફી મુદ્દે અસમંજસમાં છે. ત્યારે હવે ભાજપ મોવડી મંડળ પણ વિવાદને શાંત પાડવા મેદાનમાં આવ્યું છે. જોકે હજુ પબુભા માણેક માફી માંગવાના મૂડમાં નથી લાગતા.
પબુભા માણેક મોરારિ બાપુની માફી માંગવા નહીં જાય
ભાજપના નેતા પબુભા મણેકને લઇને ભાજપની મુશ્કેલીમાં વધારો થયો છે. મોરારિબાપુ પર હુમલાના પ્રયાસની ઘટના બાદ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને ભરત પંડ્યા મોરારિ બાપુને મળવા પહોંચ્યા છે. આ વચ્ચે સૂત્રો દ્વારા એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે, પબુભા માણેક હજુ માફી માંગવા માટે તૈયાર નથી. જોકે પબુભા મોરારિબાપુની માફી માંગે તેની ઉગ્ર માગ થઇ રહી છે. ત્યારે હવે દ્વારકામાં પબુભા માણેકને આગામી સમયમાં ચૂંટણી લડવી ભારે પડી શકે છે. દ્વારકામાં આહિર સમાજની મોટી વસ્તી છે. ભાજપ મોવડી મંડળ વિવાદને શાંત પાડવા મેદાનમાં આવ્યું છે. પબુભા માણેક મોરારિ બાપુની માફી માંગવા નહીં જાય તેવું લાગી રહ્યું છે. કારણ કે, હાલ પબુભા તલગાજરડા જવા નથી નિકળ્યા પરંતુ તેઓ પબુભા માણેક હાલ પોતાની ગૌશાળાએ હાજર છે.
પબુભા વિવાદને લઈને આહીર સમાજનો નિર્ણય
ભાજપના દિગ્ગજો, સમાજ અગ્રણીઓની સમજાવટ અને સમર્થકોની માંગ છતા પબુભા માણેક માફી ન માંગે તેવું જણાઇ રહ્યું છે. ત્યારે આવતીકાલે પબુભા સામે આહીર સમાજ ફરિયાદ નોંધાવાશે. આહીર સમાજની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. આ બેઠકમાં સાંસદ પૂનમ માડમ પણ હાજર રહ્યા હતા.
પબુભા સામે પોલીસ કાર્યવાહી કરાશેઃ ભુપેન્દ્રસિંહ ચુડાસમા
તો શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મોરારિબાપુની મુલાકાત બાદ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, પબુભા સામે પોલીસ કાર્યવાહી કરાશે. અમે માત્ર બાપુ પાસે લાગણીથી મળવા અવ્યા છીએ. તો મોરારિ બાપુને મળ્યા બાદ ભરત પંડ્યાએ કહ્યું કે, કાયદો કાયદાનું કામ કરશે. અમારી લાગણી જ્યાં પહોંચાડવાની હશે ત્યાં પહોંચાડીશું.
સાંસદ ભારતીબેન મોરારિ બાપુને મળવા પહોંચ્યા
મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા બાદ સાંસદ ભારતીબેન શિયાળ પણ મોરારિ બાપુને મળવા પહોંચ્યા હતા. લોક કલાકારોમાં પણ હુમલાને લઇ રોષ ફેલાયો છે ત્યારે લોક ગાયક કીર્તિદાન ગઢવી મોરારિ બાપુને મળવા પહોંચ્યા છે.
મહુવામાં મોરારિ બાપુના ઘરની બહાર પોલીસ બંદોબસ્ત
ભાવનગરના મહુવામાં મોરારિ બાપુના ઘરની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ભાવનગર SP જયપાલસિંહ રાઠોડે મોરારીબાપુની મુલાકાત લીધી ulr. મોરારી બાપુની સુરક્ષાને લઈને બંદોબસ્ત ગોઠવાયો છે. મોરારિ બાપુના ઘરના પટાંગણમાં 1 PSI સહિત 8 જેટલા પોલીસ જવાનો ફરજમાં જોડાયા છે. 8થી વધુ બાઉન્સરો તૈનાત કરાયા છે. દ્વારકામાં પબુભા માણેકે મોરારિ બાપુ પર હુમલો કર્યો હતો. આ ઘટના બાદ રાજ્યભરના સાધુસંતો તેમને મળવા માટે આવી રહ્યા છે. ત્યારે હવે તેમના ઘરની બહાર પોલીસ અને બાઉન્સરોનો બંદોબસ્ત ગોઠવાયો છે.
મોરારિ બાપુના સમર્થનમાં મહુવા બંધનું એલાન
મોરારિ બાપુના સમર્થનમાં મહુવા બંધ રાખવામાં આવ્યુ છે. મહુવા બંધના એલાનને લઈને માયાભાઈ આહિરે નિવેદન આપ્યુ હતું કે, દ્વારકામાં જે ઘટના બની તેને હું વખોડું છું. દ્રારકાની ઘટનાને મહુવાની જનતાએ વખોડી છે. લોકોએ જે રીતે મોરારિ બાપુને સમર્થન આપ્યુ તેને હું આવકારું છું. દ્વારકામાં પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકે મોરારિ બાપુ પર હુમલો કર્યો હતો. આ ઘટના બાદ લોકોમાં રોષ જોવા મળ્યો. ત્યારે હવે મહુવામાં બંધનું એલાન અપાયું છે.
મોરારિબાપુના સમર્થનમાં APMC સજ્જડબંધ
મોરારિબાપુ પર હુમલાના પ્રયાસના પડઘા ભાવનગરના મહુવામાં પણ પડ્યા છે. મહુવા APMC મોરારિબાપુના સમર્થનમાં આવ્યું છે. મોરારિબાપુના સમર્થનમાં APMC સજ્જડબંધ રહ્યું છે. હરાજી સહિતની તમામ કામગીરી બંધ રાખવામાં આવી છે. યાર્ડ બંધ રાખી વેપારી અને ખેડૂતોએ સમર્થન આપ્યું છે.
વીરપુરમાં મોરારિ બાપુ પર હુમલાના પ્રયાસની ઘટનાનો ભારે વિરોધ થઇ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર ઘટનાના પગલે વિરોધનો વંટોળ જોવા મળી રહયો છે. લોકો પ્રબુભાના કૃત્યનો વિરોધ કરી રહ્યાં છે. વિરપુરમાં પણ વેપારીઓએ આજે મોરારિ બાપુના સમર્થનમાં બંધ પાળ્યું છે.
ભાવનગરમાં મોરારી બાપુના સમર્થનમાં રેલી
દ્વારકામાં મોરારિ બાપુ પર થયેલા હુમલાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભાવનગરમાં મોરારિ બાપુને ભારે સમર્થન મળી રહ્યુ છે. ત્રિપાંખ સાધુ સમાજના લોકો મોરારિ બાપુના સમર્થનમાં એકઠા થયા છે. ગાંધીબાગ ખાતે સાધુ સમાજના લોકો-આગેવાનો એકઠા થયા. ત્યારબાદ ત્રીપાંખ સાધુ સંગઠને પણ બાપુનું સમર્થન કરતા બાઇક રેલી યોજી હતી. પબુભા સામે ઝડપથી કાયદાકિય કાર્યવાહી કરતા માટે ત્રીપાંખ સામે ડેપ્યૂટી ક્લેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું.
શું હતો વિવાદ?
મોરારિબાપુએ રામકથા દરમિયાન ભગવાન કૃષ્ણ અંગે વિવાદીત નિવેદન કર્યું હતુ. ભગવાન કૃષ્ણને મોરારિબાપુએ સફળ વ્યક્તિ ગણાવ્યા ના હતા. મોરારિબાપુના નિવેદન બાદ વિવિધ કૃષ્ણ સમર્થકો મોરારિબાપુના વિરોધમાં આવ્યા હતા. મોરારિબાપુએ સૌ પહેલા આડકતરી રીતે માફી માગી પરંતુ કયાંય નામ ન લીધું. મોરારિબાપુ સામે વિરોધ શમ્યો નહીં. મોરારિ બાપુએ ફરી માફી માંગી. છતા પણ વિરોધ શમ્યો નહીં. મોરારિ બાપુ દ્વારકા જઇને માફી માંગે તેવી માંગ કરવામાં આવી હતી. અંતે વિવાદના 12 દિવસ બાદ મોરારિબાપુએ દ્વારકાધીશ મંદિર જઈને માફી માગી હતી. આ સમયે અગ્રણીઓની હાજરીમાં પબુભા માણેકે મોરારિબાપુ પર હુમલોનો પ્રયાસ કર્યો હતો.