દ્વારકામાં મોરારિ બાપુ પર થયેલા હુમલા મામલે રાજ્યભરના સાધુ-સંતો, સમર્થકો અને આહિર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં અનેક જગ્યાએ ભાજપન નેતા પબુભા માણેકનો વિરોધ થઇ રહ્યો છે. રાજ્યભરના સાધુ-સંતો, નેતાઓ અને સમર્થકો ભાવનગરના મહુવાના તલગાજરડા ગામે મોરારિ બાપુને મળવા માટે પહોંચ્યા હતા. બાપુના તરફેણમાં સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ આવેદન અપાયા છે. સમર્થકો અને આહીર સમાજની માંગ છે કે પબુભા માણેક મોરારિબાપુની તલગાજરડા જઇને માફી માગે. પરંતુ આગેવાનોની સમજાવટ છતા પબુભા માફી માંગવાના મૂડમાં નથી જણાતા. ભાજપના ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ભરત પંડ્યા અને ભારતીબેન શિયાળ દ્વારા વિવાદને શાંત પાડવાના પ્રયાસો કરાયા હતા. જોકે પબુભા તરફથી માફી માંગવા અંગે કોઇ નિર્ણય નથી લેવાયો.
પબુભા માણેક મોરારિ બાપુની માફી માંગવા નહીં જાય!
પબુભા સામે પોલીસ કાર્યવાહી કરાશેઃ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
આવતીકાલે પબુભા સામે આહીર સમાજ ફરિયાદ નોંધાવાશે
મોરારિબાપુ પર હુમલાના પ્રયાસની ઘટના બાદ મંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા અને ભરત પંડ્યા મોરારિ બાપુને મળ્યા હતા. ભૂપેન્દ્રસિંહે બન્ને વચ્ચે મધ્યસ્થી કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા પરંતુ પબુભા માણેક મોરારિ બાપુની માફી માંગવા નહીં જાય તેવું લાગી રહ્યું છે. કારણ કે, હાલ પબુભા તલગાજરડા જવા નથી નિકળ્યા પરંતુ તેઓ પબુભા માણેક હાલ પોતાની ગૌશાળાએ હાજર છે.
પબુભા સામે પોલીસ કાર્યવાહી કરાશેઃ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
તો શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મોરારિબાપુની મુલાકાત બાદ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, પબુભા સામે પોલીસ કાર્યવાહી કરાશે. અમે માત્ર બાપુ પાસે લાગણીથી મળવા અવ્યા છીએ. તો મોરારિ બાપુને મળ્યા બાદ ભરત પંડ્યાએ કહ્યું કે, કાયદો કાયદાનું કામ કરશે. અમારી લાગણી જ્યાં પહોંચાડવાની હશે ત્યાં પહોંચાડીશું.
પબુભા માણેકને આગામી ચૂંટણી લડવી ભારે પડી શકે છે
ભાજપના નેતા પબુભા મણેકને લઇને ભાજપની મુશ્કેલીમાં વધારો થયો છે. આ વચ્ચે સૂત્રો દ્વારા એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે, પબુભા માણેક હજુ માફી માંગવા માટે તૈયાર નથી. જોકે પબુભા મોરારિબાપુની માફી માંગે તેની ઉગ્ર માગ થઇ રહી છે. ત્યારે હવે દ્વારકામાં પબુભા માણેકને આગામી સમયમાં ચૂંટણી લડવી ભારે પડી શકે છે. દ્વારકામાં આહિર સમાજની મોટી વસ્તી છે. ભાજપ મોવડી મંડળ વિવાદને શાંત પાડવા મેદાનમાં આવ્યું છે. પરંતુ પબુભા માણેક માફી નહીં માંગે તેવું સ્પષ્ટ જણાઇ રહ્યું છે.
આવતીકાલે પબુભા સામે આહીર સમાજ ફરિયાદ નોંધાવશે
ભાજપના દિગ્ગજો, સમાજ અગ્રણીઓની સમજાવટ અને સમર્થકોની માંગ છતા પબુભા માણેક માફી ન માંગે તેવું જણાઇ રહ્યું છે. ત્યારે આવતીકાલે પબુભા સામે આહીર સમાજ ફરિયાદ નોંધાવશે. આહીર સમાજની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. આ બેઠકમાં સાંસદ પૂનમ માડમ પણ હાજર રહ્યા હતા.
સાંસદ ભારતીબેન મોરારિ બાપુને મળ્યા હતા
મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા બાદ સાંસદ ભારતીબેન શિયાળ પણ મોરારિ બાપુને મળ્યા હતા. કલાકારોમાં પણ હુમલાને લઇ રોષ ફેલાયો છે ત્યારે લોક ગાયક કીર્તિદાન ગઢવી મોરારિ બાપુને મળવા પહોંચ્યા હતા.
મહુવામાં મોરારિ બાપુના ઘરની બહાર પોલીસ બંદોબસ્ત
ભાવનગરના મહુવામાં મોરારિ બાપુના ઘરની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ભાવનગર SP જયપાલસિંહ રાઠોડે મોરારીબાપુની મુલાકાત લીધી ulr. મોરારી બાપુની સુરક્ષાને લઈને બંદોબસ્ત ગોઠવાયો છે. મોરારિ બાપુના ઘરના પટાંગણમાં 1 PSI સહિત 8 જેટલા પોલીસ જવાનો ફરજમાં જોડાયા છે. 8થી વધુ બાઉન્સરો તૈનાત કરાયા છે. દ્વારકામાં પબુભા માણેકે મોરારિ બાપુ પર હુમલો કર્યો હતો. આ ઘટના બાદ રાજ્યભરના સાધુસંતો તેમને મળવા માટે આવી રહ્યા છે. ત્યારે હવે તેમના ઘરની બહાર પોલીસ અને બાઉન્સરોનો બંદોબસ્ત ગોઠવાયો છે.
મોરારિ બાપુના સમર્થનમાં મહુવા-વીરપુર બંધનું એલાન
મોરારિ બાપુના સમર્થનમાં મહુવા બંધ રાખવામાં આવ્યુ છે. મહુવા બંધના એલાનને લઈને માયાભાઈ આહિરે નિવેદન આપ્યુ હતું કે, દ્વારકામાં જે ઘટના બની તેને હું વખોડું છું. દ્વારકાની ઘટનાને મહુવાની જનતાએ વખોડી છે. લોકોએ જે રીતે મોરારિ બાપુને સમર્થન આપ્યુ તેને હું આવકારું છું. દ્વારકામાં પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકે મોરારિ બાપુ પર હુમલો કર્યો હતો. આ ઘટના બાદ લોકોમાં રોષ જોવા મળ્યો છે. ત્યારે હવે મહુવામાં બંધનું એલાન અપાયું હતું.
શું હતો વિવાદ?
મોરારિ બાપુએ રામકથા દરમિયાન ભગવાન કૃષ્ણ અંગે વિવાદીત નિવેદન કર્યું હતુ. ભગવાન કૃષ્ણને મોરારિબાપુએ સફળ વ્યક્તિ ગણાવ્યા ના હતા. મોરારિ બાપુના નિવેદન બાદ વિવિધ કૃષ્ણ સમર્થકો મોરારિ બાપુના વિરોધમાં આવ્યા હતા. મોરારિ બાપુએ સૌ પહેલા આડકતરી રીતે માફી માગી પરંતુ કયાંય નામ ન લીધું. મોરારિ બાપુ સામે વિરોધ શમ્યો નહીં. મોરારિ બાપુએ ફરી માફી માંગી. છતા પણ વિરોધ શમ્યો નહીં. મોરારિ બાપુ દ્વારકા જઇને માફી માંગે તેવી માંગ કરવામાં આવી હતી. અંતે વિવાદના 12 દિવસ બાદ મોરારિબાપુએ દ્વારકાધીશ મંદિર જઈને માફી માગી હતી. આ સમયે અગ્રણીઓની હાજરીમાં પબુભા માણેકે મોરારિબાપુ પર હુમલોનો પ્રયાસ કર્યો હતો. અગ્રણીઓએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો છે. મહત્વનું છે કે, મુખ્યમંત્રીએ મોરારિ બાપુ પર હુમલાના પ્રયાસની ઘટનાને દુઃખદ ગણાવી હતી. જોકે મોરારિ બાપુના સમર્થકો અને આહીર સમાજ દ્વારા પણ આ ઘટનાને વખોડવામાં આવી હતી. ત્યારે હવે પબુભા પાસે માફી માંગવાની માંગ કરવામાં આવી રહી છે...