લોનાવાલા ખાતે કથા દરમિયાન મોરારીબાપુએ યુક્રેન-રશિયા યુદ્ધમાં અસરગ્રસ્ત ભારતીયો માટે સવા કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી
મોરારીબાપુ યુદ્ધના અસરગ્રસ્તોને સહાય કરશે
યુદ્ધથી પ્રભાવિત ભારતીયોને સવા કરોડની સહાય
મોરારીબાપુએ મિશન ગંગાના વખાણ કર્યા
યુક્રેન-રશિયા યુદ્ધમાં અસરગ્રસ્ત ભારતીયોને સહાયની જાહેરાત કથાકાર મોરારીબાપુએ કરી છે. સવા કરોડ રૂપિયાની સહાય જાહેર કરતાં તેમણે સરકારના મિશન ગંગાની કામગીરીના વખાણ કર્યા હતા
મોરારી બાપુએ સહાય જાહેર કરતાં શું કહ્યું?
બે દેશો વચ્ચેના યુદ્ધને લઇ સમગ્ર વિશ્વ સ્તબ્ધ બન્યું છે. તાજતરમાં યોજાયેલી લોનાવાલાની કથાની પુર્ણાહુતીને દિવસે બે દેશો વચ્ચે છેડાઈ ગયેલા યુદ્ધમાં જે લોકો અસર પામ્યા છે તેમના પ્રતિ સંવેદના વ્યક્ત કરતાં મોરારિબાપુએ જણાવ્યું હતું કે તેમની વ્યાસપીઠ કેવળ વચનાત્મક ન બની રહે પરંતુ રચનાત્મક પણ બને. અને એથી યુક્રેનના યુદ્ધમાં જે ભારતીય અને અન્ય લોકોને અસર થઇ છે તેમના માટે રૂપિયા સવા કરોડની સહાયતા રાશી અર્પણ કરવાની પહેલ તેમણે એ રામકથા દરમ્યાન કરી હતી.
જુદી જુદી ૧૦ સંસ્થાઓને નાણાં પહોંચાડવામાં આવ્યા
મોરારિબાપુએ પણ આ કાર્યમાં વ્યાસપીઠ તરફથી ગંગાજળનાં થોડા બુંદ અર્પણ કર્યા છે. અયોધ્યામાં નિર્માણ પામનાર શ્રી રામમંદિર માટે અનુદાન આપવાની પૂજ્ય બાપુએ અપીલ કરી હતી અને એ નિમિત્તે શ્રોતાઓ દ્વારા રૂપિયા ૧૯ કરોડની રાશી એકત્ર થઈ હતી જે પૈકી ૯ કરોડ રૂપિયા વિદેશી શ્રોતાઓનું અનુદાન હતું. લંડન સ્થિત લોર્ડ ડોલરભાઈ પોપટ અને તેમના પુત્ર પાવન પોપટ દ્વારા આ રાશિમાંથી સવાકરોડ રૂપિયા પોલેન્ડ, સ્લોવેકિયા અને રોમાનિયામાં કાર્યરત જુદી જુદી ૧૦ સંસ્થાઓને પહોંચાડવામાં આવ્યા છે. આ સંસ્થાઓ યુક્રેન યુધ્ધના અસરગ્રસ્તોનાં ઈવેકયુએસનમાં, તેમને નિવાસ અને ભોજન આપવામાં, મેડીકલ સુવિધા આપવા જેવા અનેક કાર્યોમાં કાર્યરત છે. વસુધૈવ કુટુંબકમની ભાવના અનુસાર ભારતીય અસરગ્રસ્તો અને અન્ય ધર્મ કે જાતિના હોય તેવા પીડિત લોકો માટે પણ આવશ્યકતા અનુસાર આ રકમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બે દેશો વચ્ચેના સંઘર્ષનો ઝડપથી અંત આવે અને આ દુ:ખદ પરિસ્થિતમાં જેમણે પ્રાણ ગુમાવ્યા છે તેવા લોકો માટે એમણે પ્રાર્થના કરી છે.
હિમાચલ,ઉતરાખંડ અને નેપાળમાં આવેલ પૂરમાં કરી હતી સહાય
ભારતના પાડોશી દેશ નેપાળ ખાતે અતિ ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. આ બન્ને રાજ્યો તેમજ નેપાળના વિવિધ વિસ્તારોમાં એકસો પચાસ થી વધુ લોકોના મૃત્યુ થયા છે.ઉપરોક્ત વિસ્તારોમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને તત્કાલ સહાય અર્થે હનુમાનજીની સાંત્વના રૂપે મોરારીબાપૂ દ્વારા રૂપિયા ૬ લાખની સહાયતા રાશી પ્રેષિત કરવામાં આવશે આ પૈકી રૂપિયા બે લાખ પચાસ હજાર મુખ્યમંત્રી રાહત ફંડ ઉત્તરાખંડ, રૂપિયા બે લાખ પચાસ હજાર મુખ્યમંત્રી રાહત ફંડ હિમાચલ પ્રદેશ અને રૂપિયા ૧ લાખ નેપાળ ખાતે મોકલવામા આવ્યા હતા.
ગુજરાતમાં વાવાઝોડા અને પૂર વખતે કરી હતી સહાય
મોરારીબાપુએ તાઊતે વાવાઝોડામાં 50 લાખ તેમજ ચોમાસામાં પૂરની તબાહીથી સૌરાષ્ટ્ર થયેલા નુકસાન માટે દાર્જિલિંગમાં કથા કરતાં કરતાં 25 લાખની સહાય કરી હતી જે સહાય મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરવામાં આવી હતી. તે સમયે સીએમ ભૂપેન્દ્ર પટેલે આ સહાય માટે આભાર પણ વ્યકત કર્યો હતો
કેરળના પૂર પીડિતો માટે કરી સહાય
મોરારીબાપુએ કેરળમાં મચેલી પૂર તબાહી વખતે તત્કાલીન રાજ્યપાયલ આરીફ મહમદ્દ ખાન સાથે ટેલિફોનિક વાત કરી પૂરની સ્થિતિનો તાગ મેળવ્યો હતો જે બાદ અસરગ્રસ્ત લોકોએ સહાય પેટે એક લાખ પચ્ચીસ હજાર રૂપિયાનું અનુદાન કર્યું હતું.
કોરોના કાળમાં કરી હતી 1 કરોડની સહાય
કોરોનાકાળમાં કથાકાર મોરારી બાપુએ મદદની જાહેરાત કરી હતી, રાજુલા ખાતે ચાલતી રામકથામાં મોરારી બાપુએ 1 કરોડ રૂપિયાની મદદ અમરેલી માટે જાહેર કરી હતી. અમરેલી,રાજુલા,સાવરકુંડલામાં મહુવા અને તળાજામાં આ સહાય વાપરવામાં આવી હતી.
2020માં રામમંદિર નિર્માણમાં 18 કરોડનું ફંડ કર્યું હતું એકત્રિત
રામ મંદિરના નિર્માણ માટે કથાકાર મોરારિબાપુએ કુલ રૂ.18.61 કરોડનું ફંડ એકત્ર કર્યુ હતું. મોરારિબાપુએ 5 કરોડનું દાન એકત્ર કરવા આહવાન કર્યું હતું. જેના પગલે યુકેમાંથી રૂ.3.20 કરોડ, અમેરિકાથી રૂ.4.10 કરોડ અને ભારતમાંથી 11.30 કરોડનું ફંડ એકત્ર થયું હતું. આ સંપૂર્ણ રકમ અયોધ્યા રામમંદિર નિર્માણને મોકવામાં આવી હતી.