આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગાંધીનગરમાં કથાકાર મોરારીબાપુની કથાનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરારી બાપુ ગાંધીનગરમાં કરશે રામકથા
'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત રામકથા કરશે
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે રામકથાનો રાખ્યો હતો પ્રસ્તાવ
રામાયણના કથાકાર મોરારી બાપુ દ્વારા ગાંધીનગર ખાતે રામકથા કરવામાં આવશે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અનેક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં રામકથાના આયોજનને લઈને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે પ્રસ્તાવ રાખ્યો છે. જે પ્રસ્તાવનો મોરારીબાપુએ સ્વીકાર કર્યો છે. જેને લઈને સુંદર કથાનું આયોજન કરવામાં આવશે.
અગાઉ મોરારીબાપુએ ગાંધીનગર ખાતે કથા કરવાની તૈયારી દર્શાવી હતી
મહત્વનું છે કે તાજેતરમાં તલગાજરડા ખાતે ચિત્રકૂટ એવોર્ડ-2022 ના આયોજન દરમિયાન મોરારીબાપુએ ગાંધીનગર ખાતે કથા કરવાની તૈયારી દર્શાવી હતી. જેમાં તેમણે ગાંધીનગરમાં શિક્ષકો માટે શિક્ષકો સાથે બેસીને ભગવાનના ગુણગાન ગાવાની ઈચ્છા વ્યકત કરી હતી. ત્યારબાદ શિક્ષકોએ મૂકેલા પ્રસ્તાવનો મોરારી બાપુએ સ્વીકાર કરી રામકથા અંગેની જાહેરાત કરી હતી.
11 વર્ષ પહેલા બાપુએ 5 રામકથા સ્વર્ણિમ ગુજરાતને કરી હતી સમર્પિત
આપને જણાવી દઇએ કે, 11 વર્ષ પહેલા સ્વર્ણિમજયંતી ઉજવણી નિમિત્તે મોરારી બાપુની રામકથાનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં રામકથાના નવમા દિવસે મોરારી બાપુએ જણાવ્યું કે, ગુજરાત 50 વર્ષની સ્વર્ણિમજયંતી ઉજવણી નિમિત્તે મારી વ્યાસપીઠ દ્વારા મનમાં સહજ સ્ફૂર્યું કે મારી વ્યાસપીઠ આ વર્ષે પાંચ રામકથા કરશે. આ મનોરથની પૂણૉહુતિ તા.૧લી મેએ પૂર્ણ થઈ છે, ત્યારે આ પાંચ રામકથા સ્વર્ણિમ ગુજરાતને સમર્પિત કરું છું.