મોરારિબાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે મોરારિબાપુના સમર્થનમાં હવે કલાકારો પણ જોડાયા છે. માયાભાઇ આહીર, અનુભા ગઢવી, દેવરાજ ગઢવી, જિજ્ઞેશ કવિરાજ અને લેખક જય વસાવડા બાદ હવે સાંઈરામ દવેએ પણ એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી છે.
મોરારિબાપુના સમર્થનમાં કલાકારોએ 'રત્નાકર' એવોર્ડ કર્યા પરત
મોરારિબાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચેનો વિવાદ તો પૂર્ણ થઈ ગયો છે પરંતુ ક્યાંકને ક્યાંક સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા મોરારિબાપુનું અપમાન કરાયું હોવાનું માનતા રાજ્યના નામી કલાકારોએ સ્વામિનારાયણ મંદિર દ્વારા અપાયેલા 'રત્નાકર' એવોર્ડને પરત કર્યા છે. માયાભાઈ આહીર, જય વસાવડા, દેવરાજ ગઢવી અને અનુભા ગઢવી મોરારિબાપુને પોતાના ગુરુ માને છે. ત્યારે આ તમામ કલાકારો અને લેખકે પોતાના એવોર્ડ પરત કર્યા છે. આ દરમિયાન સાંઈરામ દવે પણ પોતાનો એવોર્ડ પરત કરશે.
ત્યારે હવે સાંઈરામ દવે તેમને મળેલો રત્નાકર એવોર્ડ અને રાશિ પરત કરશે. સાંઈરામ દવેએ ગુજરાતની આધ્યાત્મિક તંદુરસ્તી બગડી હોવાની વાત કરી હતી. તેમજ તેમણે કહ્યું કે, મોરારિબાપુના નિવેદનથી વિવાદ થયો. તેનાથી સમગ્ર ગુજરાતના શ્રદ્ધાળુઓ અને બાપુના સમર્થકોમાં દુઃખ થયું. ત્યારે એક સંત દ્વારા કલાકારોને લઇને એક નિવેદન આવ્યું. જેમાં બધા જ કલાકારોને દારૂડિયા ગણવાની વાતથી દુઃખ થયું.
અત્રે ઉલ્લેખનીય છે કે, નીલકંઠવર્ણી અંગે જાણીતા કથાકાર મોરારિબાપુએ વ્યક્ત કરેલા પોતાના વિચાર પર સ્વામિનારાયણ સંપ્રદાયના સમર્થકોએ રોષ ઠાલવ્યો હતો. ત્યારબાદ મોરારિબાપુ સમર્થકો અને સ્વામિનારાયણ સમર્થકો વચ્ચે પણ વિવાદિત નિવેદનોનો દૌર શરૂ હતો.
`રત્નાકર' એવોર્ડ શું છે ?
`રત્નાકર'નો મતલબ હીરાની ખાણ એવો થાય છે. સમાજના શ્રેષ્ઠી, કવિ, લેખક, સંગીતકાર અને સાહિત્યકારોને આ એવોર્ડ અપાય છે. વડતાલ ગાદીના સરધાર સ્વામિનારાયણ મંદિરે 2014માં આ એવોર્ડની શરૂઆત કરી હતી. પશ્ચિમી સંસ્કૃતિની સામે ભારતીય સંસ્કૃતિને જાળવતા કલાકારોને આ એવોર્ડ અપાય છે. ગુજરાતી ભાષાનું બહુમાન કરનારા લેખકોને રત્નાકરથી સન્માનિત કરાય છે. સંસ્કૃતિને જીવંત રાખવા માટે યોગદાન આપનારા કલાકારોને રત્નાકર એવોર્ડ મળે છે. જીવનમાં શુભ ધ્યેયને ન છોડે એવા વ્યકિતઓની આ એવોર્ડ માટે પસંદગી થાય છે. કિર્તન સંગીત, લોકસાહિત્ય, સંતવાણીના ક્ષેત્રમાં સંપ્રદાય આ એવોર્ડ આપે છે. હાસ્ય અને સામાજિક પ્રતિભાઓને પણ રત્નાકર એવોર્ડથી સન્માનિત કરાય છે.
સમગ્ર વિશ્વનું ગૌરવ ગણી શકાય એવા ગુજરાતીઓને રત્નાકર એવોર્ડ અપાય છે. આધ્યાત્મિકતા, વિદ્વતાના ક્ષેત્રમાં પણ શ્રેષ્ઠીઓને સન્માનિત કરાય છે. કલાની ધરોહરની જાળવણી કરનારા કલાકારોને આ સન્માન અપાય છે. જીવનના બહુમૂલા ગુણાને લોકસાહિત્યના માધ્યમથી સાચવતા કલાકારોને એવોર્ડ અપાય છે. કલાના માધ્યમથી સમાજ જીવંત રાખનારા કલાકારો સન્માનિત થાય છે. સમાજની વાસ્તવિક છબીને સમાજ સુધી પહોંચાડનારા સાહિત્યકારોનું સન્માન રત્નાકરથી થાય છે.