મોરારિબાપુના નિવેદનને લઈને છેલ્લા કેટલાય સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતો અને મોરારિબાપુના સમર્થકો વચ્ચે ધમાસાણ ચાલી રહ્યુ છે. ત્યારે એક બાદ એક કલાકારો પોતાનો રત્નાકર એવોર્ડ પરત કરી રહ્યા છે. ત્યારે શુક્રવારે પણ કેટલાક કલાકારોએ સરધાર સ્વામિનારાયણ સંસ્થાના એવોર્ડ પરત કર્યા છે.
કલાકારોએ સરધાર સ્વામિનારાયણ સંસ્થાના એવોર્ડ પરત કર્યા
મોરારિબાપુ પર કંઇ પણ અભદ્ર ટિપ્પણી સાંખી નહીં લેવાયઃ હેમંત ચૌહાણ
પહેલા સન્માન કરે છે બાદમાં અભદ્ર વાતોઃ ધીરુભાઇ સરવૈયા
મોરારિબાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચેનો વિવાદ તો પૂર્ણ થઈ ગયો છે. પરંતુ ક્યાંકને ક્યાંક સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા મોરારિબાપુનું અપમાન કરાયું હોવાનું માનતા રાજ્યના એક પછી એક જાણીતા કલાકોરો એવોર્ડ પરત કરી રહ્યા છે. તેમાં 17થી વધુ લોકસાહિત્યાકારો, ભજનીકો, લોક ગાયકો અને કલાકારોએ એવોર્ડ પરત કર્યા છે.
ધીરૂભાઇ સરવૈયા, હેમંત ચૌહાણ, બિહારી હેમુ ગઢવીએ એવોર્ડ પરત કર્યા
ત્યારે હવે જાણીતા હાસ્ય કલાકાર ધીરુભાઇ સરવૈયા અને ગાયક કલાકાર હેમંત ચૌહાણ અને લોકકલાકાર બિહારી હેમુ ગઢવીએ પણ એવોર્ડ પરત કર્યા છે. તેઓએ તમામ કલાકારોની સાથે સહમત થઇને આ નિર્ણય કર્યો છે.
મોરારીબાપુના કથન સામે સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા છેડાયેલા વાણી યુધ્ધને લઈને કલાકારો રોષ સાથે મેદાને આવ્યા છે. ત્યારે રાજ્યના કલાકારોએ એવોર્ડ પરત કરીને પોતાનો ખુલ્લો વિરોધ દર્શાવ્યો છે.
મોરારિબાપુ પર કંઇ પણ અભદ્ર ટિપ્પણી સાંખી નહીં લેવાયઃ હેમંત ચૌહાણ
ગાયક કલાકાર હેમંત ચૌહાણે પણ એવોર્ડ પરત કર્યો છે. ત્યારે તેમણે કહ્યું કે, જે જોડે એ સાધુ કહેવાય તોડે એને નહીં. સંતોના મોઢે આવી વાતો શોભતો નથી. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના શબ્દો યોગ્ય નથી. સંતના નિવેદનોથી કલાકારોને દુઃખ થયુ છે. અમે તમામ ધર્મો માટે કાર્યક્રમ કરીએ છીએ. અમે તમામ કલાકાર એક છીએ. હું 40 વર્ષથી સ્વામિનારાયણની સેવા કરી છે. મોરારિબાપુ પર કંઇ પણ અભદ્ર ટિપ્પણી સાંખી નહીં લેવાય.
પહેલા સન્માન કરે છે બાદમાં અભદ્ર વાતોઃ ધીરુભાઇ સરવૈયા
જાણીતા હાસ્ય કલાકાર ધીરુભાઇ સરવૈયાએ એવોર્ડ પરત કર્યો છે. ત્યારે તેમણે કહ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના નિવેદનને હું વખોડું છું. કલાકાર અને સંત રાષ્ટ્રના હોય છે. જેનું સમાજ અનુકરણ કરતો હોય તેમને તોળીને બોલવું જોઇએ. પહેલા સન્માન કરે છે અને ત્યારબાદ અભદ્ર વાતો કરે છે. ને આપેલો રત્નાકર એવોર્ડ સન્માન સાથે પરત કરૂ છું.
મોરારિબાપુ સનાતન ધર્મનો સ્તંભઃ બિહારી હેમુ ગઢવી
બિહારી હેમુ ગઢવીએ પણ એવોર્ડ કર્યો પરત કરતા કહ્યું કે, અભદ્ર ટિપ્પણીઓ કરવી યોગ્ય નથી. મોરારિબાપુ કલાકારોનો વડલો છે. મોરારિબાપુ સનાતન ધર્મનો સ્તંભ છે.
એક બાદ એક કલાકારો, સાહિત્યકારોએ એવોર્ડ પરત કર્યા
તેમાં ભીખુદાન ગઢવી, જય વસાવડા, અંકિત ત્રિવેદી, ઓસમાણ મીર, હેમંત ચૌહાણ, માયાભાઇ આહિર એવોર્ડ અને રકમ પરત કરી છે. તો અન્ય કલાકારોમાં કિર્તિદાન ગઠવી, જિજ્ઞેશ કવિરાજ, બિહારી હેમુ ગઢવી, લક્ષમણ બારોટ, સાંઈરામ દવે સહિતના કલાકારોએ એવોર્ડ પરત કર્યા છે. આ સર્વેના એવોર્ડ અને રકમ લઇને જાણીતા કલાકાર હરદેવ આહિરને જમા કર્યા હતાં. તેમજ હરદેવ આહિર પણ પોતાનો એવોર્ડ પરત કર્યો છે. તેઓ આ એવોર્ડ એક સાથે સરધાર સ્વામીનારાયણ મંદિરમાં એવોર્ડ પરત કરશે.
`રત્નાકર' એવોર્ડ શું છે ?
`રત્નાકર'નો મતલબ હીરાની ખાણ એવો થાય છે. સમાજના શ્રેષ્ઠી, કવિ, લેખક, સંગીતકાર અને સાહિત્યકારોને આ એવોર્ડ અપાય છે. વડતાલ ગાદીના સરધાર સ્વામિનારાયણ મંદિરે 2014માં આ એવોર્ડની શરૂઆત કરી હતી. પશ્ચિમી સંસ્કૃતિની સામે ભારતીય સંસ્કૃતિને જાળવતા કલાકારોને આ એવોર્ડ અપાય છે. ગુજરાતી ભાષાનું બહુમાન કરનારા લેખકોને રત્નાકરથી સન્માનિત કરાય છે. સંસ્કૃતિને જીવંત રાખવા માટે યોગદાન આપનારા કલાકારોને રત્નાકર એવોર્ડ મળે છે. જીવનમાં શુભ ધ્યેયને ન છોડે એવા વ્યકિતઓની આ એવોર્ડ માટે પસંદગી થાય છે. કિર્તન સંગીત, લોકસાહિત્ય, સંતવાણીના ક્ષેત્રમાં સંપ્રદાય આ એવોર્ડ આપે છે. હાસ્ય અને સામાજિક પ્રતિભાઓને પણ રત્નાકર એવોર્ડથી સન્માનિત કરાય છે.
સમગ્ર વિશ્વનું ગૌરવ ગણી શકાય એવા ગુજરાતીઓને રત્નાકર એવોર્ડ અપાય છે. આધ્યાત્મિકતા, વિદ્વતાના ક્ષેત્રમાં પણ શ્રેષ્ઠીઓને સન્માનિત કરાય છે. કલાની ધરોહરની જાળવણી કરનારા કલાકારોને આ સન્માન અપાય છે. જીવનના બહુમૂલા ગુણાને લોકસાહિત્યના માધ્યમથી સાચવતા કલાકારોને એવોર્ડ અપાય છે. કલાના માધ્યમથી સમાજ જીવંત રાખનારા કલાકારો સન્માનિત થાય છે. સમાજની વાસ્તવિક છબીને સમાજ સુધી પહોંચાડનારા સાહિત્યકારોનું સન્માન રત્નાકરથી થાય છે.