કૃષ્ણ અંગે નિવેદનને લઇ મોરારિ બાપુ સામે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. વિરોધને લઇ મોરારિ બાપુ બે વાર માફી પણ માગી ચુક્યા છે. ત્યારબાદ આહીર સમાજની બેઠકમાં આ વિવાદનો અંત લાવવાનો પ્રયાસ થયો હતો. તેમ છતા પણ કાન્હા વિચાર મંચ અને અન્ય સંસ્થાઓ દ્વારા એવી માંગ કરવામાં આવી રહી હતી કે મોરારિ બાપુ દ્વારકા આવીને ભગવાનની માફી માંગે. ત્યારે આજે કથાકાર મોરારિ બાપુ દ્વારકાધીશની માફી માંગવા પહોંચ્યા હતા આ દરમિયાન દ્વારકા મંદિરમાં બબાલ થઈ હતી. મોરારિ બાપુ પર હુમલો કરવાનો પ્રયાસ કરાયો હતો.
કૃષ્ણ પર નિવેદનના વિવાદ બાદ દ્વારકા જઈને મોરારિ બાપુએ માફી માંગી
મોરારીબાપુ પર પબુભા માણેકે હુમલો કરવાનો પ્રયાસ કર્યો
મોરારીબાપુ વિશે પબુભા માણેકે અણછાજતા શબ્દો કહ્યા
આહીર સમાજના યુવાનો અને અનેક સંગઠનો દ્વારા માફીની માંગ કરી હતી. ત્યારે કૃષ્ણ પરિવાર પર નિવેદનના વિવાદ બાદ દ્વારકા જઈને માફી માંગવા પહોંચેલા મોરારિ બાપુ પર ભાજપના નેતા પબુભા માણેકા હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. મોરારિ બાપુ જ્યારે બેઠા હતા તે સમયે હુમલાનો પ્રયાસ થયો હતો. આ દરમિયાન પબુભા માણેકે અણછાજતા શબ્દો પણ કહ્યા હોય તેવી ચર્ચા થઇ રહી છે. જોકે વિવાદ બાદ મામલો થાળે પડ્યો છે. મહત્વનું છે કે, સાસંદ પૂનમબેન માડમ સહિત આહીર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 18, 2020
ભગવાન કૃષ્ણ પર મોરારિબાપુએ ટિપ્પણી કરી હતી. કાન્હા વિચાર મંચ અને આહીર સમાજ દ્વારા વિરોધ કરાયો હતો. ત્યારે હવે 12 દિવસથી ચાલતા વિવાદ બાદ આજે મોરારિ બાપુ માફી માંગવા પહોંચ્યા હતા.
દ્વારકા પહોંચી મોરારિ બાપુએ માફી માંગી
દ્વારકાધીશમાં માફી માગ્યા બાદ મોરારિબાપુએ કહ્યું કે, હું જે બોલ્યો છું તેનાથી ઘણા લોકોની લાગણી દુભાઇ છે. જેને-જેને મારાથી પીડા થઇ છે તેની મેં વ્યાસપીઠ પરથી માફી માગી છે. હું દ્વારકા તો આવતો જ હોવ છું, ત્યારે આપણા સમાજની એકતા જળવાય રહે તે માટે હું ઠાકોરજીના દર્શને આવ્યો છું, તેમના દર્શનનો લાભ મળ્યો છે. સૌનો આભાર.
આહિર સમાજના યુવાનોને શાંતિ સુલેહ રાખવા અપીલ
મોરારિબાપુના વિવાદ અંગે જૂનાગઢ ભવનાથના મંગલ ધામ ખાતે આહીર સમાજની એક બેઠક મળી હતી. જેમાં ડેમેજ કંટ્રોલ કરવા ચર્ચા વિચારણાં કરાઈ હતી. આહિર સમાજના યુવાનોને શાંતિ સુલેહ રાખવા અપીલ કરાઈ હતી. સાથે જ સોશિયલ મીડિયામાં વિવાદ નહીં વધારવા સર્વાનુમતે ઠરાવ પસાર થયો હતો. બેઠકમાં પૂર્વ મંત્રી દેવાનંદ સોલંકી, ધારાસભ્ય ભગાભાઈ બારડ, માયાભાઈ આહિર સહિત જૂનાગઢ, જામનગર અને ગીર સોમનાથ જિલ્લાના આગેવાનો હાજર રહ્યા હતા.
મોરારિ બાપુએ વિવાદિત નિવેદનને લઇને ફરી માગી માફી હતી
કૃષ્ણ અંગે આપેલા વિવાદીત નિવેદનને લઇ કથાકાર મોરારિ બાપુએ ફરી એક વાર માફી માગી હતી. મોરારિ બાપુ માફી માગતા સમયે ભાવુક થયા હતા. રડતા રડતા કહ્યું હતું કે દુનિયામાં કોઈનુ દીલ દુભાય તે પહેલા હું સમાધિ લેવાનું પસંદ કરીશ. મારા નિવેદનથી કોઈ પણને દુઃખ થયુ હોય તો માફી માગુ છુ. કોઈપણ સ્થિતિને હું પ્રભુનો કૃપાપ્રસાદ સમજુ છું. હું એ નથી ઈચ્છતો કે સમાજમાં વિવાદ થાય. સાથે જ કહ્યું કે મારા કારણે બધાયને સામાન્ય પીડા થઈ છે. પરંતુ તમે મને પોતાનો સમજો કે નહીં પરંતુ હું તમને પોતાના જ સમજુ છુ, મારા માટે કોઈ પારકો નથી. કૃષ્ણ મારો ઈષ્ટ દેવ છે, પુર્ણ પુરષોત્તમ છે. એટલે મે કૃષ્ણની આખરી સમયની પીડાઓ વ્યક્ત કરી છે. કૃષ્ણ સ્મરણ કરતા મારી આંખોમાં જેટલીવાર ભીંજાઇ છે એટલીવાર કોઇનીએ નહીં ભીંજાઇ હોય. આંખમાં જે આંસુ છે તે આંખના નહીં મારી આત્માના આંસુ છે એટલે ફરી કહું છું કે જો મારા નિવેદનથી કોઇને દુઃખ લાગ્યું હોય તો હું ફરી માફી માગું છું.