મોરારિ બાપુના વિવાદનો સુખદ અંત આવ્યો છે. કૃષ્ણ પરિવાર અંગે વિવાદીત નિવેદનને લઇને મોરારિ બાપુ સામે ભારે વિરોધ જોવા મળ્યો હતો. વિરોધને લઇને મોરારિ બાપુ બે વાર માફી પણ માગી ચુક્યા છે. ત્યારે મોરારિ બાપુના સમર્થનમાં લોકસાહિત્ય કલાકાર માયાભાઈ આહિર, જય વસાવડા અને સાવરકુંડલા માનવ મંદિર આશ્રમના ભક્તિરામ બાપુ આવ્યાં હતા. ત્યારે શુક્રવારે જૂનાગઢ ભવનાથના મંગલ ધામ ખાતે આહીર સમાજની મહત્વની બેઠક યોજાઇ હતી. જે બેઠકમાં આ વિવાદનો સુખદ અંત આવ્યો છે.
કૃષ્ણ પરિવાર અંગે વિવાદીત નિવેદનને લઇને મોરારિ બાપુ સામે વિરોધ થયો હતો
જૂનાગઢ ખાતે સમસ્ત આહીર સમાજની મળી બેઠક
સોશિયલ મીડીયામાં વિવાદ નહિ વધારવા સર્વનું મતે થયો ઠરાવ
મોરારિ બાપુએ યાદવકુળ અંગે ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણીને લઇને વિવાદ સર્જાયો હતો. ત્યારે આ અંગે જૂનાગઢ ભવનાથના મંગલ ધામ ખાતે આહીર સમાજની મહત્વની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ડેમેજ કંટ્રોલ કરવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં જૂનાગઢ, જામનગર, ગીર સોમનાથ સહિતના જિલ્લાના આગેવાનો મળ્યા હતા.
જેમાં પૂર્વ મંત્રી દેવાનંદ ભાઈ સોલંકી, ધારાસભ્ય ભગાભાઈ બારડ, માયાભાઈ આહિર, લખમણભાઇ પીઠયા સહિતના આગેવાનોની બેઠક મળી હતી. આહિર સમાજના યુવાનોને શાંતિ સુલેહ રાખવા અપીલ કરવામાં આવી છે. અપીલ કરાઇ છે કે, સંત મોરારિબાપુ જેવા સન્માનિત સંત સામે કોઈ પણ પ્રકાર કૉમેન્ટ નહિ કરવી. સોશિયલ મીડિયામાં વિવાદ નહીં વધારવા સર્વાનુ મતે ઠરાવ થયો છે. આહિર સમાજને હવે પછી કોઈજ પ્રકારની કૉમેન્ટ કે વીડિયો નહિ બનાવવા અપીલ કરવામાં આવી છે.
મહત્વનું છે કે, આ નિવેદન અંગે મોરારી બાપુએ માફી માંગતા કહ્યું હતું કે, હું તો સંવાદનો માણસ છું. ભુલ તો દેવથી પણ થાય હું તો તુચ્છ માણસ માત્ર છું. જો મારાથી કોઈનું દિલ દુભાયુ હોય તો ખરા દિલથી માફી માંગુ છું. હું ખરા હ્દયથી ક્ષમા પાર્થુ છું.
મોરારિ બાપુએ ફરી એક વાર માફી માગતા સમયે ભાવુક થયા હતા
તેમણે રડતા રડતા કહ્યું હતું કે દુનિયામાં કોઈનુ દિલ દુભાય તે પહેલા હું સમાધિ લેવાનું પસંદ કરીશ. મારા નિવેદનથી કોઈ પણને દુઃખ થયુ હોય તો માફી માગુ છું. કોઈપણ સ્થિતિને હું પ્રભુનો કૃપાપ્રસાદ સમજુ છું. હું એ નથી ઈચ્છતો કે સમાજમાં વિવાદ થાય.
સાથે જ કહ્યું કે મારા કારણે બધાયને સામાન્ય પીડા થઈ છે. પરંતુ તમે મને પોતાનો સમજો કે નહીં પરંતુ હું તમને પોતાના જ સમજુ છુ, મારા માટે કોઈ પારકો નથી. કૃષ્ણ મારો ઈષ્ટ દેવ છે, પુર્ણ પુરષોત્તમ છે. એટલે મે કૃષ્ણની આખરી સમયની પીડાઓ વ્યક્ત કરી છે. કૃષ્ણ સ્મરણ કરતા મારી આંખોમાં જેટલીવાર ભીંજાઇ છે એટલીવાર કોઇનીએ નહીં ભીંજાઇ હોય. આંખમાં જે આંસુ છે તે આંખના નહીં મારી આત્માના આંસુ છે એટલે ફરી કહું છું કે જો મારા નિવેદનથી કોઇને દુઃખ લાગ્યું હોય તો હું ફરી માફી માગું છું.
કૃષ્ણ મારા ઇષ્ટદેવ છેઃ મોરારિ બાપુ
મોરારિ બાપુએ કહ્યું કે, કૃષ્ણ મારા ઇષ્ટદેવ છે, મારા પ્રભુ છે. મારી પરંપરા નિંબાર્કી છે. મારા કુળદેવી રૂક્ષ્મણીજી છે. અમારું ધામ મથુરા-દ્વારકા છે. અમારો ઘાટ વિશ્વાસ છે. અમારી પરિક્રમા ગિરિરાજની છે. અમારી ગાયત્રી ગોપાલ ગાયત્રી છે. અમારો વેદ સામવેદ છે. અમારું ગોત્ર અચ્યૂત છે અને હરિનામ મારો આહાર છે. સાધુના અંતરના ભાવથી મારા કોઈ નિવેદનથી દુનિયાના કોઇ પણ માણસનું દિલ દુખાય એ પહલા તો હું સમાધિ લેવાનું પસંદ કરીશ.