મહુવા તાલુકાના તલગાજરડા ગામે પિથોરિયા હનુમાનજી મંદિર ખાતે મોરારિ બાપુની ઓનલાઇન રામકથા ચાલી રહી છે. ત્યારે રામકથાના ત્રીજા દિવસે (27 જુલાઈ 2020) તલગાજરડામાં ચાલુ કથાએ મોરારિબાપુએ કહ્યું કે, સૌથી પહેલા 5 કરોડ રૂપિયા અહીંથી મોકલીશું અને ઠાકોરજી આપણા બધાના મનોરથ પૂર્ણ કરે.આ તુલસીપત્રના રૂપમાં રૂપિયા મોકલવામાં આવશે.
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમાં 5 કરોડ સૌથી પહેલા મોકલીશુંઃ મોરારિબાપુ
રામ જન્મભૂમિ અયોધ્યામાં 5 ઓગસ્ટના રોજ રામ મંદિરનં ખાતમૂહુર્ત
તલગાજરડામાં ચાલી રહેલી ઓનલાઈન રામ કથામાં
મોરારિબાપુએ કથા દરમિયાન કહ્યું કે, તુલસીદાસની જન્મ જયંતિ નિમિત્તે પ્રણામ. શ્રી ધામ અયોધ્યામાં ભગવાન શ્રીરામનું દિવ્ય મંદિર બનવા જઇ રહ્યું છે. વર્ષોથી કોઇ કારણોને લઇને અટકેલ હતું. ભગવાનની કૃપાથી સુપ્રીમ કોર્ટ દ્વારા સારો નિર્ણય જાહેર થયો.ભગવાન રામની જન્મભૂમિ પર દિવ્ય રામ મંદિર બનવા જઇ રહ્યું છે. તેની તારીખ જાહેર થઇ ચૂકી છે. 5 ઓગસ્ટના રોજ અયોધ્યામાં દિવ્ય રામ મંદિરનું ભૂમિપૂજન થવાનું છે. પ્રધાનમંત્રી, સરકાર અને સાધુ સંતોને પ્રણામ કરીને ભારત અને દુનિયાના લોકોને ખુબ શુભેચ્છા અને પ્રસન્નતા વ્યક્ત કરું છું.
મોરારિ બાપુએ વધુમાં જણાવ્યું હતું કે, ચિત્રકૂટધામ તલગાજડામાં તુલસીપત્રના રૂપે ઠાકોરજીના ચરણોમાં 5 લાખ રૂપિયા અર્પણ કરૂ છું. શ્રોતાગણ તરફથી જે પણ કંઇ આવે તે બધા રૂપિયા મેળવીને 5 કરોડ મોકલવામાં આવશે. જો હું કોઇ એક વ્યક્તિને સંકેત કરૂ તો તે એકલા હાથે કરી શકે. પરંતુ એમ નહીં મારે બધા શ્રોતા પાસેથી થોડા થોડા પૈસા એકત્ર કરવા છે. ઠાકોરજી અમારા મનોરથ પૂરા કરે તે માટે 5 કરોડ રૂપિયા મોકલીશું. મારી જે પણ કથા સાંભળે છે તેની પાસેથી જે પણ રૂપિયા આપે તે બધા રૂપિયા મળી 5 કરોડ રૂપિયા રામમંદિરના નિર્માણમાં મોકલીએ છીએ. કોઇ એક વ્યક્તિને નહીં પણ બધા જ શ્રોતાઓ પાસેથી આગ્રહ કરવામાં આવશે. આ મંદિર માટે મોરારિ બાપુ નહીં પણ સૌને લાગે કે આ મંદિર આપણું છે એવું લાગે.
મંદિર દિવ્ય અને ભવ્ય હોવું જોઇએઃ મોરારિબાપુ
અત્રે ઉલ્લેખનીય છે કે, રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થવાનું છે ત્યારે મંદિરની ડીઝાઈન ચંદ્રકાંત સોમપુરા પરિવારના સભ્યએ તૈયાર કરી છે. આ અંગે મોરારિબાપુએ કહ્યું કે, સોમનાથ મંદિર અને તલગાજરડાના મંદિરની પણ ડિઝાઇન ચંદ્રકાંત સોમપુરાએ જ કરી હતી. તો તેમની સાથે મારી ફોન પર વાત થઇ છે. એમણે કેટલીક સલાહ માંગી છે પરંતુ મે કહ્યું કે, મંદિર દિવ્ય અને ભવ્ય હોવું જોઇએ.