કૃષ્ણ ભગવાન અંગે નિવેદન બાદ ભારે વિરોધ સર્જાયો હતો. ત્યારે બે વખત માફી માંગ્યા બાદ મોરારિ બાપુ દ્વારકા આવીને દ્વારકાધીશની માફી માંગવા માટે આવ્યા હતા. આ દરમિયાન પબુભા માણેક દ્વારા હુમલાનો પ્રયાસ થતા ભારે ઉહાપોહ થયો હતો. મોરારિ બાપુ તાત્કાલીક ત્યાંથી નીકળી ગયા હતા આ મામલામાં તીવ્ર પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે આ મામલે મુખ્યમંત્રી અને કેટલાક નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
મોરારિ બાપુ પર હુમલાના પ્રયાસને CMએ ટ્વીટ કરીને વખોડ્યો
આંગણે આવેલા મહેમાન સાથે પબુભાનું વર્તન દુઃખદ: પ્રવિણ માડમ
મોરારી બાપૂ દ્વારકાધીશની માફી માંગવા દ્વારકા આવ્યા હતા
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, દ્વારકામાં થયેલી ઘટનાને સખત શબ્દોમાં વખોડુ છું. મોરારિ બાપુએ દ્વારકાધીશ અને આહીર સમાજની માફી માગી હતી. માફી માગ્યા છતા થયેલા હુમલાનો પ્રયાસ અશોભનિય છે.
મોરારીબાપુ પર હુમલો સમાજ માટે દુઃખદઃ દિલીપ સંઘાણી
મોરારિ બાપુ પર દ્વારકામાં હુમલાના પ્રયાસ મામલે દિલીપ સંઘાણીએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, સાંસદ પુનમ માંડમે સમય પર આહીર સમાજની શૈલી બતાવી છે. દિલીપ સંઘાણીએ સાંસદ પૂનમ માડમને અભિનંદન આપ્યા છે. તેમણે કહ્યું કે, મોરારીબાપુ પર હુમલો સમાજ માટે દુઃખદ બાબત છે.
આંગણે આવેલા મહેમાન સાથે પબુભાનું વર્તન દુઃખદ: પ્રવિણ માડમ
મોરારિ બાપુ પર પબુભાના હુમલાના પ્રયાસનો મામલે પ્રવિણ માડમે કહ્યું કે, મોરારી બાપુ ભગવાનની માફી માંગવા આવ્યા હતા. સંત અને મહેમાન પર આવું વર્તન અયોગ્ય છે. આંગણે આવેલા મહેમાન સાથે પબુભાનું વર્તન દુઃખદ છે.
મોરારિ બાપુ દ્વારકાધીશની માફી માંગવા દ્વારકા આવ્યા હતા
કાન્હા વિચાર મંચ દ્વારા કૃષ્ણ ભગવાન વિશે વ્યાસ પીઠ પર બોલેલા શબ્દો મામલે વિરોધ તીવ્ર બન્યો હતો. જેને લઈને આહીર સમાજના આગેવાનો દ્વારા આ મામલો શાંત પાડવા પ્રયાસ હાથ ધરાયા હતા. વ્યાપક માંગણીઓને પગલે મોરારિ બાપુ દ્વારકા આવી દ્વારકાધીશની માફી માંગે તેવી માંગ થઇ હતી. આખરે આ મામલે આગેવાનોએ શાંત પાળવા મોરારીબાપુ સાથે વાતચીત બાદ આખરે મોરારી બાપુ દ્વારકા આવવા તૈયાર થયા હતા. તેઓ આજે દ્વારકા તેઓ સાંસદ પૂનમ માડમ તેમજ આહીર સમાજના આગેવાનો આજે હાજર રહ્યા હતા.
પબુભા માણેક અચાનક મોરારિ બાપુ તરફ હુમલો કરવા દોડ્યા હતા
દ્વારકા મંદિરમાં પ્રવેશ કર્યા બાદ પત્રકારોને સંબોધતાં મોરારીબાપુ પોતાનું વકતવ્ય આપી રહ્યા હતા. આ દરમિયાન ઓચિંતા પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક અંદર ઘસી આવ્યા હતા અને મોરારિ બાપુ તરફ ઘસી જતા પૂનમ માડમ અને એક વ્યક્તિએ તેમને રોકી લીધા હતા. પૂનમ માડમ તેમને દૂર લઈ ગયા હતા અને પબુભાને શાંત કરવા પ્રયત્નો કર્યા હતા. ત્યારે પબુભા ખૂબ ઉશ્કેરાહટમાં મોરારી બાપુને અહીંથી નીકળી જા તેમ બોલતા રહ્યા. ત્યારે મામલાની ગંભીરતા જોતા અન્ય લોકો મોરારી બાપુને બહાર લઈ ગયા હતા. પબુભાને શાંત કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
કાન્હા વિચાર મંચ તેમજ સમાજના આગેવાનોએ પણ આ મામલો અહીં પૂર્ણ જાહેર કર્યો
મોરારીબાપુ પર હુમલાના પ્રયાસની વાતો બહાર ફેલાતા સમગ્ર દેવભૂમિ દ્વારકામાં ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે આ મામલે સાંસદ પૂનમબેન દ્વારા આ મામલે કોઇ પ્રતિક્રિયા આપી નહોતી અને કૃષ્ણ ભગવાને માફી માંગવાનો મામલે અહીં સમાપ્ત થયો હોવાનું જણાવી વાતને પૂર્ણ કરી હતી. કાન્હા વિચાર મંચ તેમજ સમાજના આગેવાનોએ પણ આ મામલો અહીં પૂર્ણ જાહેર કર્યો હતો. પરંતુ ત્યાં સુધી સોશિયલ મોડિયામાં પબુભા માણેકના હુમલાના વીડિયો ખુબ વાયરલ થતા ખૂબ ચર્ચાસ્પદ વિષય બન્યો હતો. મોરારીબાપુ પર હુમલાને લઈ રાજકીય ગરમાવો પણ ખૂબ તેજ બન્યો છે. આખરે આવા પ્રકારનો હુમલો કેટલા અંશે વ્યાજબી એ પણ એક સવાલ ઉભો કરે છે. પબુભા એક સંત અને મહેમાન પર હુમલો કરે તે બાબતે આહીર સમાજમાં પણ નારાજગી વ્યાપી છે. પૂનમબેનની મધ્યસ્થતામાં જ્યારે મોરારી બાપુ અહીં આવ્યા હોય અને આ પ્રકારનો હુમલાનો પ્રયાસ થતા રાજકીય ગરમાવો આવે તેવી પણ શક્યતા છે. તો આ મામલે સમગ્ર ગુજરાતમાં પણ આ મામલે તીવ્ર પ્રત્યાઘાતો પડવાની શક્યતાએ હાલ જોર પકડ્યું છે.