દેશમાં મંદીના માહોલ વચ્ચે રેટિંગ એજન્સીએ ભારતના આર્થિક વૃદ્ધિદર માટે વધુ ઘટાડો નોંધ્યો છે. ભારતમાં 2018થી આર્થિક વિકાસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ચાલુ વર્ષે હવે આર્થિક વૃદ્ધિદર 5.6ના દરે રહેશે. આર્થિક વૃદ્ધિદરમાં ઘટાડો દેશમાં બેરોજગારી વધારી શકે છે. ઘણા અર્થશાસ્ત્રીઓએ પણ આર્થિક વિકાસમાં ઘટાડો આવશે તેવું અનુમાન કર્યું છે. ભારતની બજારોમાં માંગમાં ઘટાડો અને બેરોજગારીમાં વધારાનું અનુમાન પણ કરવામાં આવ્યું છે.
રેટિંગ એજન્સી મૂડીઝે ગુરુવારે ભારતના આર્થિક વિકાસદરમાં ફરીથી ઘટાડો થવાનું અનુમાન કર્યું છે. ચાલુ નાણાંકીય વર્ષ માટે આર્થિક વિકાસદરમાં પહેલાં જે અનુમાન કર્યું હતું તેમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ભારતના ચાલુ નાણાકીય વર્ષ માટે 5.6%ના આર્થિક વિકાસનું અનુમાન કરવામાં આવ્યું છે. દેશમાં મંદીના માહોલ વચ્ચે મૂડીઝ દ્વારા આપવામાં આવેલો અહેવાલ દેશની ચિંતામાં વધારો કરી શકે છે.
'ભારતનાં આર્થિક વિકાસદરમાં ઘટાડો નોંધ્યો છે. અમે હવે અનુમાન લગાવ્યું છે કે અર્થતંત્ર વધુ ધીમી ગતિએ આર્થિક વિકાસ કરશે ચાલુ વર્ષમાં આર્થિક વિકાસદર 5.6% પર રહેશે જે 2018માં 7.4% પર હતો.'મૂડીઝે કહ્યું.
આર્થિક ગતિવિધિઓ 2020 અને 2021માં વધશે તેવું અનુમાન પણ કરવામાં આવ્યું છે. 2020 અને 21માં આર્થિક વિકાસ દર અનુક્રમે 6.6 અને 6.7 રહે તેવી સંભાવના છે.
આર્થિક વિકાસ દરમાં સતત ઘટાડો નોંધવામાં આવી રહ્યો છે 2018નાં મધ્યથી જ ભારતનાં આર્થિક વિકાસદરમાં ઘટાડાની શરૂઆત થઇ. 2018માં જ્યાં આર્થિક વિકાસદર 8 ટકાની આસપાસ હતો તેમાં સતત ઘટાડો તથા બેરોજગારીમાં વધારાનાં કારણે વિકાસદર 2019માં ઘટીને 5 ટકા પર પહોંચી ગયો છે.
ભારતનાં બજારમાં રોકાણનું પ્રમાણ સતત ઘટી રહ્યું હતુ પરંતુ બજારમાં ગ્રાહકોની માંગનાં કારણે અર્થતંત્રમાં વિકાસદર નોધાયો હતો. હવે ચાલુ વર્ષે ભારતના બજારોમાં ગ્રાહકોની માંગમાં ભારે ઘટાડો નોંધવામાં આવી રહ્યો છે જેની સીધી અસર અર્થતંત્ર પર દેખાઈ રહી છે.
ગયા મહીને મૂડીઝે ભારતના આર્થિક વિકાસદરને 6.2થી ઘટાડીને 5.8 હોવાનું અનુમાન કર્યું હતું. હવે તેમાં વધુ ઘટાડો થશે તેવું કહેવામાં આવ્યું છે.
વર્લ્ડ બેંક દ્વારા પણ ભારતનાં આર્થિક વિકાસમાં પહેલાં કરતા ઘટાડો કરવામાં આવ્યો છે. 2020 માર્ચમાં પુરા થતા નાણાકીય વર્ષ માટે પહેલાં 7 ટકાનું અનુમાન કરવામાં આવ્યું હતું જેને ઘટાડીને હવે 6 ટકા કરવામાં આવેલું છે.
ઘણા અર્થશાસ્ત્રીઓએ પણ ભારતનાં આર્થિક વિકાસમાં ઘટાડો આવશે તેવું અનુમાન કર્યું છે. ભારતની બજારોમાં માંગમાં ઘટાડો અને બેરોજગારીમાં વધારાનું અનુમાન પણ કરવામાં આવ્યું છે.