આર્થિક મંદી સામે ઝઝુમી રહેલી દેશની અર્થવ્યવસ્થા અંગે વધુ એક નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝે દાવો કર્યો છે કે નાણાકીય વર્ષ 2019-20માં ભારતનો વિકાસ દર 4.9 ટકા રહે તેવી સંભાવના છે.
દેશની અર્થવ્યવસ્થા અંગે વધુ એક નિરાશાજનક સમાચાર
2019-20માં ભારતનો વિકાસ દર 4.9 ટકા રહે તેવી સંભાવના
આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝે કર્યો છે દાવો
આ પહેલા મૂડીઝે જ અનુમાન કર્યું હતું કે ભારતની GDP 5.8 ટકા રહેશે, પણ દેશની હાલની સ્થિતિને જોતા મૂડીઝે પોતાના અનુમાનમાં 1.1 ટકાનો ઘટાડો કર્યો છે.
રેટિંગ એજન્સી મૂડીઝે આ અંગે કારણ રજૂ કર્યું છે કે પહેલા વિકાસદરના ઘટાડા પાછળ રોકાણ ઓછુ હોવાનું કારણ જવાબદાર હતું. પરંતુ હવે ચીજવસ્તુઓના વેચાણમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જેની અસર દેશની અર્થવ્યવસ્થા પર થઈ રહી છે. મૂડીઝે એ પણ કહ્યું છે કે આકરા શ્રમ કાયદાના કારણે રોજગારની તકોમાં ઘટાડો થઈ રહ્યો છે.
રેટિંગ એજન્સીના એક રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે ગ્રામીણ વિસ્તારોમાં નાણાંકીય સમસ્યા તેમજ રોજગારીની નવી તકો ઘટવી તેમજ રોકડ સંકટ જેવા કારણોથી વિકાસ દરમાં ઘટાડો જોવા મળશે. કૃષિ ક્ષેત્રમાં કામદારોના વેતનની વૃદ્ધિ કમજોર પડવી તેમજ જમીન તેમજ શ્રમ ક્ષેત્રમાં જટિલ કાયદાઓના કારણે રોજગારીની તકમાં નરમાશ બનેલી છે. રિપોર્ટ અનુસાર સ્થાનિક ખપત ભારતીય અર્થતંત્રની વૃદ્ધિની કરોડ રજ્જુ સમાન છે.
આ અગાઉ 5 ડિસેમ્બર 2019ના રોજ ભારતીય રીઝર્વ બેંક (RBI) એ GDP નું અનુમાન ઘટાડ્યું હતું. કેન્દ્રીય બેંક અનુસાર 2019-20 દરમિયાન GDPમાં ઘટાડો જોવા મળશે અને આ 6.1 ટકાથી ઘટીને 5.0 સુધી પહોંચી શકે છે.