અમદાવાદ આઈઆઈએમ આમ તો અનેક મોટાં રિસર્ચનું એપી સેન્ટર રહ્યું છે, પણ હાલમાં અહીં શરુ થયેલાં MOOD CAFE એ લોકોમાં ભારે જિજ્ઞાસા પેદા કરી છે. કેમ કે આ કોઈ કોફી શોપ નહીં પણ માનસિક તણવામાં રહેતાં લોકોને ઓનલાઈન મદદ કરતું પ્લેટફોર્મ છે.
મિત્રની સ્યુસાઈડ નોટ વાંચ્યાં બાદ IIM-A સ્ટુડન્ટે આત્મહત્યા પર સ્ટાર્ટઅપ શરુ કર્યું
એક વર્ષમાં 10 હજારથી વધુ લોકોએ માનસિક સમસ્યાનું સમાધાન મેળવ્યું
અહીં સાયકોલોજિસ્ટ દ્વારા કાઉન્સેલિંગ પણ મળી જાય છે
આઈઆઈટી રૂડકી અને આઈઆઈએમ અમદાવાદનાં પૂર્વ વિદ્યાર્થી મિકુલ પટેલનું આ સ્ટાર્ટઅપ માનસિક તાણ અનુભવતા લોકોનું કાઉન્સેલિંગ કરે છે. મૂડ કેફેની એપ્લિકેશન ડાઉનલોડ કરીને કોઈપણ વ્યક્તિ પોતાની ઓળખ છતિ કર્યાં વિના માનસિક સ્થિતિ બાબતે સલાહ લઈ શકે છે. અહીં તેનાં જેવી જ પરિસ્થિતિમાંથી પસાર થયેલાં લોકો પોતાનાં અનુભવો શેર કરીને કેવી રીતે તેમાંથી બહાર નીકળી શકાય તેની વાત કરે છે. વધારે મદદની જરૂર પડે તો સાયકોલોજિસ્ટ દ્વારા કાઉન્સેલિંગ પણ મળી જાય છે. આ રીતે છેલ્લાં એક વર્ષમાં 10 હજારથી વધુ લોકો આ પ્લેટફોર્મ પર માનસિક સમસ્યાનું સમાધાન મેળવી ચૂક્યાં છે. એટલું જ નહીં 7 લોકો આત્મહત્યા કરવા ગયા હતા ત્યાંથી જીવનમાં પરત ફર્યાં છે.
રૂમમેટે આત્મહત્યા કરી લેતા આ સ્ટાર્ટઅપનો વિચાર આવ્યો
આ સ્ટાર્ટઅપનો વિચાર તેનાં સ્થાપક મિકુલ પટેલને 2015માં આઈઆઈટી રૂડકી ખાતે અભ્યાસ દરમિયાન આવ્યો હતો. એ વખતે તેમનાં રૂમમેટે અચાનક જ આત્મહત્યા કરી લીધેલી અને તેની સ્યુસાઈડ નોટ સૌથી પહેલાં જ મિકુલનાં વાંચવામાં આવી ગઈ. જે વાંચ્યા બાદ તેઓ પોતે પણ ડિપ્રેશનમાં આવી ગયેલાં. એ પછી થોડાં સ્વસ્થ થતાં તેમણે માનસિક સ્વાસ્થ્ય વિશે સંશોધન શરુ કર્યું અને 2017માં રાહુલ, પૂનમ અને હેલી સાથે મળીને મૂડ કેફે સ્થાપ્યું.
40 હજારથી વધુ લોકોએ તેમની એપ્લિકેશનની મુલાકાત લીધી
અત્યાર સુધીમાં 40 હજારથી વધુ લોકો તેની એપ્લિકેશન ડાઉનલોડ કરીને મુલાકાત લઈ ચૂક્યાં છે. આ આંકડો દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે જે બતાવે છે કે માનસિક આરોગ્યને લઈને આપણે ત્યાં કેવી સ્થિતિ પ્રવર્તે છે. ઉલ્લેખનીય છે કે દુનિયાભરમાં વર્ષે 8 લાખ લોકો માનસિક તાણને કારણે આત્મહત્યા કરી લે છે. જેમાં 1 લાખ 35 હજાર ભારતીયો પણ સામેલ હોય છે.