દેશના લાખો પગારદાર કર્મચારીઓના પેન્શનને લઈને કેન્દ્ર સરકાર એક મોટો નિર્ણય લેવાની તૈયારીમાં છે.
EPFO નવી પેન્શન સ્કીમ બનાવી રહી છે
લોકોને પહેલાની તુલનામાં વધારે પેન્શન મળી શકે
નવી સ્કીમ અમલી બને તો લોકોને મળશે વધારે પેન્શન
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એક નવી પેન્શન સ્કીમ બનાવી રહી છે. જો આ યોજના અમલી બને તો લોકોને પહેલાની તુલનામાં વધારે પેન્શન મળી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર સરકાર નવી ફિક્સ્ડ પેન્શન સ્કીમ પર કામ કરી રહી છે. આ સ્કીમમાં ફિક્સ્ડ પેન્શન એ વાત પર નિર્ભર કરશે કે ખાતામાં કેટલા પૈસા જમા કરાઈ રહ્યાં છે.
શું છે સરકારની યોજના
કેન્દ્ર સરકાર પેન્શન સંબંધિત એક નવી યોજના તૈયાર કરી રહી છે જે હેઠળ કર્મચારીઓને હવે નિવૃતી બાદ વધારે પેન્શન મળી શકે છે. જો નવી પેન્શન સિસ્ટમ લાગુ પડશે તો કર્મચારીનું જેટલું પેન્શન હશે તેને હિસાબે મહિનામાં પીએફ ખાતામાં પૈસા જમા કરાવવા પડશે. આ નવી સ્કીમ પીએફ મેમ્બર ઈચ્છે તો ફિક્સ્ડ પેન્શન અમાઉન્ટની પણ પસંદગી કરી શકે. દેશના કરોડો પગારદાર કર્મચારીઓની ઉપરાંત આ સુવિધાનો લાભ સ્વરોજગાર વાળા લોકો પણ ઉઠાવી શકે છે. કર્મચારી અથવા સ્વરોજગાર કરનાર લોકો દ્વારા પેન્શનમાં જમા કરાવવામાં આવનાર રકમ એ વાત પર નિર્ભર કરશે કે તેમની કમાણી કેટલી છે અને કેટલા વર્ષની નોકરી છે.
EPS નો કાયદો
હાલના નિયમો કહે છે કે જે કર્મચારી ઇપીએફમાં જોડાય છે તે આપમેળે ઇપીએસ સાથે જોડાઈ જાય છે. નિયમ એ છે કે કંપની પોતાના કર્મચારીનો બેઝિક પગાર કાપીને તેને પીએફમાં જમા કરાવે છે. કંપની વતી કર્મચારીના પીએફ ખાતામાં એટલી જ રકમ જમા કરવામાં આવે છે. કંપની દ્વારા જમા કરવામાં આવેલી રકમનો 8,33 ટકા હિસ્સો કર્મચારીના ઈપીએસમાં જાય છે. પેન્શન માટે પાત્ર મહત્તમ પગાર ૧૫૦૦૦ રૂપિયા હોવો જોઈએ અને તે મુજબ ઇપીએસ ફંડમાં દર મહિને મહત્તમ ૧૨૫૦ રૂપિયા કાપી શકાય છે.
સ્વ-રોજગારી મેળવતા લોકો પણ પેન્શન મેળવવા હકદાર રહેશે
અત્યારે માત્ર પગારદાર લોકોને જ પેન્શન મળી શકે છે. જો નવી પેન્શન યોજના લાગુ કરવામાં આવે તો સ્વ-રોજગાર લોકો પણ પેન્શન મેળવવા માટે હકદાર બનશે. આ સ્થિતિમાં પેન્શનની રકમ દર મહિને જમા કરાવવાની રકમ પર નિર્ભર કરશે. આથી કર્મચારી કે સ્વ-રોજગાર ધરાવતી વ્યક્તિ પેન્શન મેળવવા માટે જેટલી રકમની જરૂર હશે તેટલા નાણાં પેન્શન ફંડમાં જમા કરાવશે.