આપણે વિકાસશીલ ગુજરાતનો જય જય કાર તો ખુબ સાંભળીએ છીએ. પરંતુ કેટલો થયો વિકાસ તે પણ આપણે જાઈએ છીએ. કારણ કે, એક તરફ રાજ્યમાં વાહન અકસ્માતથી મૃત્યુઆંકમાં કોઇ સુધારો નહીં અને બીજી તરફ આ વિકાસના કારણે જ ઠેર-ઠેર તુટેલા રોડ દર્શાવે છે કે સરકારે કેવો ટકાઉ રોડ બનાવે છે અને કેટલા સમયમાં બનાવે છે. ત્યારે આ તુટેલા રોડનો મુદ્દો વિધાનસભામાં પણ ગુંજ્યો હતો. તો જાણો સરકારે શું આપ્યો જવાબ...
નવરાત્રીથી લઇ દિવાળી સુધી રસ્તાનું કામ પૂર્ણ થઇ જશેઃ DyCM નીતિન પટેલ
ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે આ દરમિયાન રાજ્યમાં તુટેલા રોડનો મુદ્દો ગુંજ્યો હતો. રાજ્યમાં ઠેર-ઠેર તુટેલા રોડથી લોકોમાં નારાજગી વ્યાપી છે. તૂટેલા રસ્તાઓ અને મરામત અંગે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જવાબ આપ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં સવા સો ટકા કરતા પણ વધારે વરસાદ નોંધાયો છે. ભારે વાહનોને કારણે સ્વાભાવિક રીતે જ વરસાદમાં રસ્તાઓ તૂટે. હજારો ટ્રકોના આવન-જાવનના કારણે રસ્તાને નુકશાન થાય છે. સરકારે વરસાદ બંધ થતાં જ કામકાજ શરૂ કર્યું છે. સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતના કેટલાક તાલુકાઓમાં કામ રોકાયા છે. ત્યાં વરસાદ બંધ થતા રસ્તાઓનું કામ શરૂ કરાશે. હાઇવેના રસ્તાઓનું પણ વરસાદના કારણે ધોવાણ થયું છે. નેશનલ હાઇવેના ડાયરેકટર પણ ગુજરાત આવી ગયા છે. નવરાત્રીથી લઇ દિવાળી સુધી રસ્તાનું કામ પૂર્ણ થઇ જશે. આ મામલે કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરી સાથે પણ ચર્ચા થઇ છે.
તો રસ્તાઓ અંગે તળાજાના ધારાસભ્ય કનુ બારૈયાએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભાવનગરથી સોમનાથ હાઇવે વર્ષોથી બદતર હાલતમાં છે. મહત્વનું છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી ભાવનગરથી સોમનાથ હાઈવેની ખુબ જ ખરાબ હાલત થઇ ગઇ છે. ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા આ રોડનું સમારકામ ક્યારે થશે તે તો જોવું રહ્યું. તો બીજી તરફ ભાવનગર-સોમનાથ ફોરલેનનું કામ પણ અટવાયેલું પડ્યું છે. આ અંગે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીને પણ રજૂઆત કરાઇ ચૂકી છે.
મહત્વનું છે કે, આ ફોરલેનનું 31 મે 2017ના રોજ તેમના દ્વારા સોમનાથ ખાતે રોડનું મૂર્હત કરવામાં આવ્યુ હતુ. ભાવનગરથી ઉના સુધીના ફોરલેનના કામને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યું જેની કામગીરી અઢી વર્ષમાં પૂર્ણ કરવાની હતી. ભાવનગરથી સોમનાથ સુધીમાં ફોરલેનનું કામ કોન્ટ્રાક્ટ નિર્ધારીત સમયમાં પૂર્ણ નથી થયું અને વિલંબનાં કારણે રોડ પર પસાર થતાં વાહન વ્યવહારને ખુબ વિપરીત અસર થાય છે.
રૂપિયા 160 કરોડના ખર્ચે રસ્તાઓ રિપેર કરાશે
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ VTV દ્વારા રાજ્યમાં ખાડાઓને લઇને મહાઅભિયાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજ્ય સરકારે નિર્ણય લેતા જણાવ્યું હતું કે, રાજ્યભરમાં ચોમાસામાં તૂટેલા રસ્તાઓ રિપેર કરાશે. રાજ્ય સરકારે રસ્તાની કામગીરી માટે રૂપિયા 160 કરોડ ફાળવ્યા છે. મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ રકમની ફાળવણી કરાઇ છે.