ચોમાસુ સત્ર શરૂ થયાના બે અઠવાડીયા થવા છતાં પણ વિપક્ષની એક જ માગ હતી મોંઘવારી પર ચર્ચા થાય, જો કે વિપક્ષ માટે આજે સંસદમાં થોડી રાહત મળી શકે છે કેમ કે આજે સદનમાં મોંઘવારી ચર્ચા શક્ય છે.
વિપક્ષની મક્કમતા સામે આજે સંસદમાં થશે મોંઘવારી પર ચર્ચા
મોંઘવારી પર ચર્ચાને લઈને બે અઠવાડીયાથી સંસદમાં ઠોસ કામગીરી નથી થઈ
આગામી અઠવાડીયે અગ્નિપથ પર ચર્ચા થાય તેવી વિપક્ષની માગ
વિપક્ષના હોબાળાને લઈને બે અઠવાડીયાથી સંસદની કાર્યવાહી ટલે ચડી રહી છે, ત્યારે હવે આજના દિવસે સંસદમાં મોંઘવારી પર ચર્ચા શક્ય છે. આજે મોંઘવારી પર લોકસભામાં ચર્ચા થશે, જ્યારે મંગળવારે રાજ્યસભામાં તેના પર ચર્ચા થશે. લોકસભામાં ચર્ચા નિયમ 193 અંતર્ગત સૂચિબદ્ધ કરવામાં આવ્યું છે. આ મુદ્દા પર નોટિસ શિવસેના સાંસદ વિનાયક રાઉત અને કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ લોકસભામાં આપી હતી.
તો વળી રાજ્યસભામાં બીજા દિવસે નિયમ 176 અંતર્ગત તેના પર ચર્ચા થશે. રાજ્યસભામાં NCP સાંસદ ફૌઝિયા ખાને ચર્ચાની નોટિસ આપી હતી. બંને સદનમાં જવાબ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આપવાની સંભાવના છે. ચોમાસુ સત્રના પ્રથમ દિવસથી વિપક્ષ મોંઘવારી પર ચર્ચા કરવાને લઈને મક્કમ છે.
આગામી અઠવાડીયે અગ્નિપથ પર ચર્ચા ઈચ્છે છે વિપક્ષ
વિપક્ષી પાર્ટીના સાંસદો મોંઘવારી પર ચર્ચા બાદ આગામી અઠવાડીયે સેના ભરતી અગ્નિપથ યોજના પર ચર્ચા માટે ભાર આપી શકે છે. વિપક્ષી નેતાઓએ કહ્યું કે, અગ્નિપથ યોજના પર ચર્ચાને લઈને તેમના વચ્ચે સહમતી થઈ ગઈ છે. પણ આ વિષયમાં અલગ અલગ પાર્ટીઓનો મત એકસમાન નથી. સંસદના ચોમાસુ સત્રના હવે ફક્ત 10 દિવસ બાકી છે અને આશા ઓછી છે કે, પાર્ટીઓ કોઈ પણ સદનમાં સેના ભરતીની નવી યોજના પર ચર્ચા કરાવી શકે.
સંસદના કાર્યદિવસ ખૂબ જ ઓછા બચ્યા
એક વિપક્ષ નેતાએ કહ્યું કે ,અમે નિશ્ચિતપણે ચર્ચાની માગ કરીશું., પણ આ માગ પુરી થવાની સંભાવના બહુ ઓછી છે, કેમ કે તેના માટે હવે સમય પણ બચ્યો નથી. સત્ર 12 ઓગસ્ટના રોજ ખતમ થશે અને તે પહેલા અઠવાડીયાના અંતમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અને નિવર્તમાન ઉપરાષ્ટ્રપતિનો વિદાય સમારંભ પણ યોજાશે.