રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે સાથે પાણીની સમસ્યા સર્જાઈ છે. ત્યારે ચોમાસાને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે. જેમાં ગુજરાતમાં ચોમાસું સારૂ રહેશે તેવા અણસાર દેખાઈ રહ્યા હોવાની વાત તેમણે કરી છે.
તો જૂનના અંતમાં અને જુલાઈની શરૂઆતમાં ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થશે તેવી વાત તેમણે કરી છે. તેમજ મધ્ય અરબ સાગરમાં 8 જૂને ડિપ્રેશન બનશે અને ડિપ્રેશન 14 જૂન સુધીમાં ચક્રવાતમાં ફેરવાશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે.
આ ઉપરાંત ચક્રવાત ફંટાઈ જાય તો ચોમાસામાં વધુ વિલંબ નહિ થાય તેવી આગાહી પણ તેમણે કરી છે. તો મુંબઈમાં 15 થી 20 જૂન સુધીમાં ચોમાસાની શરૂઆત થશે. જ્યારે દક્ષિણ મહારાષ્ટ્ર મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદના ઝાપટા પડશે. તથા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 21થી 26માં વરસાદ થવાની સંભાવના હોવાની આગાહી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે કેરળના દરિયા કિનારે ચોમાસાએ દસ્તક આપી છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસાની શરૂઆત પહેલી જૂનના રોજ થવાની હતી. પણ હવામાન વિભાગે કહ્યું કે, કેરળમાં આજથી ચોમાસુ બેસશે. સાથો સાથ ધીરે ધીરે ચોમાસુ ઉત્તર પૂર્વ તરફ આગળ વધે તેવી શક્યતા છે.