ચોમાસુ નજીક આવે એટલે વરસાદ કયારે, કયાં અને કેટલો આવશે તેની આગાહીઓ શરૂ થઈ જતી હોય છે. ખાસ કરીને વરસાદનો વરતારો ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થતો હોય છે.
આગાહી સાચી પડે કે ખોટી પડે તે પછીનો સવાલ છે પરંતુ હવામાનના વરતારા પર ખેડૂત અને સામાન્ય માણસ ઘણો જ વિશ્વાસ કરતો હોય છે. જો 2019ની વાત કરીએ તો ખાનગી હવામાનની બાબતોના નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આ વર્ષે પણ આગાહી કરવામાં આવી છે.
જો વરતારાની વાત કરીએ તો 2019નો ચોમાસાનો વરતારો ગુરુ અને શનિના ભ્રમણના આધારે જોવામાં આવ્યો છે અને આ ચોમાસાને 1959, 1971 અને 1983ના ચોમાસાના આધારે જોવામાં આવ્યુ છે. આ વર્ષના વરતારા મુજબ કેરળ કાંઠે ચોમાસુ સમયસર આવશે અને કેરળમાં જૂનના પહેલા સપ્તાહમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જો ગુજરાતની વાત કરીએ તો 25 થી 28 મે સુધીમાં રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની શકયતાઓ છે. તો બીજી તરફ ગુજરાતમાં ચોમાસુ વિધીસર કયારે આવશે તેનો ખ્યાલ કોરોમડીના વાદળો આવ્યા પછી આવશે પરંતુ એક વાત આગાહી મુજબ એ પણ સામે આવી છે કે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમા વરસાદની વહેંચણી અસમાન રહેશે.