ચોમાસુ માથે મંડરાઈ રહ્યું છે આવા ખરા ટાણે જ અમદાવાદ અને વડોદરામાં પ્રિ-મોન્સુન કામગીરીના નામે રોડની ઘોર ખોદી નાખવામાં આવી છે. જેથી લોકો રોષે ભરાયા છે.
અમદાવાદ-વડોદરામાં તંત્રના પાપે જનતા પરેશાન
ચોમાસું આવ્યું પરંતુ ખાડાઓ ન પુરાયા!
પ્રિ-મોન્સૂનની કામગીરી મંથરગતિએ
અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પ્રિ-મોન્સૂનની કામગીરી મંથરગતિએ ચાલી રહી છે. જેના કારણે શહેરીજનો પરેશાન થઈ ગયા છે. શહેરના જશોદાનગર ચાર રસ્તા નજીકના રસ્તાને થોડા સમય પહેલા જ નવો બનાવવામાં આવ્યયો હતો છતા તંત્ર દ્વારા આ રસ્તાને ખોદીને તંત્ર પ્રિ-મોન્સૂનની કામગીરી કરી રહ્યું છે. એક તો શહેરમાં પડતા ભૂવાના કારણે શહેરીજનો પરેશાન છે. તેવાં શહેરીજનોની પરેશાની દૂર કરીને સુવિધા આપવાની વાત તો દુર રહી પરંતુ આડેધડ કામગીરી કરીને ઉલ્ટાનું તંત્ર પ્રજાને પરેશાનીમાં ધકેલી રહ્યું છે જેથી તંત્રના ઢંગધળા વગરના આયોજનને લઈને લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે.
વડોદરામાં પણ આડેધડ ઠેર-ઠેર ખોદકામ
વડોદરામાં ગત વર્ષે પણ ચોમાસા દરમિયાન રસ્તાઓની બિસ્માર હાલતને લઈને જનતામાં ભારે રોષ ફેલાયેલો હતો. એક વખત લોક રોષનો ભોગ બની ગયેલા તંત્રને કામગીરીનું ભાન આવતું નથી. તેવામાં હવે ફરી એકવાર ચોમાસું નજીક આવી ગયું છતાં શહેરના આયુર્વેદિક કોલેજ વિસ્તારમાં ખાડા ખોદવામાં આવ્યા છે. અને ખાડા ખોદ્યા બાદ તેની કામગીરી અધુરી છોડી દેવામાં આવી છે. તેવામાં આ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે મોટો સવાલ છે.
ક્યાં જાય છે વિકાસના કામો પાછળ ખર્ચાતા કરોડો રૂપિયા?
અમદાવાદ અને વડોદરા તો ઠીક પરંતુ રાજ્યના તમામ મહાનગરોમાં રસ્તાઓની આવી જ હાલત છે. ત્યારે સવાલ એ થાય છે કે, ટેક્સના નામે પ્રજા પાસેથી ઉસેડવામાં આવતા કરોડો રૂપિયા જાય છે કયા? ચોમાસું આવી ગયું છતાં કેમ પ્રિ-મોન્સૂનની કામગીરી પૂર્ણ ન થઈ? હજૂ સુધી કેમ રસ્તાઓ પર ખાડાઓનું પુરાણ નથી થયું? રસ્તાઓ નવા બને તે પહેલા કેમ પ્રિ-મોન્સૂનની કામગીરી નથી કરાતી? નવા રસ્તાઓને વારંવાર કેમ ખોદી નાખવામાં આવે છે? તેવા અનેક સવાલો લોકોમાં ચર્ચાઇ રહ્યા છે. આથી પ્રજાની પરેશાની પારખી તંત્ર દ્વારા વરસાદના આગમન પહેલા તમામ રસ્તા રિપેરિંગ કરવામાં આવે તેવી લોકો માંગ ઉઠાવી રહ્યા છે.