આજે જ્યારે પાણીની સમસ્યાનો ડંકો ચારેકોર વાગી રહ્યો છે ત્યારે આજે પણ અમદાવાદની પોળોમાં વર્ષો જુના પાણીના ટાંકા વરસાદી પાણીનો સંગ્રહ કરી રહ્યા છે. અમદાવાદની પોળોમાં દાયકાઓથી વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટેના ટાંકા છે.
જોકે સમયની સાથે બદલાવ આવતા ગયા અને રિનોવેશનના નામે પાણીના ટાંકાને કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યા. છતાં આજે પણ પોળોમાં એવા ઘર છે જે વરસાદી પાણીનો સંગ્રહ કરે છે. શહેરના ખાડિયા વિસ્તારમાં આવેલી મોટા સુથારની પોળમાં બસો વર્ષ જૂનો પાણીનો ટાંકો છે જે હાલમાં પણ ચાલુ સ્થિતિમાં છે. આ વિશે વાત કરતાં જગદીપભાઈ મહેતા કહે છે, પાણીની અછત વર્તાય ત્યારે આ ભૂગર્ભ ટાંકાનું પાણી આશીર્વાદરૃપ સાબિત થાય છે.
અમારા ટાંકામાં સત્તર હજાર લિટર પાણીનો સંગ્રહ થયેલો છે. મઘા અને આદ્રા નક્ષત્રમાં પડતા વરસાદનું પાણી અમે ટાંકામાં ઉતારીએ છીએ, કારણ કે ત્યારે પાણી બેક્ટેરિયા મુક્ત હોય છે. આ પાણી રસોઈ, પીવામાં, તાંબા-પિત્તળનાં વાસણો માંજવામાં અને ભગવાનની પૂજા-અર્ચનામાં વપરાય છે. આ ઉપરાંત પણ આ પાણી ડાયાબિટીસ અને કૅન્સર જેવા રોગની સારવાર માટે પણ ઉપયોગમાં લેવાય છે. અમારા ત્યાંથી એક ભાઈ નિયમિત રીતે પાણી લઈ જાય છે અને તેની દવા બનાવી જરૃરિયાતમંદ લોકોને નિઃશુલ્ક આપે છે. વરસાદનું પાણી શુદ્ધ પાણી હોય છે જેની ટીએસ વેલ્યુ ૭ હોય છે જે પીવા માટે બેસ્ટ છે.
હાલમાં જે લોકોએ વરસાદી પાણીનો સંગ્રહ કરવાની મુહીમ શરૃ કરી છે તે એક ઉમદા કામ છે. આપણે બચાવેલું પાણી આપણા અને આપણા લોકો માટે ઉપયોગમાં લઈ શકાશે. માટે દરેક ઘરમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવાની પદ્ધતિ અપનાવી જોઈએ.
અમદાવાદીઓ હવે પાણીના સંગ્રહને લઈને ગંભીર બન્યા છે. દરેક નાગરિક પોતાના ફ્લેટ, બંગ્લોઝ કે રો-હાઉસમાં આ રીતે જમીનમાં અથવા તો અગાશી પર પાણી સંગ્રહ કરવાની વ્યવસ્થા કરે તો પીવાના પાણીની અછતને દૂર કરી શકાય છે.