અમદાવાદ: ખેડૂતો માટે એક સારા સમાચાર મળી રહ્યા છે.દેશમાં આ વર્ષે ચોમાસું 3 દિવસ વહેલું બેસે તેવી સંભાવના છે. 29 મેએ ચોમાસુ કેરળ પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ જાણકારી અન્ય કોઈ નહીં પરંતુ હવામાન વિભાગે આપી છે. આ પૂર્વે ચોમાસું 1 જૂને બેસે તેવી સંભાવના વ્યક્ત કરાઈ હતી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અંદમાન સાગર અને દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની રહી છે.
આ સિસ્ટમના કારણે લાગી રહ્યું છે કે ત્યાં 23 મેએ વરસાદ પહોંચશે. જે બાદ કેરળના દરિયા કિનારાના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થશે. માનવામાં આવી રહ્યું છે કે અંદમાન સાગરથી કેરળમાં વરસાદ પ્રવેશ કરવામાં એક સપ્તાહથી ઓછો સમય લાગે છે અને કેરળ પહોંચનાર વરસાદ જ સક્રિય થઈને દેશના ઉત્તરી ક્ષેત્ર સુધી પહોંચે છે અને ત્યારબાદ જ દિલ્હી ઉત્તર અને દક્ષિણના રાજ્યોમાં ગરમીથી રાહત મળે છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં 97 ટકા વરસાદ થવાની સંભાવના છે. મહત્વનું છે કે 96થી 104 ટકા વરસાદ થાય તો તેને સામાન્ય માનવામાં આવે છે. જ્યારે 90થી 96 ટકા વરસાદને સામાન્યથી ઓછો ગણાય છે. મહત્વનું છે કે ગત વર્ષે 30 મેએ કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ હતી. પરંતુ વર્ષ 2016માં 8 જૂન. જ્યારે 2015માં 5 જૂન જ્યારે 2014માં 6 જૂનમાં ચોમાસું શરૂ થયું હતું તો વર્ષ 2013માં 1 જૂને વરસાદ શરૂ થયો હતો.