ભારતમાં એક તરફ લોકો કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યાં છે. જ્યારે બીજી તરફ કેટલાક રાજ્યોમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ છે. આઠ રાજ્યોમાં ભારે વરસાદના કારણે પૂર અને ભૂસ્ખલનથી 470થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. સૌથી વધારે પશ્ચિમ બંગાળ, આસામ અને ગુજરાત જેવા રાજ્ય પ્રભાવિત થયા છે.
8 રાજ્યોમાં પૂરના કારણે 470થી વધારે લોકોના મોત
સૌથી વધારે પશ્ચિમ બંગાળ, આસામ અને ગુજરાત પ્રભાવિત
NDRFની 70થી વધારે ટીમો રાહત કાર્યમાં લાગેલી છે
માર્ચથી ભારતમાં આ બીજી આફત છે. NDRFની ઓછામાં ઓછી 70થી વધારે ટીમો બચાવ અને રાહત કાર્યમાં લાગેલી છે. ગૃહ મંત્રાલયના આંકડા અનુસાર ચોમાસામાં પશ્ચિમ બંગાળમાં પૂરના કારણે સૌથી વધારે મોત થયા છે. રાજ્યમાં આ આંકડો 142 સુધી પહોંચી ગયો છે. આ સિવાય પાંચ લોકો ગુમ છે. આસામમાં 111 અને ગુજરાતમાં 81 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં 46 અને મધ્યપ્રદેશમાં 44 લોકો પૂરના કારણે મૃત્યુ પામ્યા છે.
કોરોના મહામારી વચ્ચે રાહત કેમ્પોમાં સામાજિક અંતરનું પાલન કરવું એક મોટો પડકાર બની ગયો છે. આસામમાં રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલા 564 રાહત કેમ્પોમાં લગભગ 4.45 લાખ લોકો પહોંચ્યા છે. પશ્ચિમ બંગાળમાં હાલ 118 રાહત કેમ્પ છે. ઉત્તરપ્રદેશમાં 78 રાહત કેમ્પ ચાલી રહ્યાં છે.
ઉત્તરપ્રદેશમાં અત્યાર સુધી બે લોકોના મૃત્યુ પૂરના કારણે થયા છે. બિહારમાં પૂરના કારણે કોઇ લોકોના મૃત્યુ થયા નથી પરંતુ 13 રાહત કેમ્પોમાં 12000 લોકોને રાખવામાં આવ્યા છે. ગયા વર્ષે પણ ચોમાસામાં ભારે તબાહી મચી હતી.
30 સપ્ટેમ્બર સુધી 14 રાજ્યોમાં 1685 લોકોના મોત થયા હતા અને અનેક લોકો લાપતા થયા હતા. જોકે પૂરના કારણે થયેલા આર્થિક નુકસાનના કોઇ આંકડા જાહેર કરવામાં આવ્યા નથી. વર્ષ 2019માં ચોમાસું ભારત માટે અલગ હતું.
આ દરમિયાન 25 વર્ષમાં સૌથી વધારે વરસાદનો રેકોર્ડ તૂટી ગયો હતો. 8700 રાહત કેમ્પોમાં 22 લાખ લોકોને આશરો આપ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રના ડિઝાસ્ટર રિક્સ રિડક્શનનો આંકડા અનુસાર દુનિયામાં દર વર્ષે 2.6 કરોડથી વધારે લોકો પર્યાવરણમાં આવનારા બદલાવોના કારણે ગરીબ થઇ જાય છે.