પંચમહાલ: ગિરિમથક સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ થઈ ચુક્યો છે. આ મોન્સૂન ફેસ્ટિવલ 4 ઓગષ્ટથી 3 સપ્ટેમ્બર સુધી ચાલશે. એક મહિના સુધી આ ફેસ્ટિવલ ચાલશે. આ ફેસ્ટિવલનું કેબિનેટ મંત્રી ગણપત વસાવાનાં હસ્તે ઉદ્વાટન કરવામાં આવ્યું હતું. મોન્સૂન ફેસ્ટિવલ દરમ્યાન દરરોજ રાત્રે 8થી 9:30 વાગ્યા સુધી રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થશે.
સહેલાણીઓ માટે અવનવા કાર્યક્રમો યોજાશે. તારક મહેતાનાં ઉલ્ટા ચશ્માની ટીમ સાપુતારા પહોંચતા સહેલાણીઓમાં ભારે આનંદ બેવડાયો હતો. સાપુતારામાં ગયાં વર્ષે મોન્સુન ફેસ્ટિવલ દરમ્યાન પ્રવાસીઓની સંખ્યા 2 લાખથી પણ વધારે હતી. જો કે આ વખતે ચાલુ વર્ષે પણ આ સંખ્યા અગાઉથી વધે તેવી પ્રવાસન વિભાગની અપેક્ષા છે.
આપને જણાવી દઇએ કે આ ફેસ્ટિવલમાં સ્થાનિક લોકો અને નાના વિક્રેતાઓને વેપારની તકો પણ પૂરી પાડવામાં આવે છે અને સાથે સાથે ડાંગની સ્થાનિક આદિવાસી પ્રજાની જીવનપદ્ધતિ વિષે પણ માહિતી મળી રહે છે.આ સાથે સાથે અનેક પ્રકારનાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે. છેલ્લાં 7 વર્ષથી સતત એક મહિના સુધી આ મોન્સુન ફેસ્ટિવલનું સાપુતારામાં આયોજન કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે સાપુતારામાં ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે રૂમ અને ડોરમેટરીની અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તેમજ આ ફેસ્ટિવલની મુલાકાત દરમ્યાન સાપુતારામાં નજીક આવેલો ગીરા ધોધ રોઝ ગાર્ડન બોટિંગ આર્ટિસ્ટ વિલેજ ઇકો પોઇન્ટ સનસેટ પોઇન્ટ નાગેશ્વર મહાદેવ મંદિર સાપુતારા તળાવ જેવાં અનેક સ્થળોએ પણ ફરવા માટેનાં આકર્ષણનાં સ્થળો આવેલાં છે.