ગરમીથી પરેશાન લોકો માટે રાહતના સમાચાર છે. જૂનના પહેલા સપ્તાહમાં ભારતમાં ચોમાસું બેસે તેવી શક્યતા છે. જ્યારે દિલ્લીમાં 29 જૂનથી વરસાદના અણસાર છે. દેશમાં ચોમાસાને લઇને જાણકારી આપતી સંસ્થા સ્કાઇમેટના જણાવ્યા અનુસાર દેશમાં 2019માં 93 ટકા જેટલા વરસાદની સંભાવના છે.
મોસમના પૂર્વાનુમાન અનુસાર આ વર્ષે ભારતીય ઉપ મહાદ્વીપમાં ચોમાસુ પ્રારંભિક તબક્કામાં થોડો કમજોર જોવા મળશે. દેશમાં ચોમાસાને લઈને સ્કાયમેટે આગાહી કરી છે. સ્કાયમેટે ભારતમાં 4 જૂનથી ચોમાસુ શરૂ થશે તેવી આગાહી કરી છે. આ આગાહી મુજબ 4 જૂન સુધીમાં ચોમાસુ કેરલ પહોંચી શકે છે.
મળતી માહિતી મુજબ વરસાદ પર અલનીનોની અસર થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. જેને લઈને સામાન્યથી ઓછો વરસાદ થવાની શક્યતા વ્યકત કરવામાં આવી છે. સ્કાઇમેટની આગાહી મુજબ આ વર્ષે સામાન્યથી 93 ટકા વરસાદનું અનુમાન કરવામાં આવી રહ્યુ છે. જો કે રાજસ્થાન અને ગુજરાતમાં સારો વરસાદ થવાની આશા છે.
જ્યારે મહારાષ્ટ્ર અને પંજાબમાં પણ સાર વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે. જો કે બિહાર અને ઝારખંડમાં ઓછો વરસાદ થવાની સંભાવના છે. મહત્વનું છે કે, ઉત્તર ભારતમાં સારા વરસાદની આશા છે, તો મધ્ય ભારતમાં 91% વરસાદ અને પૂર્વીય ભારતમાં 92% વરસાદની આગાહી કરવામાં આવી છે.