હાલ દેશમાં નૈરુત્યના ચોમાસાની ઋતુ ચાલી રહી હોવાથી અલગ અલગ ભાગોમાં મેઘ મલ્હાર યથાવત છે. વરસાદી સીઝન હોવાના લીધે ગુજરાતના અલગ અલગ ભાગોમાં પણ વરસાદની સંભાવના રહે છે. ત્યારે આજ શ્રેણીમાં ફરી એક વાર આજે દક્ષિણ ગુજરાતના નવસારી જીલ્લામાં વરસાદી ઝાપટા પડ્યા હતાં.
દક્ષિણ ગુજરાતના નવસારી જીલ્લામાં વરસાદી ઝાપટાં
20 દિવસના વિરામ બાદ ફરી આવી પહોંચી મેઘ સવારી
ગણદેવી - બીલીમોરા સહિતના અન્ય તાલુકામાં પણ વરસાદ
નવસારીના ગણદેવી અને બીલીમોરા તાલુકા સહિતના અન્ય તાલુકામાં પણ વરસાદી માહોલ છવાયો હતો અને ઝાપટા પડ્યા હતાં. સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં પણ ઝાપટા પડ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે હાલ લગભગ 20 દિવસના અંતરાલ બાદ ફરી આવેલી આ મેઘસવારી જીલ્લાના ખેડૂતોના મુખ પર રાહતની લાગણી લઈ આવી છે, કેમ કે અગાઉના વરસાદ બાદ ખેડૂતોએ બિયારણ અને ખાતર લઈને વાવણી કરી દીધી હતી, અથવા ઘણા ખેડૂતો વાવણી માટે બિયારણ અને ખાતરની ખરીદીમાં વ્યસ્ત હોય ત્યારે આ વરસાદની જ એમને ખાસ આશા સેવાતી હોય છે.
નવસારીમાં મોટાભાગનું વરસાદી પાણી વહી જાય છે
દક્ષિણ ગુજરાતને મુખ્યત્વે પૂરની નદીઓના મેદાની પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાની મોટાભાગની નદીઓમાં વરસાદી સિઝનમાં જ પાણી હોય છે બાકીના સમય ત્યાંની નદીઓમાં પાણીની તંગી હોય છે કેમ કે મોટાભાગનું પાણી વહીને અરેબિયન સાગરમાં વહી જાય છે, જેથી કરીને સિંચાઈ માટે ખેડૂતોએ નદીઓ પર બહુ નિર્ભર રહી શકાતું નથી સિવાય કે ત્યાની અમુક સીંચાઈ યોજનાઓને બાદ કરતા.
નવસારીમાં શેરડીનો પાક પણ બહુ સારો થાય છે
આ સિવાય દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગે શેરડી, કપાસ, ચોખા, તુવેર, સોયા કોર્ન, મગ, અડદ અને જુવારના પાકો લેવામાં આવે છે જેમાં પણ નવસારી જીલ્લો તેની બાગાયતી એટલે કે હોર્ટીકલ્ચર ખેતી માટે બહુ જ પ્રસિદ્ધ છે. નવસારીમાં શેરડીનો પાક પણ બહુ સારો લેવામાં આવે છે જેનાથી પછી ખાંડ બનાવવામાં આવે છે. દક્ષિણ ગુજરાતમાં થતી શેરડીના પાકની ખેતીના લીધે જ તે વિસ્તારમાં ખાંડ ઉદ્યોગનું સ્થાપન શક્ય બની શક્યુ હતું.
આમ નવસારીમાં ફરી વરસાદ એ સંપૂર્ણ દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર સમાન છે. કેમ કે સૌ ખેડૂતો વાવણીલાયક વરસાદની રાહ જોઈ રહ્યાં હોય છે.