કચ્છમાં પવનચક્કી પર વીજળી પડવાને કારણે આગ લાગી હતી. ગઈ કાલથી લઈને 8 તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ગાજવીજ સાથે વીજળી પડવાના બનાવો વધી રહ્યા છે.
કચ્છમાં પવનચકી પર વીજળી પડી
વીજળી પડતા પવનચકીમાં આગ ભભૂકી ઉઠી
નખત્રાણા ના લક્ષ્મીપર-નેત્રા નજીક બની ઘટના
કચ્છમાં પવનચકી પર વીજળી પડતાં આગ ભભૂકી ઉઠી હતી. નખત્રાણાના લક્ષ્મીપર-નેત્રા નજીક વિજળીના કારણે આગ લાગતા સ્થાનિકોમાં ભય ફેલાઇ ગયો હતો. જો કે સદભાગ્યે ઘટનામાં કોઇ જાનહાનિ નથી થઇ.
વીજળી પડવાની ઘટના કેવી રીતે થાય છે
સૂર્યની ગરમીને કારણે જે-તે વિસ્તારની હવા ગરમ અને પાતળી બનીને ઉપરના વાતાવરણમાં ચડી જાય. ઉપરના વાતાવરણમાં જઈને એ હવા ઠંડી થાય. ઠંડી થયેલી હવામાં ભેજનું પ્રમાણ વધી જાય અને એમાંથી પાણીનાં અસંખ્ય બિંદુઓ સાથે બરફના કણો પણ સર્જાય. આ પ્રક્રિયા ધરતીથી ફક્ત 15 કિલોમીટરના અંતરે તરતાં ક્યુમુલોનિમ્બસ પ્રકારનાં વાદળાંઓમાં થાય. ત્યાર બાદ જળનાં બિંદુઓ અને બરફના કણો ભેગાં થઈને પ્રચંડ ગતિએ ગોળ-ગોળ ઘૂમવા લાગે અને સાથોસાથ નીચેના વાતાવરણમાં તરતાં વાદળાંઓ ઊતરી આવે. આ પ્રક્રિયા દરમ્યાન એમાં કુદરતી રીતે જ વિદ્યુત ચુંબકીય ઘર્ષણ પેદા થાય અને વીજળી ઉત્પન્ન થાય. ટેક્નિકલી સમજીએ તો વાદળાંઓમાં સર્જાતા ઋણ વિદ્યુતભાર (-) અને ઘન વિદ્યુતભાર (+) ને કારણે વીજળી પેદા થાય છે.
શું કહે છે હવામાનશાસ્ત્ર?
હવામાનશાસ્ત્ર મુજબ આ સમગ્ર ગતિવિધિ કોઈ પર્વત પરથી જળનો પ્રવાહ તીવ્ર ગતિથી ધસમસતો જમીન તરફ આવે એવી રીતે થાય છે. પાણીનો પ્રવાહ પહાડ પરથી નીચે જમીન ભણી આવે ત્યારે એના અગ્ર ભાગની ગતિ સૌથી વધુ હોય છે. આ પ્રક્રિયા દરમ્યાન જળના આગળના મુખ્ય અને મોટા ભાગમાંથી અમુક નાના-નાના હિસ્સા છૂટા પડીને આડાઅવળા ફેંકાય છે. વળી પ્રવાહનો એ અગ્ર હિસ્સો છેક જમીન સુધી આવે ત્યારે જમીન સાથે જોરથી અથડાય છે. પરિણામે પ્રવાહના એ આગળના ભાગમાંથી પણ અમુક હિસ્સો છૂટો પડીને દૂર ફેંકાય છે. કંઈક આ જ રીતે આકાશમાંનાં વાદળાંઓમાં વીજળી પેદા થાય ત્યારે એમાં ભયંકર સ્પાર્ક થાય છે. આવા સ્પાર્કને આપણે સામાન્ય ભાષામાં વીજળી થઈ એમ કહીએ છીએ.
જે સૂક્ષ્મ હિસ્સો છેક ધરતી સુધી આવી જાય એને વીજળી પડી એમ કહેવાય.
વીજળીના સ્પાક્ર્સ કુદરતી રીતે જ વાદળાંઓમાંથી નીચેના વાતાવરણ તરફ ફેંકાય છે. વીજળીના ચમકારા નીચેની તરફ ફેંકાય ત્યારે એના અગ્ર ભાગમાંથી કેટલાક નાના-નાના હિસ્સા તૂટી પડે - પર્વત પરથી નીચે ધસી આવતા પેલા પાણીના પ્રવાહના આગળના ભાગમાંથી છૂટા પડતા નાના-નાના હિસ્સાની જેમ. જોકે વીજળીના એ બધા નાના-નાના હિસ્સા જમીન સુધી નથી પહોંચતા, પરંતુ એકાદ નાનકડો હિસ્સો છૂટો પડીને છેક ધરતી સુધી આવી જાય છે. વીજળીનો જે સૂક્ષ્મ હિસ્સો છેક ધરતી સુધી આવી જાય એને વીજળી પડી એમ કહેવાય.
વીજળીનો જે સૂક્ષ્મ હિસ્સો છૂટો પડીને જમીન ભણી ફંટાય એને જમીન સુધી પહોંચવામાં ફ્ક્ત ૨૦ મિલી-સેકન્ડનો સમય થાય છે. વીજળી પડવાની આ ગતિવિધિ કેટલી ઝડપથી થતી હશે એની કલ્પના કરવા જેવી છે.
જમીન સુધી આવતી વીજળી કેટલી જોખમી?
હવામાનશાસ્ત્રીઓના અભ્યાસ મુજબ વીજળીના એક કડાકામાં લગભગ 100 મિલિયન વોલ્ટ અથવા એના કરતાં પણ વધુ વોલ્ટસની શક્તિ હોય છે. આટલી અતિ પ્રચંડ તાકાતથી વીજળી જે કોઈ વિસ્તારમાં ત્રાટકે ત્યાં જમીનમાં ઊંડો ખાડો પડી જાય અને ત્યાં કોઈ માણસ, પશુ કે વૃક્ષ હોય તો ઘડીના છઠ્ઠા ભાગમાં એનું નામનિશાન મટી જાય.
વીજળીમાં હોય છે પ્રચંડ તાકાત
ઘરમાં કે પછી બહાર કોઈ વ્યક્તિને હળવો ઇલેક્ટ્રિક શૉક લાગે તો પણ તે ઘણું દાઝી જાય છે અથવા તેની પરિસ્થિતિ ગંભીર બની જાય છે તો કરોડો ડિગ્રી વૉલ્ટ્સની અસર કેટલી ઘાતક હોય એની કલ્પના જ કરવી રહી. વળી જે કોઈ સ્થળે વીજળી પડવાની ઘટના બને ત્યાં મગજની નસો ફાટી જાય એવો અતિ ભયાનક કડાકો પણ થાય અને આખો વિસ્તાર રીતસર ખળભળી ઊઠે. ખાસ કરીને પશુઓ અને પંખીઓ પ્રકૃતિના આવા રૌદ્ર સ્વરૂપથી અવાચક થઈ જાય.
વીજળી પડવાની સૌથી વધુ સંભાવના
વીજળી પડવાની શક્યતાને પૃથ્વી પરની ધરતીમાંનાં કુદરતી તત્વો સાથે સીધો સંબંધ છે. જમીનમાં વિવિધ પ્રકારનાં રાસાયણિક અને ખનિજ તત્વો હોય છે. ઉપરાંત ખડકોના બંધારણ અને એનાં વિશિષ્ટ તત્વો સાથે પણ સંબંધ હોય છે. ઉદાહરણરૂપે જે જમીનમાં સૌથી વધુ મૅગ્નેટિક તત્વો હોય ત્યાં વીજળી ત્રાટકવાનું જોખમ સૌથી વધુ રહે છે, કારણ કે આવાં મૅગ્નેટિક તત્વો વીજળીને સૌથી વધુ આકર્ષે છે.
ઉપરાંત જે વિસ્તારના ખડકોમાં ગ્રેનાઇટ અને મૅગ્નેટિક તત્વો વધુ હોય ત્યાં પણ વીજળી પડવાનું જોખમ ઘણું વધી જાય છે. ભારતમાં કેરળ અને મહારાષ્ટ્ર ઉપરાંત ઉત્તરાખંડ તથા હિમાચલ પ્રદેશમાં વીજળી ત્રાટકવાની ઘટનાઓ સૌથી વધુ બને છે. ઉત્તરાખંડના ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ, બદરીનાથ, ઉત્તર-કાશી વગેરે વિસ્તારોમાં અને મહારાષ્ટ્રના નાશિક જિલ્લામાં વીજળી ત્રાટકવાની ઘટનાઓમાં દર વર્ષે ઘણી વ્યક્તિઓનાં મૃત્યુ થાય છે. આનો અર્થ એવો થયો કે ઉત્તરાખંડની અને નાશિકની જમીનમાં અને ખડકોમાં મૅગ્નેટિક અને તત્વોનું પ્રમાણ વધારે છે.
વીજળીના વિવિધ પ્રકારો
આમ તો આકાશમાં ચમકતી વીજળી એકસરખી લાગે, પરંતુ હકીકત એ છે કે હવામાનશાસ્ત્રીઓએ સઘન સંશોધન અને અભ્યાસના આધારે વીજળીના પણ જુદા-જુદા પ્રકાર નક્કી કર્યા છે. ઉદાહરણરૂપે ક્લાઉડ-ટુ-ક્લાઉડ લાઇટનિંગ (એટલે કે વાદળાથી વાદળા સુધી થતી વીજળી), પૉઝિટિવ લાઇટનિંગ, રિબન લાઇટનિંગ, ફોર્કડ લાઇટનિંગ, રૉકેટ લાઇટનિંગ, બૉલ લાઇટનિંગ, બ્લુ લાઇટનિંગ, અપર ઍટ્મોસ્ફિયરિક લાઇટનિંગ વગેરે. રળિયામણી, મનોહર અને હરિયાળી પ્રકૃતિનાં આ બધાં ભયાનક અને બિહામણાં સ્વરૂપો પણ જાણવા-સમજવાં જેવાં છે.