રાજ્યના દ્વારે ટકરાવા માટે દસ્તક દઈ રહેલું વાયુ તો ન આવ્યું પરંતુ તેણે ચોમાસાને આંગળી પકડીને રાજ્યમાં પહોંચાડી દીધું છે. ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમારે વરસેલા વરસાદે રાજ્યમાં ચોમાસાનો જાણે માહોલ ઊભો કરી દીધો. જો કે વાયુના તોફાનના કારણે સમય કરતાં વહેલા આવેલા વરસાદે ખેડૂતોના આયોજનો પર પાણી ફેરવી દીધું છે. ત્યારે મોસમના પહેલા વરસાદે વિવિધ રંગોના દર્શન કરાવ્યા છે.
વાયુની આંગળી પકડીને રાજ્યમાં આવી ચડેલા ચોમાસાએ જ્યાં દરિયાકાંઠે વસતા લોકોની ઊંઘ હરામ કરી દીધી છે તો શહેરવાસીઓને ગરમીથી રાહત આપી છે. પ્રથમ ગ્રાસે જ વરસેલા ધોધમાર વરસાદે કેટલાક ખેડૂતોને વાવણીલાયક લાગ્યો છે તો કેટલાક ખેડૂતોને તારાજી જેવો લાગ્યો છે. જૂનાગઢ વરસાદથી શોટ જૂનાગઢ જિલ્લામાં 4થી 5 ઇંચ વરસાદ પડ્યો છે. જિલ્લામાં સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. વરસાદના વિરામ બાદ ખેડૂતો વાવણીના શ્રીગણેશ કરી દેવાના મૂડમાં દેખાયા છે.
બે કાંઠે લોકમાતા
વેરાવળમાં ઉપરવાસના વરસાદના કારણે દેવકા નદીમાં પૂર આવ્યું છે. ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદના કારણે દેવકા નદી બે કાંઠે વહી રહી છે. ત્યારે ઓમનાથ મહાદેવ મંદિર પાસે પણ પાણીનો પ્રવાહ તેજ થઇ જતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા.
નવાનીરના વધામણા
જોકે, જૂનાગઢના તાલુકાઓમાં વરસાદે વિરામ લીધો છે. વિલિંગડન ડેમમાં નવા નીરની આવક થઇ છે. હાલ ડેમમાં 10 ફૂટ પાણીની આવક થઇ છે ડેમમાં નવા નીર આવતા લોકો જોવા ઉમટ્યા હતા. વાવાઝોડાની અસરના કારણે જૂનાગઢમાં અને તાલાલામાં સરેરાશ 7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે
વર્ષોનો ઉછેર,પળવારમા જમીનદોસ્ત
જ્યાં એક તરફ વરસાદે નદીઓમાં પૂર વહેવડાવ્યા છે અને જગતના તાતને વાવણી માટેની આશા બંધાવી દીધી છે ત્યાં બીજી તરફ આ એકાએક આવેલા વરસાદથી ઘણુ નુકસાન પણ થયું છે. ગીર સોમનાથમાં ભારે પવન અને વરસાદના કારણએ મોટું નુકસાન થયું છે. સુપાસી, છાત્રોડા અને આદ્રી ગામમાં નારિયેળીના વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયા છે. ભારે પવનના કારણે નારિયેળી પડી જતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
ખેડૂત, ગીર સોમનાથ
વરસાદની રાહ તો ખેડૂતો જોઈ જ રહ્યા હતા. પરંતુ વાવાઝોડાના રૂપમાં નહીં. તોફાની પવન સાથે આ રીતે વરસાદ પડશે તેનો કોઈએ અંદાજો પણ લગાવ્યો નહોતો. વરસાદ એવી આફત સાથે ત્રાટક્યો હતો કે, જાણે વર્ષોની મહેનત આંખોની સામે જોત-જોતામાં બર્બાદ થઈ ગઈ. કેળ અને નારિયેળીનો પાક જડમૂળમાંથી નાશ પામ્યો અને ખેડૂતો કાંઈ કરી ન શક્યો. કુદરતની થપાટ પડે તો તેની સામે સૌકોઈ નિરાધાર બની જાય છે.
આબાદ બચાવ
દીવના ગંગેશ્વર મહાદેવ મંદિરે દર્શન ગયેલો પરિવારનો આબાદ બચાવ થયો છે. દરિયાનો મોજું આવતા આખો પરિવાર પાણીમાં ગરકાવ થયો હતો.જોકે સદનસીબે તમામ લોકોને આબાદ બચાવ થયો છે. ધોરાજીમાં વાયુ વાવાઝોડાને કારણે વૃક્ષો ધરશાયી થયા છે. વૃક્ષ ધરાશાયી થતા સ્ટેશન રોડ બંધ થતા રાહદારી ઓને ચાલવામાં મુશ્કેલી પડી હતી. વૃક્ષ ધરાશાયી થવાથી આસપાસના વીજ પોલને પણ નુકસાન થયુ છે.જેને લઈને આસપાસના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ છે.
ભૂવાની મોસમ
દરિયાકાંઠાના વિસ્તારોમાં અને મેદાની વિસ્તારોમાં પ્રથમ વરસાદથી લોકોને એક તરફ ગરમીમાંથી રાહત મળી છે તો બીજી તરફ શહેરી વિસ્તારમાં વરસાદ જન્ય મુસીબતો પણ ઊભી થઈ છ. હવે શહેરી વિસ્તારની વાત કરીએ તો ભૂવાનગરી એવા અમદાવાદમાં પ્રથમ વરસાદે જ ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદના જશોદાનગર ચાર રસ્તા પાસે ભૂવો પડતા વાહનચાલકો અટવાયા હતા.
તંત્ર દ્વારા પ્રિમોનસુનની કામગીરીમાં યોગ્ય પુરાણ ન થવાથી ભૂવો પડ્યો હોવાનું સામે આવ્યુ છે. બીજી તરફ જીવરાજથી શ્યામલ જતા રસ્તા પર ભૂવો પડ્યો હતો. ભૂવો પડતા ખાનગી હોટલના કંમ્પાઉન્ડની દિવાલ પણ ધસી પડી હતી. રસ્તા વચ્ચે ભૂવો પડતા વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા.
વાયુની સાથે આવી ચડેલા વરસાદે રાજ્યમાં પ્રથમ ઈનિંગમાં જ તેના અનેક રંગો દર્શાવી દીધા છે. ત્યારે જો કે તેમ છતા મેહૂલા તો વરસે ભલા તેવું દરેક લોકો સ્વીકારી રહ્યા છે. કેમકે આ માત્ર જળધાર નથી આતો જીવનાધાર છે ત્યારે આ વર્ષે ચોમાસું રંગ રાખે તેવી સૌ કોઈ કુદરતને મનોમન પ્રાર્થના કરી રહ્યા છે.